IPOમાં રોકાણ કરતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

by Investing A2Z

શેરબજારમાં હાલ આઈપીઓની સીઝન ચાલી રહી છે. ઘણી બધી કંપનીઓ એટલે કે જૂની અને નવી કંપનીઓ પોતાના આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશી ચુકી છે, અને કેટલીક કંપનીઓ આઈપીઓ લાવીને મૂડીબજારમાં પ્રવેશવા થનગની રહી છે. રોકાણકારો પહેલી પસંદ આઈપીઓમાં રોકાણને આપે છે. કારણ કે આઈપીઓમાં રોકાણ કરીને એક જ સપ્તાહમાં લિસ્ટીંગ ગેઈને મેળવી લે છે એટલે કે એક જ અઠવાડિયામાં આઈપીઓમાં લાગેલા શેર શેરબજારમાં વેચીને નફો કમાઈ લે છે, જેમાં બેંક વ્યાજ કરતાં વધારે રીટર્ન છૂટે છે.

આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આઈપીઓ શું હોય છે? અને કંપનીઓ શા માટે આઈપીઓ લાવે છે? આઈપીઓની પ્રાઈઝબેન્ડ અને લોટ સાઈઝ એટલે શું? IPOમાં રોકાણ કરતાં પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ટૂંકમાં આઈપીઓનું એ ટુ ઝેડ જાણીશું.

શેરબજારમાં રોકાણ કરવા માટેના અનેક વિકલ્પો છે. તેમાં આઈપીઓમાં રોકાણ કરવાનો વિકલ્પ ખૂબ સરળ અને ટૂંકાગાળામાં ઝડપી નફો મળી શકે છે, અને તેમાં મોટાભાગે જોખમ ખૂબ ઓછું હોય છે. આથી રોકાણકાર આ આઈપીઓના વિકલ્પને પ્રથમ પંસદ કરે છે.

આઈપીઓ એટલે શું?

આઈપીઓ એટલે ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ. મોટાભાગના કિસ્સામાં આઈપીઓમાં રોકાણ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં સારુ રીટર્ન મળે છે. જેમ કે બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આઈપીઓમાં જે રોકાણકારોને શેર એલોટ થયા તેમને ટૂંકા ગાળામાં 100 ટકા વધુનું રીટર્ન મળ્યું હતું. આવા તો અનેક આઈપીઓ આવ્યા કે જેમાં રોકાણકારોને ખૂબ સારા રીટર્ન મળ્યા છે. જો કે આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા રોકાણકારોએ આઈપીઓ અંગેની કેટલીક વાતો સમજી લેવી જોઈએ કે આઈપીઓ શું છે? કંપનીઓ આઈપીઓ કેમ લાવે છે? અને તેમાં રોકાણ કરવાથી શું થાય છે?

જ્યારે કોઈ કંપની શેરબજારમાં લિસ્ટ થવા માંગતી હોય તો તે પોતાનો આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશે છે. તેની પાછળ કેટલાક કારણો પણ હોય છે. કંપની પોતાનું દેવું ઘટાડવા માટે આઈપીઓ લાવે છે. કંપની પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવા માંગતી હોય ત્યારે આઈપીઓ લાવે છે. નવી કંપની મૂડીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આઈપીઓ લાવે છે. કેટલીક વાર કંપની પોતાની પાસે રહેલ વધારાનું હોલ્ડિંગ ઓછુ કરવા અથવા પોતાનો હિસ્સો ઘટાડવા માટે પણ આઈપીઓ લાવે છે. કેટલીક કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ આઈપીઓ લાવીને જનતા પાસેથી પૈસા એકઠા કરે છે. રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા એ સમજી લેવું જોઈએ કે કંપની શા માટે આઈપીઓ લાવી રહી છે, ત્યાર પછી જ રોકાણ કરવું જોઈએ.

આઈપીઓથી શું થાય?

કંપની પોતાના શેરને સાર્વજનિક રૂપથી જનતાને વેચે છે.

સ્ટોક એક્સચેન્જ એટલે કે કંપનીના શેરનું બીએસઈ-એનએસઈમાં લિસ્ટિંગ થાય છે.

કંપની પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવા માટે મૂડી મેળવવા આઈપીઓ લાવે છે.

આઈપીઓ લાવવાથી કંપનીની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થાય છે.

કંપની આઈપીઓ લાવે તો પારદર્શિતા વધતાં રોકાણકારોમાં નવા વિશ્વાસનું સર્જન થાય છે.

