સરકારી બેંકોમાં તમારા પૈસા કેટલા સલામત?

by Investing A2Z

બેંકો સાથે ફ્રોડ થયાના સમાચારો આવ્યા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટોચના 30 નાદારોની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી બેંકોની નોન પર્ફોમિંગ એસેટ્સ(એનપીએ) વધતી જતી હતી, તેવા સમાચાર આવતાં હતાં, જે ચિંતાનો વિષય હતો, બેંકોની એનપીએ ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે બેંકોમાં નવી મૂડી ઠાલવી તે તમામ સમાચાર તો આવી ગયાં છે, પણ હવે નવા સમાચાર આવ્યાં છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારમને સંસદના શિયાળુ સત્રમાં સત્તાવાર માહિતી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર, 2019 સુધીમાં ભારતની સરકારી બેંકોમાં રૂપિયા 95,800 કરોડની છેતરપિંડી થઈ છે. આ સમાચાર વાંચીને દરેક બેંકના ખાતાધારકને આંચકો લાગે તે સ્વભાવિક છે, અને પ્રશ્ન પણ થાય કે શું બેંકમાં મૂકેલા મારા નાણાં સલામત છે? અને બીજો  સવાલ એ થાય કે બેંકોનો આ તે કેવો વહીવટ? અને ત્રીજો સવાલ બેંકો પર નિયમન રાખનાર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કોઈ જવાબદારી જ નહી?

સંસદના શિયાળુ સત્રની શરૂઆતે જ નાણાંપ્રધાન નિર્મલા સીતારમને સંસદને સત્તાવાર જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર, 2019 સુધીના સમયગાળામાં ભારતની સરકારી બેંકોમાં રૂપિયા 95,800 કરોડની છેતરપિંડી થઈ છે. છ મહિનામાં જ બેંકો સાથે ફ્રોડના 5,743 કેસ નોંધાયા છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં રૂપિયા 25,400 કરોડની છેતરપિંડી સામે આવી છે. ત્યાર પછી પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 10,800 કરોડ, બેંક ઓફ બરોડામાં રૂપિયા 8300 કરોડની છેતરપીંડી થઈ છે. આ કોઈ નાનીસૂની રકમ નથી. પરસેવાની કમાણી બેંકમાં જમા કરનારાની મૂડી છે. સરકારી બેંકોમાં જ આવી છેતરપિંડી વધુ જોવા મળી રહી છે. શું કારણ હોઈ શકે, તે બાબતે સરકારે સો ટકા વિચાર કરવો જોઈએ.

વિવિધ બેંકો સાથે કેટલી છેતરપિંડી…

(1) એસબીઆઈ- 2939 કેસ- રૂ.25,416 કરોડની છેતરપિંડી

(2) પીએનબી- 225 કેસ- રૂ.10,821 કરોડની છેતરપિંડી

(3) બેંક ઓફ બરોડા- 180 કેસ- રૂ.8273.43 કરોડની છેતરપિંડી

(4) અલાહાબાદ બેંક-724 કેસ- રૂ.6,508 કરોડની છેતરપિંડી

(5) બેંક ઓફ ઈન્ડિયા- 127 કેસ- રૂ.5,412 કરોડની છેતરપિંડી

(6) યુકો બેંક- 57 કેસ- રૂ.4,474 કરોડનો છેતરપિંડી

(7) કેનેરા બેંક 116 કેસ- રૂ.4400 કરોડની છેતરપિંડી

(8) ઈન્ડિયન ઓવરસીઝ બેંક- 97 કેસ- રૂ.4,289 કરોડની છેતરપિંડી

(9) ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ- 114 કેસ- રૂ.3,908 કરોડની છેતરપિંડી

(10) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા- 157 કેસ- 3,776 કરોડની છેતરપિંડી

સરકારે સ્પષ્ટતા કરી છે કે છેલ્લાં બે વર્ષમાં નિષ્ક્રિય કંપનીઓના 3,38,000 બેંક ખાતાં સ્થગિત કરી દેવાયા છે. નાણાંપ્રધાને વધુમાં કહ્યું હતું કે નવો કાયદો અમલમાં આવ્યા પછી અપરાધ આચરીને કે બેંક ફ્રોડ કરીને વિદેશ ભાગી જનાર અપરાધીઓની મિલકતો ટાંચમાં લેવામાં આવે છે. પણ બેંક ફ્રોડ જ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. મિલકતો ટાંચમાં લેવી એ તો ફ્રોડ થયા પછીની વાત છે, પણ ફ્રોડ જ ન થાય તે માટે સલામતી ફૂલપ્રુફ સીસ્ટમ ગોઠવવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે 2016માં બેંકરપ્સી અને ઈન્સોલવન્સી એક્ટ અમલી બનાવ્યો છે. તે અમલમાં આવવા છતાં બેંક ફ્રોડ ઘટ્યાં નથી. ખરેખર તો બેંક ફ્રોડ ન થાય તે માટે એક્ટ તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે. કયાં સુધી કેન્દ્ર સરકાર બેંકોને ભંડોળ આપશે. આરબીઆઈએ આગળ આવીને કેન્દ્ર સરકારને યોગ્ય સલાહ સૂચન કરવા જોઈએ.

