
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે.

આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે ‘વે ફોરવર્ડ’ સાબિત થશે.

ઈસરો દ્વારા નિર્મિત ટ્રાન્સપોન્ડર્સ સાગરખેડુઓને સમુદ્રમાં લોકેશન શોધવામાં તથા ફિશકેચ એરિયાઓને (વધુ માછલી ધરાવતા વિસ્તારો) ઓળખવામાં મહત્વના સાબિત થશે, જે તેમનો મહત્વપૂર્ણ સમય બચાવશે. આ ઉપરાંત, તેઓ આ ટ્રાન્સપોન્ડર્સની મદદથી પોતાના પરિવારજનો, કોસ્ટ ગાર્ડ અને વિવિધ ઓથોરિટીઝના પણ સંપર્કમાં રહી શકશે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા 5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે.

મુખ્યપ્રધાન પટેલે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014થી વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વના પરિણામે મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ થકી ખરા અર્થમાં બ્લૂ રિવોલ્યુશન આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો જોડાયેલા છે તેવા મત્સ્યોદ્યોગ વિભાગનું પહેલા કોઈ અલગ મંત્રાલય નહોતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ મંત્રાલય સ્થપાયું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સાગરખેડૂઓના સર્વાંગી વિકાસ માટે ‘સાગરખેડૂ વિકાસ યોજના’ શરૂ કરાવેલી, જે ખૂબ સફળ રહી છે.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં ‘પોલીસી ડ્રીવન સ્ટેટ’ રહ્યું છે. રાજ્યમાં બ્લૂ ઈકોનોમી, ફિશરમેન અને ફિશ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પોલિસી અમલી છે. ફિશ ફાર્મર્સને બેકીશ વોટર લેન્ડ લીઝ પર આપવા માટે ‘ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ઈનલેન્ડ રિઝરવોયર લીઝિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને પોલિસી થકી 2021-22 માં 80 લાખ મેટ્રિક ટન કરતા વધુ ફિશ પ્રોડક્શન થયું તથા 2 લાખ મેટ્રિક ટન ફિશ એકસપોર્ટ કરવામાં આવી છે.

દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ‘સાગરમાલા’ પરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.
મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યપ્રધાને કહ્યું કે, દેશમાં ઇનલેન્ડ ફિશ પ્રોડક્શન અને એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે 75,000 કરોડનું અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે. જેના લીધે દેશમાં ફિશ પ્રોડક્શન બમણું થયું છે.
સહકાર ક્ષેત્ર અંગે વધુમાં વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેશમાં 25,000થી વધુ કો- ઓપરેટિવ સોસાયટીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. જેના દ્વારા માછીમારો અને મત્સ્ય ઉદ્યોગોને ફિશ પ્રોસેસિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ ડ્રાયિંગ સહિતના કાર્યો માટે રોકાણ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પ્રસંગે ગુજરાતના મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કિમીના વિશાળ સાગર કંઠા પર આવેલા ચૌદ જિલ્લાનાં 798 જેટલાં ગામડાંઓમાં મત્સ્યપાલન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર મત્સ્યોદ્યોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. માછીમારોને બોટ માટેના ડીઝલમાં વેટ રાહત સહાય અંતર્ગત પાછલાં વર્ષોમાં રૂ.250 કરોડની રાહત આપવામાં આવી છે. આ વર્ષે રૂ.443 કરોડની સહાય અપાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોના ફલસ્વરૂપે પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલા ભારતીય માછીમારોમાંથી 482 માછીમારો વર્ષ 2023-24 માં પોતાના વતન પાછા ફર્યા છે. વધુમાં હું ભારત સરકારને પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયેલ 185 ભારતીય માછીમારો અને બોટને તુરંત છોડાવા માટે અનુરોધ કરું છું. વધુમાં ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રનો વધુ વિકાસ કરવા માટે એક એકવા પાર્કનું નિર્માણ કરવા માટે પણ અનુરોધ કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 માં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. કોન્ફરન્સમાં રાઉન્ડ ટેબલ મીટ, ટેકનિકલ સેશન્સ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ, G2G/G2B અને B2B બાયલેટરલ્સ, એક્ઝીબિશન સ્ટોલ્સ અને ફૂડ મેળા સહિતના આકર્ષણો માછીમારો, મત્સ્ય ઉદ્યોગકારો, વિદેશી મત્સ્ય વ્યવસાયકારો અને સંસ્થાઓ, સ્ટાર્ટ અપ સહિત વિવિધ સહભાગીઓને વિવિધ વિષયો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે તથા વિવિધ વિષયો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘સ્ટેટ ફિશિઝ ઓફ ઈન્ડિયા’ બુક્લેટ અને ‘હેન્ડબુક ઓફ ફિશરીઝ સ્ટેટેસ્ટીક્સ યર 2022’ પ્રકાશનોનું પણ આ તકે વિમોચન કરવામાં આવ્યું. સાથે જ, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમના ક્લેઈમ ચેક, કિસાન ક્રેડિટ કાર્ડ, ગ્રીન ફ્યુલ કનવર્ઝન કીટ અને ટ્રાન્સપોંડર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે વિવિધ કેટેગરી હેઠળ વિવિધ એવોર્ડ્સનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો.એલ.મુરુગને પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતા. FAOના નેશનલ હેડ તથા ગ્રીસના એમ્બેસેડરે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યાં હતાં. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સાગર મેહરાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું.