સોનાચાંદી બજારમાં તેજીની આગેકૂચ રહી હતી. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું ગત સપ્તાહની સામે 10 ગ્રામે રૂપિયા 1000 વધી રૂપિયા શુક્રવારે 73,000નો ભાવ બોલાયો હતો. અને ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 500 વધીને રૂપિયા 82,000 થયો હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 71,540 રહ્યો હતો.
ગત સપ્તાહના વીડિયોમાં સોનાચાંદીમાં તેજીનો ટોન રહેશે, તેમ જણાવ્યું હતું. સપ્તાહને અંતે ગોલ્ડ ડિસેમ્બર ફયુચર 2548.30 ડૉલરની નવી હાઈ બનાવી હતી. અને સિલ્વર સપ્ટેમ્બર ફયુચર 29.09ની હાઈ બનાવી હતી.
ફેડરલ રીઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બરમાં વ્યાદ દરમાં ઘટાડો કરશે તેવા અહેવાલોને પગલે સોનાચાંદીમાં સતત ખરીદી ચાલુ રહી હતી. આથી સોનાચાંદીના ભાવ સતત વધ્યા હતા. અને ખાસ કરીને શુક્રવારે સોનાચાંદીના ભાવ ઉછળીને આવ્યા હતા.
સ્પોટ સોનું 1.50 ટકા વધીને 2493-2494 ડૉલર હતું. એટલે કે સપ્તાહને અંતે ગોલ્ડ અને સિલ્વર બન્ને વધીને આવ્યા હતા. અમેરિકામાં જુલાઈ મહિનાનો મોંઘવારી દર ઘટીને 3 ટકાની નીચે આવ્યો હતો. આથી એવુ મનાય છે કે હવે ફેડ રેટ કટ પચાસ બેસીસ પોઈન્ટ આવવાનો હતો, તેના સ્થાને પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવશે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તંગદિલી વધશે એવા અહેવાલોને પગલે પણ સોનાચાંદીમાં નવું બાઈંગ આવ્યું હતું. આગામી દિવસોમાં જીઓ પોલિટિકલ ટેન્શન વધશે તેવી ધારણાએ સોનુ ચાંદીમાં દરેક ઘટાડે ખરીદી કરવા આગળ આવવું જોઈએ. સોનુંચાદીના ભાવ હજી વધુ વધવાની ગણતરીને નકારી શકાય નહી.
બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે એપ્રિલ-જુલાઈ 2024-25 દરમિયાન ભારતની સોનાની આયાત 4.23 ટકા ઘટી 12.64 બિલિયન ડૉલર થઈ હતી. જેના કારણે વેપાર ખાદ્યમાં વધારો થયો હતો. આયાતમાં ઘટાડો થયો હોવા છતાં સોનાચાંદીના ભાવ ઊંચા રહ્યા હતા.
ભારતમાં કસ્ટમ ડ્યૂટી ઘટી છે, જેથી ભારતના સોનાચાંદીના ભાવ નીચા રહ્યા હતા. ભારતમાં આગામી દિવસોમાં શ્રાવણના તહેવારો, નવરાત્રિ અને પછી દિવાળી આવી રહી છે, જેથી સોનાચાંદીમાં ઘરેલું ડિમાન્ડ રહેશે અને કસ્ટમ ડ્યૂટી ઘટી હોવાથી આયાત પણ વધશે. તેની સામે ચાંદીની આયાત એપ્રિલ-જુલાઈ 2024 દરમિયાન નોંધપાત્ર વધારો 648.44 મિલિયમ ડૉલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 214.92 મિલિયન ડૉલર હતી. આમ ચાંદીની આયાતમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.
આમ આગામી દિવસોમાં સોનુંચાંદીના ભાવ વધુ વધવાની શકયતા છે. ટેકનિકલી પણ ગોલ્ડ સિલ્વર મજબૂત છે. બીજુ ડિમાન્ડ પણ નીકળવાની આશા છે. ભારતમાં ચોમાસાની પ્રગતિ ખૂબ સારી છે. આમ બધી બાજુના કારણો પોઝિટિવ છે. આથી સોનાચાંદીમાં દરેક ઘટાડે લેનારને ફાયદો થશે.