ત્યાર પછી બીજા એક સમાચાર પર નજર કરીએ તો સુપ્રીમ કોર્ટના આદેશના 4 વર્ષ પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 50 હજાર કરોડ રૂપિયા ચાંઉ કરનારા 30 મોટા બેંક ડિફોલ્ટરોના નામની યાદી જાહેર કરી હતી, જે 30 નામ છે, તેમાંથી 6 ગુજરાતની કંપની છે.

બેંકોને એનપીએનો બોજ અને બીજી તરફ કેટલીક બેંકોએ મસમોટું નુકસાન નોંધાવ્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં રૂ.1194 કરોડની ખોટ થઈ છે. યુકો બેંકને 892 કરોડની ખોટ થઈ છે. બિહારના બહુચર્ચિત એક હજાર કરોડના ગોટાળા મામલે સીબીઆઈની તપાસ ચાલી રહી છે. આ ગોટાળામાં સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડ અને સરકારી અધિકારીઓની મીલીભગત હોવાની તપાસ ચાલી રહી છે. બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકના કેટલાક અધિકારીઓ સામે કેટલાય અપરાધો, છેતરપિંડી સહિતના કેસ નોંધાયેલા છે.

બેંકોના આવા વહીવટથી નાણાંપ્રધાન વ્યથિત થયાં છે, નિર્મલા સીતારમન તાજેતરમાં જ ચેન્નઈમાં એક બેંકના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગયાં હતાં, ત્યાં તેમણે બેંકોના વહીવટ અંગે પોતાનું દિલ ખોલીને વાતો કરી હતી. નાણાંપ્રધાન કહ્યું હતું કે બેંકોએ તેમના બિઝનેસનું વિસ્તરણ કરતાં પહેલાં પોતાની તાકાત અને નબળાઈનું સારી રીતે આકલન કરવું જોઈએ. બેંકોમાં આજકાલ હોડ મચી છે, પૂરા દેશમાં શાખાઓ ખોલવી, આ હોડને કારણે બેંકોનો વિસ્તાર એ લાંબાગાળે બેંકો માટે નુકસાનકારક છે. નાણાંપ્રધાને તો ત્યાં સુધી કહી દીધું કે લોકોને બેંક નામ પ્રત્યે હવે શંકા ઉભી થઈ રહી છે. બેંકના એક કર્મચારીની નાની ભૂલ બેંકના કામ પર સવાલ ઉભો કરી શકે છે. બેંકોના આર્થિક નુકસાનને કારણે બેંકોની છબિને પણ વિપરીત અસર પડી છે. બેડ લોનનો બોજો વધી ગયો છે, તેને કારણે જ બેંકોને ભારે નુકસાન ગયું છે. એ જ કાર્યક્રમમાં આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નરે કહ્યું હતું કે બેંકોએ વધારે પારદર્શી થવાની જરૂર છે. બેડ લોન અને ફ્રોડ જેવી ઘટનાઓ અંગે જાહેર કરવું જ જોઈએ. જેટલું છુપાવવામાં આવશે, તેટલો બેંકોનો પાયો નબળો પડશે અને તેની ક્ષમતા ઘટી જશે.

ખુદ નાણાંપ્રધાન જ બેંકોના વહીવટની ચિંતા કરતાં હોય તો હવે બેંકમાં નાણાં જમા કરનારાં ખાતાધારકોએ તો 100 ટકા ચિંતા કરવી જોઈએ. કે હવે પછીના સમયમાં મારા બેંકમાં પૈસા કેટલા સલામત. સરકાર બેંકોની જવાબદારી ફિક્સ નહીં કરે ત્યાં સુધી આવા કેસો બનતાં જ રહેશે. બેંકો પર નિયમન કરનારી આરબીઆઈએ પણ બેંકોના ધીરાણ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ધીરાણ લેવા આવનાર કંપનીઓનો પ્રોફાઈલ અને ડીરેક્ટરોના પેમેન્ટની હિસ્ટ્રી બેંકોએ તપાસવી જોઈએ, નવી કંપનીઓને લોન આપતાં પહેલાં તેમના પ્રોજેક્ટની જમીન કે પ્લાન્ટની ચકાસણી અને તેના પર જ લોન આપવી જોઈએ. જો કોઈને કોઈ રીતે ધીરાણ આપતાં અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. તો જ બેંકો સાથે ફ્રોડ નહીં થાય.

પરસેવાની કમાણીના નાણાંનો વહીવટ બેંકો કરી રહી છે, જેથી બેંકોના અધિકારીઓએ પોતાના ઘરમાં જે રીતે પૈસાનું પ્લાનિંગ કરે છે, અને તે જ રીતે બેંકમાં પણ પ્લાનિંગ કરીને કામ કરવું જોઈએ. દેશહિતમાં બેંકોના દરેક કર્મચારીઓએ કામ કરવું જોઈએ. અને ઈકોનોમીને મજબૂત કરવા માટે ભારતની બેંકો વધુ મજબૂત હોવી જોઈએ તે તેની પ્રથમ જરૂરિયાત છે. બેંકોની મજબૂતી થકી જ ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ આગળ વધશે અને કેન્દ્ર સરકારના આયોજન મુજબ ભારતીય અર્થતંત્ર 5 ટ્રીલીયન ડોલરનું થશે.

Related Posts

Leave a Comment