હવે RBIએ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું

by Investing A2Z

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડયું છે. આરબીઆઈએ જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 5 ટકા મુક્યું છે. આ પહેલા ઓકટોબરમાં બેંકે આ અનુમાન 6.1 ટકા દર્શાવ્યું હતું. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાતમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, મોંઘવારી દરમાં સતત વધારો અને જીડીપી ગ્રોથ સતત ઘટીને આવતો હોવાથી આરબીઆઈ સતત છઠ્ઠી વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણા હતી, પણ વ્યાજ દર ઘટીને નહી આવતાં સ્ટોક માર્કેટ નિરાશ થયું હતું.

જીડીપી ગ્રોથ રેટ વધીને આવે તે માટે વ્યાજ દર ઘટાડવો જરૂરી છે. પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે. આ અગાઉની ધીરાણ નીતિમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષમાં આરબીઆઈએ અત્યાર સુધીમાં પાંચ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કુલ મળીને રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કર્યો છે.

  • રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે
  • જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ચાલુ નાણાકીય વર્ષ માટે 6.1 ટકાથી ઘટી 5 ટકા કર્યું
  • વિવિધ હાઈ ફ્રીકવેન્સી ઈન્ડિકેટર્સની ભલામણ છે કે માંગની સ્થિતી ખુબ નબળી છે
  • આગામી ધીરાણ નીતિમાં નવા નિર્ણયો લેવાશે
  • રીટેઈલ મોંઘવારી દર બીજા છ માસિકગાળામાં 4.7-5.1 ટકા રખાયો છે.
  • વિદેશી વિનિમય અનામત 3 ડીસેમ્બરે 451.70 અબજ ડૉલર રહ્યો છે, જેમાં માર્ચ -2019ની સરખામણીએ 38.8 અબજ ડૉલરનો વધારો થયો છે.
  • મોનેટરી પૉલીસી કમિટીના તમામ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવા મતદાન કર્યું હતું.
  • હવે પછીની આગામી ધીરાણ નીતિ 4-6 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે

વીતેલા સપ્તાહે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળા માટે એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ રેટ 5 ટકા હતો, એટલે કે 0.5 ટકાનો નોંધનીય ઘટાડો જોવાયો છે. કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયે અનેક પગલા લીધા છે, અને ઘટતી જતી ડિમાન્ડની સમસ્યા સુધારવાના પ્રયત્નો કર્યા હોવા છતાં જીડીપી ગ્રોથ રેટ વધ્યો નથી. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમજ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ગ્રોથ ખુબ ઘટી ગયો છે. નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ અને સર્વિસ પીએમઆઈ બન્ને મોરચે આંકડા પોઝિટિવ આવ્યા છે. આરબીઆઈએ આજે ધીરાણ નીતિની જાહેરાત કરી તેમાં પણ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ અગાઉથી જ જીડીપી ગ્રોથ રેટ ઘટીને આવવાના અંદાજ રજૂ કરી દીધા છે.

આરબીઆઈની મોનેટરી પૉલીસી કમિટીએ કહ્યું છે કે ઈકોનોમીક એક્ટિવિટી નબળી છે અને આઉટપુટ પણ નબળું થયું છે. જો કે સરકાર અને આરબીઆઈ ઈકોનોમીની ગતિને તેજ કરવા માટે કઈ કેટલાય પગલા લીધા છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે આગામી વર્ષના બજેટમાં પાકી ખબર પડશે કે અર્થતંત્રના સપોર્ટમાં સરકારે જે પગલા લીધા છે, તેનો કેટલો ફાયદો મળ્યો છે.

વ્યાજ દર ઘટીને નહી આવતાં બેંકના વ્યાજ દર જીવતા લોકો અને સીનીયર સીટીઝનોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ લોન લેનારા લોકો નિરાશ થયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે રીટેઈલ મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને ગ્રોથ પર ફોક્સ કરીશું. ગ્રાહકોના હિતની વાત છે કે બેંકોએ હજી સુધી વ્યાજ દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. તેમજ સરકારી ખર્ચ વધતા ગ્રોથમાં થોડી મદદ મળી રહી છે. રવિ પાકના વાવેતરમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે, અને હવે પછીથી અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. તેમ છતાં આરબીઆઈએ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે.

Related Posts

Leave a Comment