ઈમાનદાર કરદાતાને પ્રોત્સાહન અને કર પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ગુલામીના દોરમાં શરૂ થયેલ ટેક્સ સિસ્ટમમાં હવે ખૂબ જ મોટો ફેરફાર કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્લેટફોર્મ 21માં સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ એસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા સુધારા કરાયા છે. અત્રે નોંધનીય છે કે આ નવા ટેક્સ પ્લેટફોર્મ અનુસાર કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. સાથે હવે ટેક્સ આપવામાં પણ સરળતા રહેશે. ટેકનોલોજીની સહાયતાથી લોકો પર વિશ્વાસ મુકી શકાશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે 2012-13માં જેટલા ટેક્સ રીટર્ન થતાં હતા, અને તેમની સ્ક્રુટીની થતી હતી. આજે તે ખૂબ ઓછી થઈ ગઈ છે. કારણ કે અમને કરદાતા પર વિશ્વાસ કર્યો છે. હવે ઈમાનદારનું સમ્માન થશે. એક ઈમાનદાર કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નિભાવે છે. પીએમ મોદીએ કહ્યું તે આજથી શરૂ રહેલી નવી વ્યવસ્થાઓ નવી સુવિધાઓ મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નનેસને આગળ વધારશે. પીએમ મોદીએ કહ્યું છે, જેનાથી સરકારની દખલગીરી ઓછી થશે.
મોદીનું કહેવું હતું કે પૉલીસી સ્પષ્ટ હોવી જોઈએ, ઈમાનદારી પર વિશ્વાસ, સરકારી સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ, સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ કરવો અને સમ્માન કરવું. પહેલા રિફોર્મની વાતો થતી હતી. કેટલાક નિર્ણયો મજબૂરી અને દબાણમાં લેવામાં આવતાં હતા. જેનું પરિણામ આવતું નહોતું. દેશની સાથે છલ કરવાવાળા કેટલાક લોકોની ઓળખ માટે ખૂબ લોકોને પરેશાનીમાંથી પસાર થવું પડતું હતું. છેતરનારા લોકોને કારણે ઈમાનદાર કરદાતાને પરેશાન થવું પડતું હતું. આ સિસ્ટમમાં સાંઠગાઠ ઉભી થઈ ગઈ હતી. આ ચક્કરમાં બ્લેક એન્ડ વ્હાઈટનો ઉદ્યોગ વધ્યો હતો. 10 લાખનો મામલો હોય તો પણ તે કોર્ટમાં જતો હતો. પણ હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાવાળાના કેસમાં સીમા ક્રમશઃ 1-2 કરોડ થઈ ગઈ છે. હવે ફોક્સ અદાલતની બહાર આવા કેસ સુલટાવી દેવા પર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પહેલા તમારા શહેરના જ અધિકારી તમારો કેસ જોતા હતા. પણ હવે ટેકનોલોજીને કારણે દેશના કોઈપણ ભાગના અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવ્યો તો તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ બીજા શહેરની ટીમની પાસે જઈ શકશે. આ આદેશનો રિવ્યૂ કોઈ બીજા શહેરની ટીમ કરશે. ટીમમાં કોણ હશે, તે નક્કી કરવાનું કામ પણ કોમ્પ્યુટર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” (પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિક કરદાતાઓનું સન્માન) માટે એક પ્લેટફોર્મનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે દેશમાં કરવેરા સાથે સંબંધિત માળખાગત સુધારાઓની પ્રક્રિયા નવી ઊંચાઈએ પહોંચી છે.
ફેસલેસ કરવેરા આકારણી અને કરદાતાઓનો અધિકારપત્ર આજથી લાગુ થઈ ગયો છે, ત્યારે દેશભરમાં નાગરિકો માટે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજંયતીથી શરૂ થશે. આ નવું પ્લેટફોર્મ ફેસલેસ હોવા ઉપરાંત કરદાતાઓનો કરવ્યવસ્થામાં વિશ્વાસ વધારવાનો અને તેમને નિર્ભય બનાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.
છેલ્લાં છ વર્ષ દરમિયાન સરકારે બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરવા, અસુરક્ષિત લોકોને સુરક્ષા આપવા અને ફંડ મેળવવાની સુવિધા ન ધરાવતા લોકોને ફંડ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેમજ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ”નું પ્લેટફોર્મ એ દિશામાં એક પ્રયાણ છે.
વડાપ્રધાન રાષ્ટ્રનિર્માણમાં પ્રામાણિક કરદાતાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ પ્રકારના પ્રામાણિક કરદાતાઓનું જીવન સરળ બનાવવાની જવાબદારી સરકારની છે. વડાપ્રધાને કહ્યું હતું કે, “જ્યારે દેશના પ્રામાણિક કરદાતાઓનું જીવન સરળ બનશે, ત્યારે તેઓ વિકાસ કરવા અગ્રેસર થશે અને વધુ પ્રગતિ કરશે. પછી જ દેશ વિકસિત બનશે અને પ્રગતિની દિશામાં હરણફાળ ભરશે.”
સરકારે હવે સરળ કરેલા કાયદાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવું સરળ બનશે. આનું એક ઉદાહરણ જીએસટી છે, જેણે એકસાથે ડઝનબંધ કાયદાઓનું સ્થાન લીધું છે.
તાજેતરના કાયદા કરવેરા વ્યવસ્થામાં કાયદેસર ભારણમાં ઘટાડો કરે છે, જેમાં હવે હાઈકોર્ટમાં કેસ ફાઇલ કરવાની ટોચમર્યાદા રૂ. 1 કરોડ સુધીની અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવાની ટોચમર્યાદા રૂ. 2 કરોડ સુધીની નક્કી કરવામાં આવી છે. ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના જેવી પહેલ મોટા ભાગના કેસમાં સમાધાન કોર્ટની બહાર કરવા માટેનો માર્ગ મોકળો કરશે.
અત્યારે ચાલુ આર્થિક સુધારાના ભાગરૂપે કરવેરાના વિવિધ સ્લેબને તાર્કિક કરવામાં આવ્યાં છે, જેમાં જ્યારે રૂ. 5 લાખ સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી છે, ત્યારે બાકીના સ્લેબમાં કરવેરાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારે દુનિયામાં ભારત એવા દેશોમાં સામેલ છે, જ્યાં કોર્પોરેટ કરવેરાના દર સૌથી ઓછા છે.
હાલ ચાલુ આર્થિક સુધારાઓનો ઉદ્દેશ કરવેરાની વ્યવસ્થાને સરળ, સાતત્યપૂર્ણ, અવરોધમુક્ત, જટિલતાથી મુક્ત અને ફેસલેસ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, કરવેરાની સરળ અને સાતત્યપૂર્ણ વ્યવસ્થા કરદાતાઓની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરશે, એને વધારે જટિલ નહીં બનાવે. કરવેરાની વ્યવસ્થાને જટિલતાથી મુક્ત બનાવવા પાછળનો આશય ટેકનોલોજીથી લઈને નિયમોનું સરળીકરણ છે. ફેસલેસ સિસ્ટમના સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે, કરવેરા સાથે સંબંધિત ચકાસણી, નોટિસ, સર્વે કે આકારણી એમ કોઈ પણ બાબતમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાની જરૂર નહીં રહે, જેથી વ્યવસ્થા વધારે અથવા સંપૂર્ણ પારદર્શક બનશે.
કરદાતાઓના અધિકારપત્રના સંદર્ભમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમાં કરદાતાઓને હવે તટસ્થ કે નિષ્પક્ષ, શિષ્ટ અને તાર્કિક અભિગમની ખાતરી મળી છે. આ અધિકારપત્રમાં કરદાતાઓની ગરિમા અને સંવેદનશીલતા જળવાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા આ અધિકારપત્રનો પાયો પારસ્પરિક વિશ્વાસ છે. એમાં કર આકારણી કરનાર કોઈપણ સરકારી અધિકારી પાયાના પુરાવા વિના શંકા નહીં કરી શકે.
નાણાકીય વર્ષ 2012-13માં કરવેરા સાથે સંબંધિત કેસમાં ચકાસણીનું પ્રમાણ 0.94 ટકા હતું, જે છેલ્લાં છ વર્ષમાં ઓછામાં ઓછા ચાર ગણું ઘટીને નાણાકીય વર્ષ 2018-19માં 0.26 ટકા થયું છે. આ બાબત સરકારનો કરદાતાઓમાં રહેલો વિશ્વાસ સૂચવે છે. છેલ્લાં છ વર્ષના સમયગાળા દરમિયાન ભારતને કરવેરા સંબંધિત વ્યવસ્થા કે વહીવટમાં પરિવર્તનશીલ નવું મોડલ જોવા મળ્યું છે. આ તમામ પ્રયાસોને પરિણામે છેલ્લાં 6થી 7 વર્ષ દરમિયાન આવકવેરાના રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં આશરે 2.5 કરોડનો વધારો થયો છે. જોકે સાથે-સાથે એ વાત પણ નકારી શકાય નહીં, કે 130 કરોડ નાગરિકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ કરવેરો ચુકવે છે. પીએમ મોદીએ લોકોને આત્મમંથન કરવા અને નિયમ મુજબ કરવેરાની ચુકવણી કરવા અપીલ કરી હતી. જો નાગરિકો નિયમ મુજબ કરવેરો અદા કરશે તો આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં મદદ મળશે.