14 જાન્યુઆરીને ઉત્તરાયણનું ગુજરાતમાં વિશેષ મહત્વ હોય છે. દેશના અન્ય રાજ્યોમાં તે વિવિધ નામે ઉજવાય છે, અને તેનું ધાર્મિક મહત્વ પણ વધારે છે. મકરસંક્રાતિના દિવસે કરેલ દાન પુણ્ય અનેકગણું ફળ મળે છે, તેવો પુરાણોમાં ઉલ્લેખ છે. મકરનો સૂર્ય પવન દિશા બદલે છે. તેવી જ રીતે 14 જાન્યુઆરીનો દિવસ વિવિધ બજારોમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. શેરબજારના જૂના જોગીઓના મતે શેરબજારમાં 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસની ‘કેન’ પડે છે. એટલે કે તે દિવસ ટર્નિગ પોઈન્ટનું કામ કરે છે.
શેરબજારમાં ‘કેન’ શબ્દનો ઉપયોગ થાય છે. કેન એટલે ટર્નિગ કહેવાય છે, અથવા તો તે દિવસ શેરબજાર માટે ટ્રેન્ડ સેટર હોય છે. સરળ ભાષામાં કહીએ તો 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના તેમજ શેરના ઊંચા નીચા ભાવ ધ્યાનમાં રાખવાના હોય છે. તે દિવસ પછી તે દિવસના ઊંચા નીચા ભાવ જે બાજુ કપાય તે અનુસાર શેરબજારની ચાલ નક્કી કરાય છે. ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના ઊંચા નીચા અને બંધ લેવલને લખી રાખવાના હોય છે, તેમાં ઉતરાયણના બીજા દિવસ પછી સેન્સેક્સ અને નિફટી જે બાજુ જાય તે બાજુ શેરબજારની જનરલ ચાલ પડે છે. એટલે કે ઉત્તરાયણનો દિવસ શેરબજાર માટે ટ્રેન્ડ સેટર બની જશે. ઉત્તરાયણની ‘કેન’ જે પડશે તે દીવાળીના દિવસ સુધી ચાલશે.
સામાન્ય રીતે શેરબજારમા બે ‘કેન’ પડતી હોય છે. દીવાળીના મુહૂર્તની ‘કેન’ અને પછી 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ પડે છે. પણ શેરબજારના અનુભવી લોકોના મુખે સાંભળ્યું હતું કે બજેટના દિવસની ‘કેન’ પડે છે. આ વષે પહેલી ફેબ્રુઆરીને શનિવારે બજેટ રજૂ થનાર છે. જેથી બજેટના દિવસે પણ નવી ‘કેન’ પડશે.
શેરબજારમાં હાલ તેજીનો ટોન ચાલી રહ્યો છે. દરેક વઘધટને અંતે શેરબજાર બુલિશ ઝોનમાં રહે છે. સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈના નવા લેવલ પર ચાલી રહ્યા છે. નેગેટિવ કારણો વચ્ચે પણ શેરબજાર હાઈ પર છે, જે બજાર અને બજારના લોકો માટે ચિંતાનો વિષય છે. 2020ના નવા વર્ષની શરૂઆતે 13 જાન્યુઆરીના દિવસે જ સેન્સેક્સે 41,899 અને નિફટીએ 12,337 લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. માર્કેટ હાઈલી ઓવર હાઈટ પર છે. 2020ના નવા વર્ષે વિદેશી રોકાણકાર સંસ્થાઓ(એફઆઈઆઈ) નેટ સેલર છે. સામે સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો બાયર છે. જો કે છેલ્લા ચાર મહિનાથી અનેક નેગેટિવ ફેકટર છે, તેમ છતાં શેરબજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે.
