શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ માઈનસ ટોનમાં જ ખુલ્યું હતું. અદાણી ગ્રૂપના શેરોના ગાબડાને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું. જો કે બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું. જેને પગલે સેન્સેક્સ અને નિફટી ટ્રેડિંગ સેશનની મધ્યે ઊંચકાયા હતા. પણ ઊંચામાં પ્રોફિટ બુકિંગ આવતાં માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. બે તરફી વધઘટ બાદ હવે શેરબજારમાં શું કરાય?
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 79,330.12 ખૂલીને શરૂમાં ઘટી 79,226.13 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 80,106.18ની હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 79,648.92 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 56.99ની નરમાઈ દર્શાવે છે.
એનએસઈનો નિફટી ઈન્ડેક્સ 24,320.05 ખૂલીને શરૂમાં ઘટી 24,212.10 થઈ અને ત્યાંથી ઉછળી 24,472.80ની હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 24,347 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 20.50નો ઘટાડો દર્શાવે છે.
હિન્ડનબર્ગ રીસર્ચના રીપોર્ટ પછી આજે અદાણી ગ્રૂપના શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલીથી સવારે ગાબડા પડ્યા હતા. પણ નીચા મથાળે ટેકારૂપી લેવાલી આવી હતી, જે પછી ઘટયા મથાળેથી સુધારો આવ્યો હતો. પણ અદાણી ગ્રૂપના સ્ટોક માઈનસમાં જ બંધ રહ્યા હતા.
આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1351 શેર વધ્યા હતા, 1414 શેર ઘટ્યા હતા, તેમજ 68 શેર ફેરફાર વગરના રહ્યા હતા.
ટોપ ગેઈનર્સઃ ઓએનજીસી, હીરો મોટો, એક્સિસ બેંક, ઈન્ફોસીસ અને જેએસડબલ્યુ સ્ટીલ
ટોપ લુઝર્સઃ એનટીપીસી, અદાણી પોર્ટ્સ, ડૉ. રેડ્ડી, બ્રિટાનિયા અને એસબીઆઈ
આવતીકાલે મંગળવારે શેરબજારમાં વધઘટ તો રહેશે. આજે સેન્સેક્સ અને નિફટી સામાન્ય માઈનસ બંધ રહ્યા છે, પણ ટેકનિકલી જોઈએ તો પોઝિટિવ ટોનમાં બંધ રહ્યા છે. હજી માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ થયો છે, તેવું કહી શકાય નહી. માટે હાલના તબક્કે બ્લૂચિપ સ્ટોકમાં દરેક ઘટાડે લઈને જ વેચવું જોઈએ. સેન્સેક્સ 79,780 ઉપર બંધ અને નિફટી 24,350 ઉપર બંધ આવશે તો શેરબજાર ક્લીયર કટ તેજીમાં રહ્યું તેમ કહેવાશે.