પેટ્રોલ ડીઝલના તોતિંગ ભાવ વધારાથી મોંઘવારી વધશે…

by Investing A2Z

સતત 16 દિવસમાં લિટરે પેટ્રોલમાં રૂ.10.30 અને ડીઝલમાં રૂ.11.46નો જંગી ભાવ વધારો

2020નું વર્ષ કપરા કાળનું છે. ન જોયું હોય તેવા દિવસો જોવાના આવ્યા છે. કોરોના વાયરસની મહામારી આવી, જેને પગલે ત્રણ મહિનાના લૉક ડાઉનનો ગાળો પસાર કરવો પડ્યો, તેમ છતાં કોરોનાનો તો કાબુમાં આવ્યો નથી, તમામ બિઝનેસ બંધ રહ્યા, વાવાઝોડુ આવ્યું, ધરતીકંપ આવ્યો, નિયત સમય કરતાં વહેલો વરસાદ થયો, તીડના આક્રમણથી ખેતીવાડીને ભારે નુકસાન થયું છે. ભારે સૂર્યગ્રહણ પસાર થયું છે, તે હજી એક મહિના સુધીની વિપરીત અસર બતાડશે, એવું જ્યોતિષિઓ કહી રહ્યા છે. ચીન, પાકિસ્તાન અને નેપાળ સરહદ પર હાલ તંગદિલી છવાયેલી છે. ગમે ત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ના જાણે આગામી દિવસોમાં શુંય થશે. આવા કપરાં સંજોગોમાં જનતાને કુદરતી રીતે ચારેય બાજુથી નુકસાન ને નુકસાન જ છે, ત્યારે બીજી તરફ સરકાર દયાહીન થઈ છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે, અને જનતા પર બોજો નાંખી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતાં હોય અને ભારતની ઓઈલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કરે છે, વધુમાં ગુજરાત સરકારે 15 જૂને પેટ્રોલ ડીઝલમાં લિટરે રૂપિયા બેનો વધારો કર્યો. જે ગુજરાતની જનતા માટે આંચકા સમાન નિર્ણય કર્યો છે. સીધી વાત છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા હોય તો મોંઘવારી વધે જ. માટે જનતાએ મોંઘવારીને સહન કરવા તૈયાર રહેવું પડશે.

કોરોનાને કારણે લૉક ડાઉન લાદવામાં આવ્યું, જેને કારણે ગુજરાતની સરકારની કુલ આવકમાં રૂપિયા 26,000 કરોડનો ઘટાડો થશે, તેવો અંદાજ મુક્યો છે. જે ખોટ પુરવા માટે પેટ્રોલ ડીઝલ પર લિટરે રૂપિયા 2નો વધારો કરીને રૂપિયા 1500 કરોડની આવક મેળવાશે. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 31 માર્ચ, 2021 સુધી 30 ટકાનો કાપ કર્યો છે. સરકારી કર્મચારીઓને અપાતાં મોંઘવારી ભથ્થાનો વધારો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી સ્થગિત કરાયો છે. જેના કારણે 3400 કરોડની બચત થશે. એ બધુ બરાબર પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને રાજ્ય સરકારે ગુજરાતની જનતાને માથે બોજો નાંખ્યો છે, અને મોંઘવારી વધારવા માટેનું ઈંજન આપ્યું છે.

સરકારનું ગણિત છે કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નીચા છે. આ વાત યોગ્ય છે, પણ હાલની સ્થિતિ કપરી છે. અઢી મહિનાના લૉક ડાઉન પછી અનલૉક-1માં પણ ગુજરાતમાં 50થી 70 ટકા વેપારધંધા બંધ હાલતમાં છે અથવા તો 50 ટકા ઉત્પાદનક્ષમતાએ કામ કરી રહ્યા છે. કોઈની પાસે નવા ઓર્ડર જ નથી, જૂના પેમેન્ટ કોઈ વેપારી કે ઉદ્યોગપતિઓ કરતાં નથી, શ્રમિકો નથી, જેથી ઉત્પાદનએકમો  અશંતઃ બંધ જેવી સ્થિતિમાં છે. વેપારધંધામાં નવી ડિમાન્ડ જ નથી. બીજી તરફ નોકરી કરતાં કર્મચારીઓના પગારમાં ત્રણ મહિના સુધીનો 10 ટકાથી માંડીને 50 ટકા સુધીનો કાપ છે. આવી કપરી સ્થિતિમાં જનતાને આર્થિક રાહત આપવાના સ્થાને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર દયાહીન થઈ છે અને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અયોગ્ય સમયનો છે.

કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું, ગુજરાત સરકારે 14,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ આ આર્થિક પેકેજથી કોઈને લાભ થયો નથી. હા રેશનિંગની દુકાનમા ગરીબોને મફત અનાજ પુરું પાડ્યું તે સરકારનું સરાહનીય અને સંવેદનશીલ કામ છે. પણ મધ્યમવર્ગનો માનવી પિસાઈ રહ્યો છે, નાના વેપારીઓ, નાના ધંધાદારીઓની સ્થિતિ ખૂબ જ કફોડી છે. હજી ધંધાની ગાડી પાટા પર આવી નથી, ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જનતા પર વધારોનો બોજો નાંખ્યો છે, આ તમામ રીપોર્ટ રાજ્ય સરકાર પાસે હોવા જ જોઈએ.

સતત 16 દિવસથી પેટ્રોલમાં લિટરે રૂપિયા 8.30નો વધારો થયો છે અને વત્તા ગુજરાત સરકારે વધારેલા રૂ.2 મળીને કુલ રૂ.10.30નો વધારો થયો છે.

તેવી જ રીતે 16 દિવસથી ડીઝલમાં લિટરે રૂપિયા 9.46નો વધારો થયો છે અને વત્તા ગુજરાત સરકારે વધારેલા રૂ.2 મળીને કુલ રૂ.11.46નો વધારો થયો છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલડીઝલના ભાવને મુક્ત કર્યા છે, ઓઈલ કંપનીઓ ક્રૂડના ભાવે ઘટે ત્યારે પેટ્રોલડીઝલના ભાવ ઘટાડે છે, અને ક્રૂડ વધે ત્યારે પેટ્રોલડીઝલના ભાવ વધારી શકે છે. તો પછી આમ કેમ? ક્રૂડના ભાવ ઘટતા હોય ત્યારે ભારતમાં પેટ્રોલડીઝલના ભાવ વધારો આવે. ન માની શકાય તેવી વાત છે. આ અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલડીઝલના ભાવમાં રૂપિયા 3ની એક્સાઈઝ ડ્યૂટી વધારીને ભાવ ઘટાડાનો લાભ જનતા સુધી પહોંચવા દીધો નથી. જ્યારે ક્રૂડનો ભાવ 70 ડૉલર હતો, ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.74-75 હતા અને આજે ક્રૂડ 41 ડૉલર છે, ત્યારે પણ પેટ્રોલડીઝલનો ભાવ રૂ.77 છે. ઓઈલ કંપનીઓ તગડો નફો કરી રહી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પેટ્રોલડીઝલની મૂળકીમત જેટલો તો ટેક્સ વસૂલે છે.

બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધીને આવતાં તેની સીધી અસર મોંઘવારી પર પડવાની છે. ફુગાવાનો દર વધીને આવશે. જેનો બેવડો માર જનતાએ જ ભોગવવાનો આવશે. ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે અને જીડીપી ગ્રોથને વધારવા માટે પાયાની જરૂરિયાત છે કે તમારે મોંઘવારી દરને કાબુમાં રાખવો. તો જ દેશનો સર્વગ્રાહી વિકાસ થયો કહેવાય. કોરોનાની મહામારી વચ્ચે લૉક ડાઉન અને તેમાં ધંધા વેપાર બંધ થઈ ગયા પછી નવી આવક નથી. અને સામે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને જનતા પર નવો બોજો નાંખ્યો છે. લૉક ડાઉનને કારણે જીએસટીની આવક ઘટી છે, પણ તેને સરભર કરવા માટે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો જરૂરી નથી. તે સિવાયના અન્ય વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં વધારાથી મોંઘવારી વધુ માઝા મુકશે, તેમાં કોઈ બે મત નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન એમ વિરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે મોદી સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ ગયું છે, લોકોની આવક ઘટી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરીને પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આવ ક્રૂર નિર્ણય ન લેવો જોઈએ.

ડીઝલના ભાવ વધે એટલે સ્વાભિક છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે અને તેને કારણે અનાજકઠોળ, કરિયાણાની તમામ ચીજવસ્તુ, શાકભાજી મોંઘા થાય, ફળફળાદિ મોંઘા થાય, આથી જ ફુગાવો વધીને આવશે. ઊંચો ફુગાવો જીડીપી ગ્રોથ અને વ્યાજ દર સાથે સીધો સંબધ ધરાવે છે. જે અર્થતંત્રના વિકાસમાં અવરોધક બની રહેશે. કેન્દ્ર સરકારે ફુગાવાનો કાબુમાં રાખવો પડશે, પછી જો ફુગાવો માઝા મુકશે તો તે ઘટવાનું નામ નહી લે. અને તે દેશમાં અંધાધૂધી ફેલાવી શકે છે…

Related Posts

Leave a Comment