આઈપીઓમાં રોકાણ કરવાથી જેટલા શેર હોય તેટલા હિસ્સાના આપ કંપનીના માલિક બની જાવ છો.

આઈપીઓમાં રોકાણ કરવાથી અને જો તમને શેરનું એલોટમેન્ટ થાય તો તમે તે શેર શેરબજારમાં વેચીને નફો મેળવી શકો છો. જો આઈપીઓની પ્રાઈઝબેન્ડ કરતાં વધુ ઊંચા ભાવે લિસ્ટિંગ થાય તો નફો થાય છે. અને જો પ્રાઈઝબેન્ડ કરતાં નીચા ભાવે લિસ્ટિંગ થાય તો નુકસાન થાય છે. ટૂંકમાં લિસ્ટિંગ થયા પછી તે કંપનીની શેરની લે-વેચ કરી શકાય છે. અને ધારો કે તમને શેર એલોટ થયા અને તમે હોલ્ડ કરી રાખો તો કંપની તરફથી વાર્ષિક ડિવિડંડ, વચગાળાનું ડિવિડંડ સહિત બોનસ શેર અને રાઈટ શેરના લાભ મળે છે. તેમજ વાર્ષિક એજીએમમાં ભાગ લેવાનું આમંત્રણ પણ મળે છે.

આઈપીઓના રોકાણમાં જોખમ હોય છે ખરુ?

હા… શેરબજારમાં કરેલ દરેક રોકાણ જોખમને આધીન હોય છે. તેવી જ રીતે આઈપીઓમાં કરેલ રોકાણ જોખમને આધીન હોય છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં દેશનો સૌથી મોટો આઈપીઓ હૂંડાઈ મોટરનો આવ્યો હતો, તેણે 1960માં શેર આપ્યા અને લિસ્ટિંગ થયું 1934માં… દેખીતી રીતે હૂંડાઈ મોટરના આઈપીઓમાં રોકાણકારોને નુકસાન થયું હતું. પ્રાઈઝબેન્ડ કરતાં ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું. આ તો માત્ર એક ઉદાહરણ છે. એટલે આઈપીઓમા રોકાણ કરતાં પહેલા કેટલીક બાબતો સમજવી જોઈએ.

આઈપીઓમાં કેવી રીતે રોકાણ કરી શકાય

આઈપીઓમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ તમારે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા જરૂરી છે. જે દેશના શેરબજારના સત્તાવાર શેરદલાલ એટલે કે બ્રોકરેજ હાઉસમાં જઈને ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો, જેના માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને નોમિનેશન સહિત તમારા બેંકના સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટની વિગતોના પુરાવા આપવાના આવે છે. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખૂલી જાય પછી તમે આઈપીઓમાં રોકાણ કરી શકો છો. અને આઈપીઓમાં રોકાણ આપ ઓનલાઈન પણ કરી શકો છો. આપ મોબાઈલમાં એક ક્લિક કરીને આઈપીઓમાં રોકાણ કરી શકો છો, તેટલી આધુનિક ડિજિટલ સગવડ થઈ ગઈ છે.

આપ આઈપીઓમાં રોકાણ કરો તો તેટલી જ રકમ તમારા બેંક એકાઉન્ટમાં બ્લોક થાય છે. (તે રકમ ડેબિટ થતી નથી.) ધારો કે તમે ભરેલ આઈપીઓમાં શેર એલોટ ન થયા અને રીફંડ થયું તો તેવા કિસ્સામાં તમારા બેંક ખાતામાં જેટલી રકમ બ્લોક થઈ હતી, તેટલી જ રકમ અનબ્લોક થઈ જશે. અને ધારો કે શેર એલોટ થયા તો તેટલી રકમ તમારા ખાતામાં ડેબિટ થઈ જશે. અને એલોટ થયેલા શેર તમારા ડીમેટ ખાતામાં જમા આવી જશે.

પ્રાઈઝબેન્ડ અને લોટ સાઈઝ એટલે શું?

IPOમાં પ્રાઈઝબેન્ડ અને લોટ સાઈઝ ખુબ મહત્વના હોય છે. કોઈપણ આઈપીઓ ભરવા માટે ત્રણથી પાંચ દિવસ સુધી ખુલ્લો રહી શકે છે. આઈપીઓ લાવતાં પહેલાં કંપની શેરની એક પ્રાઈઝબેન્ડ નક્કી કરે છે. તે પ્રાઈઝબેન્ડ દ્વારા આપ તેટલી રકમથી શેરમાં રોકાણ કરી શકો છો. કંપનીના વેલ્યૂએશન અને કંપનીના પ્રોફિટ લોસ મુજબ કંપની પ્રાઈઝબેન્ડ નક્કી કરતી હોય છે.

