દીકરીના લગ્ન અને શિક્ષણની ચિંતા સમાપ્ત કરતી SSY યોજના

by Investing A2Z

દીકરીનો જન્મ થાય એટલે પહેલાના જમાનામાં કહેતા સાપનો ભારો આવ્યો… પણ ના હવે એવું નથી. દીકરી સાપનો ભારો નથી. લાડકવાયી દીકરી હવે ભણી ગણીને માતા પિતાનું નામ રોશન કરે છે અને કેટલાક કિસ્સામાં આપે પણ જોયું હશે કે માતા પિતાનો સહારો પણ બની રહે છે. આજે વિશ્વમાં દીકરી તમામ ક્ષેત્રમાં પ્રવેશી છે, અને કોઈ એવું ક્ષેત્ર બાકી પણ નહી હોય કે જ્યાં દીકરીએ પ્રવેશ નથી કર્યો.

હા આજે મારે ઈન્વેસ્ટિંગ એટુઝેડમાં વાત કરવી છે કે વ્હાલી દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની યોજના વિશે.

આપને ત્યાં કે આપના દીકરાને ત્યાં દીકરીનો જન્મ થાય તો આપના રોકાણનું યોગ્ય પ્લાનિંગ કરજો, જેથી દીકરી એ સાપનો ભારો નહી પણ દીકરી આપનું, સમાજનું અને દેશનું નામ રોશન કરશે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને તેને સુરક્ષિત કરવા માટે આપે આ યોજનામાં રોકાણ કરવું જોઈએ.

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અતંગર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજના દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે છે. દીકરીના નામે પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી નાંખજો. અને દીકરી જ્યારે મોટી થશે ત્યારે તે કરોડપતિ હશે. તેના ભણતરનો ખર્ચ, વિદેશ ભણવા મોકલવાનો ખર્ચ અથવા તેના લગ્નનો ખર્ચ તમે સરળતાથી કરી શકશો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પોસ્ટ વિભાગ સૌથી વધુ વ્યાજ ચુકવી રહી છે. એટલે કે શ્રેષ્ઠ વળતરની સાથે શ્રેષ્ઠ સુરક્ષા પણ આપે છે. એટલે કે આપનું રોકાણ સુરક્ષાની ગેરંટી ભારત સરકાર આપે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની તમામ વિગતો 

સૌપ્રથમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 250 અને વધુમાં વધુ રૂપિયા 1.50 લાખ સુધી જમાં કરાવી શકો છો.

બીજુ દીકરીના નામે તેની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધી તમે ખાતું ખોલાવીને બચત કરી શકો છો.

એક દીકરીના નામે તમે માત્ર એક જ ખાતું ખોલાવી શકો છો.

એક જ પરિવારની વધુમાં વધુ બે દીકરીઓના માટે આ ખાતુ ખોલાવીને બચત કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં ખોલાવી શકાય છે.

આ ખાતું ખોલાવવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનો ફોટો આઈડી અને સરનામાનો પુરાવો આપવાનો આવે છે.

દીકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી તે ખાતું વાલીઓ ઓપરેટ કરી શકશે, 18 વર્ષ પછી દીકરી તે ખાતાને ઓપરેટ કરી શકશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું પાંચ વર્ષ પછી કેટલાક ચોક્કસ કારણો સર્જાયા હોય તો તમે બંધ કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી બચત પર સૌથી વધુ આકર્ષક 8.2 ટકા વ્યાજ મળે છે. અને તે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ… વ્યાજ ઉપર વ્યાજ જમા આવે છે.

દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાર પછી તે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક જરૂરિયાત રહે ત્યારે તે દીકરી 50 રકમ ઉપાડી શકે છે.

તેમજ ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ સુધી પૂર્ણ થતાં આ યોજનાની મેચ્યોરિટી થઈ જાય છે એટલે કે યોજનાની રકમ પાકી ગઈ છે, અને તે પાકતી મુદતે રકમ તમને મળી જાય છે.

જમા રકમ આવકવેરા ધારાની કલમ 80 સી અનુસાર ટેક્સ બાદ મળે છે.

ખાતામાં ભેગું થયેલું વ્યાજ પણ આવકવેરા અધિનિયમની ધારા નંબર 10 અનુસાર આવકવેરામાંથી મુક્તિ મળે છે.

ઉદાહરણ જોઈએ તો સ્પષ્ટ થશે કે તમને પાકતી મુદતે કેટલી રકમ મળશે.

તમારે ત્યાં દીકરીનો જન્મ 2023માં થયો છે અને તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવી દો છો તો અને ત્યાર પછી દર વર્ષે તમે 1,50,000ની બચત કરો છો. તમે 15 વર્ષ સુધી આ રકમ ભરી જે કુલ રૂપિયા 22,50,000 થાય છે. હવે 21 વર્ષે આ યોજના પાકે એટલે કે 2044 એ પરિપકવતાનું વર્ષ થયું કહેવાય. ત્યાં સુધીમાં તમારી બચતની રકમ 22,50,000 ઉપર 49,21,119 વ્યાજ જમા થાય છે. અને 21 વર્ષે પાકતી મુદતે રૂપિયા 71,82,119ની મસમોટી રકમ મળશે.

તો જોયુ મિત્રો, નાની બચત અને વધુ વ્યાજ દીકરીના ભવિષ્યને ખૂબ વધુ ઉજ્જવળ બનાવી શકે છે. જો તમારે ત્યાં દીકરીનો જન્મ થયો હોય તો તુરંત જ આપ આ યોજનામાં ખાતું જરૂરથી ખોલાવી દેજો. અને તમારા મિત્રો કે પરિવારને પણ સમજાવજો કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સૌથી વધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનું વળતર મળે છે અને સુરક્ષાની ગેરંટી તો ખરી.

ઓલ ધી બેસ્ટ…

Related Posts

Leave a Comment