એપ્રિલમાં સોનાની આયાતમાં 99.5 ટકાનો ઘટાડો

by Investing A2Z

કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. વિશ્વના દેશોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ચેપ વધુ ઝડપી ફેલાયો છે. 40 દિવસના લૉક ડાઉન પછી ફરીથી 17 મે,2020 સુધીનું લૉક ડાઉન પાર્ટ 3 છે. વેપારધંધા ઠપ છે. તમામ ફેકટરીઓ બંધ છે, ઉત્પાદન બંધ છે. વિમાનની આવનજાવન બંધ છે, અને ભારતમાં જ્વેલરી શોપ્સ બંધ છે. આ સંજોગોમાં એપ્રિલમાં સોનાની આયાતમાં 99.5 ટકાનો મોટો ઘટાડો થયો છે, જે પાછલા 30 વર્ષમાં સુધી ઓછી આયાત છે.

ભારત વિશ્વમાં સોનાની આયાત કરતો બીજા નંબરનો દેશ છે. તેમ છતાં એપ્રિલ, 2020માં ભારતે માત્ર 50 કિલો સોનાની આયાત કરી છે. વીતેલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 110.18 ટન સોનાની આયાત કરી હતી. કીમતમાં વાત કરીએ તો એપ્રિલમાં ગોલ્ડની આયાત એક વર્ષ પહેલા 3.97 બિલિયન ડૉલરની સરખામણીએ એપ્રિલ, 2020માં ઘટી 2.84 મીલીયન ડૉલરની થઈ છે. એપ્રિલમાં લૉક ડાઉનને કારણે આયાત નજીવી થઈ છે. તેની પાછળનું કારણ એ છે કે લૉક ડાઉનને પગલે અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર કેટલાય ઉદ્યોગો બંધ છે. ભારતમાં એરલાઈન્સ સંપૂર્ણ બંધ છે, જેને કારણે સોનાની આયાત થઈ શકી નથી. તેમજ જ્વેલરી ઉદ્યોગ ટોટલ બંધ હોવાને કારણે નવી ડિમાન્ડ આવી જ નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1747 ડૉલર વર્ષની નવી હાઈ બનાવ્યા પછી પાંચ મેના રોજ ગોલ્ડનો ભાવ 1699-1700 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે કોરોના વાયરસ આવ્યો પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચરમાં નવા બાઈંગથી ભાવ સતત ઊંચકાયો હતો. જોકે ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી ટ્રેડવૉરનો આરંભ થશે, જે ગણતરી પાછળ ગોલ્ડમાં ઊંચા મથાળે સેલીંગ પ્રેશર રહ્યું હતું. પણ સામે કોરોના વાયરસનો કેર હોવાથી ગોલ્ડમાં નવી ખરીદી કરતાં અટક્યા છે.

બીજી તરફ ભારતમાં 40 દિવસના લૉક ડાઉન પછી ઉદ્યોગધંધાની સ્થિતિ કથળી છે. નવી આવક નથી, અને સામે ખર્ચ તેમજ સેલરી ચુકવવાની ઉભી છે, જેથી ગોલ્ડ ખરીદવા કોણ આવે તે સવાલ છે. ભારતમાં એક લગ્નગાળો લૉક ડાઉનમાં પુરો થઈ ગયો છે. જેથી તેની ખરીદી તો આવી નથી, કોણ જાણે લૉક ડાઉન કયારે ખૂલશે. અને બધા વેપારધંધા કયારે શરૂ થશે, જે પ્રશ્નાર્થ છે. ચીન સાથે વિશ્વના તમામ દેશો ટ્રેડ બંધ કરી દેશે, જેનો સીધા લાભ ભારતને મળે તેવી શકયતાઓ છે. પણ હાલ તો ભારત પણ કોરોનાના કેરમાં છે. તેમાંથી બહાર નીકળે પછી વિચારશે. પણ હાલ કોરોનામાંથી કયારે બહાર નીકળીશું, અને કયારે લૉક ડાઉન હટશે, તે અતિગંભીર પ્રશ્ન છે.

Related Posts

Leave a Comment