ચીનથી 1000 કંપનીઓ ભારતમાં આવવા આતુર

by Investing A2Z

ચીનના વુહાનથી પ્રસરેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. 37 લાખથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે, અને 2.50 લાખથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વના મોટાભાગના દેશો ચીનથી નારાજ થયા છે. કોરોના વાયરસ માટે ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પે કોરોનાની મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવી છે. મહાસત્તાઓની લડાઈમાં ત્રીજો ફાવે તે ન્યાયે ચીનમાંથી 1000 કંપનીઓ ભારતમાં આવવા આતુર છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કરશે.

ભારત સરકારે એપ્રિલમાં અમેરિકામાં વિદેશી મિશન દ્વારા 1000થી વધુ કંપનીઓનો સંપર્ક કર્યો હતો, અને ભારતમાં મેન્યુફેકચરિંગ યુનિટ લાવવા માટે કેટલાય પ્રોત્સાહક ઓફરો કરી છે. એક રીપોર્ટ છે કે ભારતની પ્રાથમિકતા મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવનારી કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ, ટેક્સટાઈલ કંપનીઓ લેધર અને ઓટો પાર્ટ્સ બનાવનારી કંપનીઓ છે. હાલમાં જ ભારતે 550 ઉત્પાદક કંપનીઓને ભારતમાં શીફટ કરવા માટે વાતચીત કરી રહી છે.

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉર અને ત્યારપછી કોરોના વાયરસના મુદ્દા પર અમેરિકા અને ચીન વચ્ચેના સંબધો વધુ ખાટા થયા છે. અમેરિકાની કંપનીઓ ચીનમાં કરેલ રોકાણને પાછુ ખેંચી લેશે. તેમજ તેઓ ભારતમાં રોકાણ કરવા આવે તેવી મજબૂત ધારણા છે. જાપાન ચીનમાંથી પોતાની ફેકટરીઓ હટાવવા માટે 2.2 અબજ ડૉલરની મદદ કરશે. જ્યારે યુરોપીય સંઘના દેશોએ ચીનમાંથી આવતા માલસામાનની આયાત ઘટાડવા નિર્ણય કર્યો છે, અને આત્મનિર્ભર બનવાની યોજના તૈયાર કરી છે.

ભારતને એવી આશા છે કે તેઓ ચીનથી ખાસ કરીને હેલ્થકેર પ્રોડક્ટસ અને ડિવાઈસીઝ બનાવતી અમેરિકી કંપનીઓને ભારતમાં લાવવામાં સફળ થશે. અને તે માટે મેડટ્રોનિક પીએલસી અને એબોટ લેબોરેટરીને ચીનથી ભારત લાવવા માટેની વાતચીત ચાલી રહી છે. મેડટ્રોનિક અને એબોટ પહેલેથી જ ભારતમાં ઉપસ્થિત છે, માટે તેને ચીનથી તેની મશીનરી ભારતમાં લાવવા માટે કોઈ બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહી. ચીન છોડનારી કંપનીઓને આકર્ષવા માટે ભારત યુરોપીય દેશ લક્ઝમબર્ગથી લગભગ બમણા આકારનો લેન્ડ પુલ વિકસિત કરી રહ્યું છે. તેના માટે દેશભરમાં 4,61,589 હેકટર જમીનને નક્કી કરાઈ રાખી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં 1,15,131 હેકટર જમીન ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ છે. વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે લક્ઝમબર્ગ કુલ 2,43,000 હેકટરમાં ફેલાયેલું છે.

હાલ વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છો. કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ થાય કે નિયંત્રણમાં આવે પછી ભારત માટે ઉજળી તકો સામે આવશે, અને ભારત આવનાર સમયમાં મેન્યુફેકચરિંગ હબ બનશે તે નક્કી છે. જાપાન, અમેરિકા અને દક્ષિણ કોરિયા જેવા કેટલાય દેશો ચીન પર વધારે નિર્ભર છે, તેઓ પણ હવે વિચારી રહ્યા છે કે ચીન સાથેના નિર્ભરતા કેવી રીતે ઓછી કરી શકાય.

ભારત સરકાર દેશમાં મેન્યુફેકચરિંગ વધારવા માટે ગત બજેટમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. નવી ફેકટરી નાખનાર માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 17 ટકા કર્યો છે, જે દક્ષિણ પૂર્વ એશિયાના દેશામાં સૌથી ઓછો છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને દેશભરમાં જીએસટી લાગુ હોવાથી મેન્યુફેકચરિંગ સેકટરમાં ખુબ મોટુ રોકાણ આવી શકે છે.

એક કારણ એ પણ છે કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે આપેલ લૉક ડાઉનના વિશ્વમાં ખુબ વખાણ થયા છે. ‘જાન હે તો જહાન હૈ’ આ વાક્ય ખુબ ચાલ્યું છે. આપણે કહીએ છે ને કે જીવતા હોઈશું તો બધુ કમાઈ લેશું. તે ઉક્તિ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને અટકાવવામાં ખુબ જ મહત્વનો રોલ અદા કર્યો છે. 135 કરોડના વસ્તીવાળા ભારત દેશમાં લૉક ડાઉન એ એક જ ઉપાય હતો, અને તે અપનાવ્યો છે. તેની સીધી અને સારી અસર વિશ્વભરના રોકાણકારો પર પડી છે. ભારતના પગલાના વખાણ થયા છે, જેને પગલે વિશ્વભરના રોકાણકારોની રોકાણ માટે સૌપ્રથમ પસંદ ભારત હશે.

બીજી તરફ કોરોના વાયરસનો ખતરો ટળી જશે પછી ભારત સરકાર નવું આર્થિક પેકેજ જાહેર કરીને વિદેશી રોકાણને આકર્ષવા માટે નવી રાહતો આપશે. જેથી કોરોનાથી થયેલ નુકસાનને ભરપાઈ કરી શકાય. તેમજ જીડીપી ગ્રોથ જે રીતે ઘટ્યો છે, તે ગ્રોથને ઉપર લઈ જવા માટે વિદેશી રોકાણ આકર્ષવું ખુબ જ જરૂરી થઈ પડશે અને આ તકને ભારત 100 ટકા નહી જવા દે.

Related Posts

Leave a Comment