UAE ના ટોલરન્સ મિનિસ્ટર શેખ નહયાન અને મહંત સ્વામી મહારાજને સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા સૌએ વધાવી લીધા

વસંત પંચમીના પવિત્ર દિવસે તારીખ 14 ફેબ્રુઆરી, 2024ને બુધવારે સવારે પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ ગર્ભગૃહોમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. BAPS ના વરિષ્ઠ સંતો પણ વિવિધ ખંડોમાં વૈદિક પ્રતિષ્ઠા વિધિમાં જોડાયા હતા. BAPSના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આજના જન્મોત્સવ નિમિત્તે તેઓના મહાન જીવન અને કાર્યને આ મંદિર રૂપે વધુ એક અંજલિ અર્પણ કરી BAPS ની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા અને પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવતાં આ મંદિર દ્વારા સૌને જીવનમાં શાંતિ, સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

હિન્દુ મંદિરના લોકાર્પણના ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં BAPS સંસ્થા વતી મંદિર નિર્માણમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર નિર્માણ કાર્યના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ સંસ્થા વતી પુષ્પહાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ BAPS ના આ મંદિરમાં સેવારત સંતો અને ટ્રસ્ટી મંડળના અગ્રણીઓનું અભિવાદન સ્વીકાર્યું હતું. BAPS ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વડાપ્રધાનનું પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનનું મહંત સ્વામી મહારાજે પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ ડોમ ઓફ હાર્મની માં થઈને વડાપ્રધાન સ્વામિનારાયણ ભગવાન – ગુણાતીતાનંદ સ્વામી એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજના ખંડમાં પધાર્યા હતા અને મંદિરના લોકાર્પણના સંકલ્પ અને સર્વે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત અવતારોના વૈદિક પૂજન વિધિમાં જોડાયા હતા.

નાના બાળકોએ તૈયાર કરેલી સ્મૃતિભેટોને નિહાળી વારાણસીના ગંગા ઘાટના દર્શન કર્યા હતા તથા વસુધૈવ કુટુમ્બકમના સંદેશ પર પ્રતીક કોતરકામ કર્યું હતું. UAE ના ટોલરન્સ મિનિસ્ટર શેખ નાહ્યાં બિન મુબારક અલ નાહ્યાં દ્વારા અભિવાદન સ્વીકારીને વડા પ્રધાન કાર્યક્રમના મુખ્ય સભાગૃહ માં પધાર્યા હતા. મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત આમંત્રિત બંને દેશોના રાષ્ટ્રગાનમાં જોડાયા હતા. BAPS ના સંતોએ બંને દેશોના વડાઓનું સ્વાગત કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, UAE ના ટોલેરન્સ મિનિસ્ટર મહામહિમ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાન, ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવલ સાથે સાથે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું, “અમે ભારતના વડાપ્રધાનનો ખૂબ આભાર માનીએ છીએ. મંદિરનો અર્થ એ જ છે કે જ્યાં મન સ્થિર થાય અને શાંતિ મળે, તથા શુભ સ્પંદનોની અનુભૂતિ થાય. અહીં સત્સંગ, ભક્તિ થશે, રામ નવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે ઉત્સવો ખૂબ ભવ્યતાથી ઉજવાશે, સૌને આ મંદિરનો લાભ લેવા આમંત્રણ છે.”
અબૂ ધાબી મંદિરના નિર્માણ કાર્ય ના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું, “પ્રધાનમંત્રી આધુનિક ભારતના સ્વપ્ન દૃષ્ટા છે. તેઓનું જીવન અને તેઓનો કરિશ્મા અદભુત છે. UAE ના શેખ નાહ્યાનના હૃદયમાં સંવાદિતા માટે વિશિષ્ટ સ્થાન છે. ચંદ્ર યાન પણ એક સમયે સ્વપ્ન હતું. મંગળ યાન પણ એક સમયે સ્વપ્ન હતું. તેમ આ મંદિર પણ એક સમયે સ્વપ્ન સમાન ભાસતું હતું. મંદિર માટે જ્યારે લાઇસન્સ આપવાનું હતું ત્યારે, સૌ પ્રથમ TH 001 લાઇસન્સ આ માટે આપ્યું. અબૂ ધાબીનું મંદિર સંવાદિતાનું એપી સેન્ટર છે. અહીંના શાસકોની ઉદારતા, અને આપણાં વડાપ્રધાનની સચ્ચાઈ અને મહંત સ્વામી મહારાજની પવિત્રતા, એ મંદિર ની પાછળ કારણભૂત છે.”

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આ મંદિરના સર્જન યાત્રામાં ભૂમિકાને વિડિયો દ્વારા બતાવવામાં આવ્યો હતો.

મંદિરેમાં સૌથી વધારે ફાળો મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો છે. તેમણે કરોડો ભારતવાસીઓની ઈચ્છા પૂરી કરી છે. તેમણે 140 કરોડ ભારતીયોના હૃદયને જીતી લીધા છે. ભારત અને UAE ની મિત્રતા એ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ રૂપ છે. મેં જ્યારે જમીન માટે કહ્યું ત્યારે તેમણે તરત જમીન માટે હા પાડી. મંદિરના બે મોડેલ બતાવ્યા, એક સાદું અને બીજું વૈદિક શિખરબદ્ધ, ત્યારે તેમણે સંપૂર્ણ ગૌરવ સાથે શિખરબદ્ધ મંદિર બનાવવા અનુમતિ આપી. મંદિરની ભવ્યતામાં શેખની ઉદારતાની ઝલક છે. અત્યાર સુધી દુબઈ બુર્જ ખલીફા, ગ્રાન્ડ મોસ્ક વગેરેથી જાણીતું હતું, હવે આ મંદિરથી ઓળખાશે. હું શેખ મોહમ્મદ બિન ઝાએદ, UAE ની સરકારનો અને સ્થાનિક લોકોનો ભારતીયો વતી આભાર માનું છું.

આપણાં વેદોએ કહ્યું છે, એકમ સત વિપ્રા બહુધા વદન્તિ. એક જ ભગવાનને સૌ અલગ અલગ રીતે પોકારે છે. એટલે જ આપણે બધાનું સ્વાગત કરીએ છીએ, આપણને વિવિધતામાં વેર નથી લાગ્યું, વિવિધતામાં આપણને વિશેષતા દેખાય છે. આ મંદિરમાં પ્રત્યેક પગલે વિવિધતાના દર્શન થાય છે. મંદિરમાં આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામના કરીને છીએ. આ ભવ્ય, દિવ્ય મંદિરને પૂરી માનવતા ને સમર્પિત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને નમન કરું છું.”
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં શાંતિ, પ્રેમ અને સંવાદિતાની ભાવનાને દ્રઢ કરાવી હતી, તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને યુ એ ઈ ના શાસકોનો આભાર માન્યો હતો.