લોટ સાઈઝ કંપની નક્કી કરતી હોય છે કે આઈપીઓમાં કેટલી લોટ સાઈઝ રાખવી. તે લોટ સાઈઝ મુજબ જ આઈપીઓમાં આપ રોકાણ કરી શકો છો. સેકન્ડરી માર્કેટમાં આપ એક કે બે કે ત્રણ કે લાખો શેર ખરીદી શકો છો. પણ આઈપીઓમાં કંપનીએ નક્કી કરેલી લોટ સાઈઝમાં જ શેર એપ્લાય કરી શકો છો.

આઈપીઓ દ્વારા શેરોનું વેચાણ બે રીતે થાય છે. એક તો કંપની ફ્રેશ ઈક્વિટી શેર ઈસ્યૂ કરે છે. તે દ્વારા કંપનીને મળેલી રકમ કે મૂડીનો ઉપયોગ કંપનીના વિકાસ, વિસ્તરણ કે ઉત્પાદન વધારવા માટે કરાય છે. જ્યારે કેટલીક કંપનીઓ ઓફર ફોર સેલ કરતી હોય છે એટલે કે કંપનીઓ પોતાનો હિસ્સો વેચીને બહાર નીકળવા માંગતી હોય છે. તેમાં કંપનીને કોઈ પૈસા મળતા નથી. આવો આઈપીઓ ભરતાં પહેલા રોકાણકારોએ સજાગ રહેવાની જરૂર હોય છે.

કેટલીક કંપનીઓના આઈપીઓ ઓવર સબસ્ક્રાઈબ થયા હશે, તેવું તમે સાંભળ્યું હશે. કંપની ફંડામેન્ટલી મજબૂત હોય અને નીચા પ્રાઈઝબેન્ડથી શેર વેચાણ માટે આવ્યા હોય તો રોકાણકારો ખૂબ મોટી સંખ્યામાં શેર ખરીદવા માટે એપ્લાય કરતાં હોય છે. તેવા કિસ્સામાં કંપનીએ જેટલી શેરમૂડી મેળવવા માટે રકમ નક્કી કરી હોય તેના કરતાં વધુ રકમ મળે ત્યારે તે આઈપીઓ ઓવર સબસ્ક્રાઈબ થયો તેમ કહેવાય. ઓવર સબસ્ક્રાઈબના કિસ્સામાં કંપનીઓ દ્વારા કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા શેરનું એલોટમેન્ટ કરાય છે. જેને શેર ન લાગે તેને તેટલી રકમ રીફંડ કરી દેવાય છે. કેટલીક કંપનીઓ એવી પણ હોય છે કે તેનો આઈપીઓ ન ભરાયો તો કંપની પોતાનો આઈપીઓ પરંત પણ ખેંચી શકે છે.

આઈપીઓ અંગેની પ્રાથમિક સમજ મેળવ્યા પછી હવે ખૂબ મહત્વની વાત કે રોકાણ કરતાં પહેલા કઈ બાબતોનું ધ્યાન રોકાણકારોએ રાખવું જોઈએ….

રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા આઈપીઓની સાઈઝ શું છે, તેની પ્રાઈઝબેન્ડ શું છે. કંપની કઈ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આઈપીઓ લાવી રહી છે. જે કંપની આઈપીઓ લાવી રહી છે, તેની બુક વેલ્યૂ કેવી છે, તેના વાર્ષિક નફા નુકસાન અને વાર્ષિક અહેવાલનો અભ્યાસ કરવો જોઈએ. કંપનીના બોર્ડ મેનેજમેન્ટમાં કોણ કોણ છે? કંપની કયા સેકટરમાં કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે કે કયો બિઝનેશ કરે છે? કંપનીની ઓર્ડરબૂક કેવી છે? પછી જ રોકાણ કરવું જોઈએ. જો આટલી બાબતો જાણીને આઈપીઓમાં રોકાણ કરશો તો તમને નુકસાન વેઠવાનો વારો નહી આવે.

આ હતી આઈપીઓમાં રોકાણની એ ટુ ઝેડ માહિતી

Related Posts

Leave a Comment