ભારત પાકિસ્તાન વચ્ચેના સંબધોમાં કડવાશ ઉભી થઈ છે. સરહદ પર ભારે તંગદિલી છવાઈ છે. બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે તનાતની છે. અમેરિકાએ મિસાઈલ હૂમલો કરીને ઈરાના કમાન્ડર સુલેમાનીને મારી નાંખ્યો છે. જેને પગલે ઈરાને અમેરિકાને બદલો લેવાની ધમકી આપી છે. જે પછી ઈરાન, ઈરાક અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે કશું પણ થઈ શકે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેની ભારેલા અગ્નિ જેવી સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધીને આવ્યા, ડૉલર સામે રૂપિયો તૂટ્યો છે. આયાત નિકાસના નવા કામકાજ ઘટી ગયા છે. ટુરિઝીમ ઉદ્યોગ પર વિપરીત અસર પડી છે. ઈરાનથી ભારતમાં ક્રૂડની આયાત થાય છે. તો સામે અમેરિકા સાથે ભારતની દોસ્તી વધુ ગાઢ બની છે. બન્ને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારત માટે ભારે ચિંતાનો વિષય છે કે સાથ કોને આપવો. આ સંજોગોમાં શેરબજારમાં તેજી થવી અઘરી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતી હોય ત્યારે એશિયાઈ દેશો પર તેની ઈકોનોમી પર વિપરીત અસર પડશે. પણ હાલ અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ દરરોજ નવી હાઈ બનાવી રહ્યું છે, જેને પગલે વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં બુલિશ ટોન છે. પણ જ્યારે અમેરિકન સ્ટોક માર્કેટ ગગડશે અને એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટશે ત્યારે ભારતીય શેરબજાર ઝડપથી ગગડશે.
હાલ ભારતીય સ્ટોક માર્કેટ ખુબ જ ઊંચા મથાળે છે. બીજી તરફ ભારતીય અર્થતંત્ર મંદીની ઝપટમાં આવી ગયું છે. જીએસટી કલેક્શનની રેવન્યૂ ઘટતી જઈ રહી છે. આવકવેરાની આવક ઘટી છે. સામે ખર્ચ વધ્યો છે. જીડીપી ગ્રોથ 5 ટકાની નીચે આવી ગયો છે. મોંઘવારી દર(ફુગાવો) સતત વધીને આવ્યો છે. આરબીઆઈએ જીડીપી ગ્રોથની ચિંતા કરીને વ્યાજ દરમાં સતત ઘટાડો કર્યો છે, તેમ છતાં જીડીપીને સહારો મળ્યો નથી. ઔદ્યોગિક ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં વધુ રકમની જોગવાઈ કરી હોવા છતાં ભારતીય અર્થતંત્રમાં સુધારો થવાનું નામ લેતું નથી. હવે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થનાર છે, જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમન અર્થતંત્રની મંદીને દૂર કરવા માટે બજેટને વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરશે. હવે બધો આધાર નાણાપ્રધાનના બજેટ પર છે.
શેરબજાર માટે હવે તો કપરો સમય આવી રહ્યો છે. ભારતીય ઈકોનોમીની મંદીની અસરને કારણે આગામી 2020માં એફઆઈઆઈનું નવું રોકાણ આવશે નહી તો શેરબજાર ઘટશે. શેરબજારનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પણ રોકાણકારોની સંખ્યા હજુ જોઈએ તેટલી વધી નથી. પણ એટલું ચોક્કસ છે કે હવે 14 જાન્યુઆરીને ઉત્તરાયણને ‘કેન’ શેરબજાર માટે ખરા અર્થમાં ટર્નિગનું કામ કરશે. રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ પર છે. પ્રોફિટ બુક કરતાં રહેવું, અને નવા ઊંચા મથાળે નવું રોકાણ કરતાં 10 વખત વિચાર કરજો. માર્કેટ ટ્રેન્ડ છેતરામણો છે, આગામી 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ અને પહેલી ફેબ્રુઆરીનું બજેટ શેરબજારની ભાવી ચાલ નક્કી કરશે.