બેંકોના વિલિનીકરણથી સરકારને કેટલો અને લોકોનો કયો ફાયદો…

by Investing A2Z

બેંકોની વધતી જતી નોન પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) એ દરેક સરકાર માટે ચિંતાનો વિષય હતો. જો કે મોદી સરકારે તેના પહેલા કાર્યકાળમાં અને બીજા કાર્યકાળમાં બેંકોનું વિલિનીકરણ કરીને આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે રસ્તો શોધ્યો છે. બેંકોના વિલિનીકરણથી એનપીએમાં ઘટાડો થશે? ગ્રાહકોને શું લાભ? અને બેંકના કર્મચારીઓનું શું? રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો બેંકો પરનો કાબૂ જતો રહ્યો છે, જેથી જ કેન્દ્ર સરકારે બેંકોની એનપીએ ઘટાડવાનો મુદ્દો હાથ પર લીધો છે. બેંકોમાં કરોડો અબજો રૂપિયા રાહત પેકેજરૂપે આપ્યાં છે. લિક્વિડીટી વધારવા માટે બેંકોમાં નાણાં પમ્પ કર્યા છે, પણ તેની કોઈ અસર પડી નથી.

મોદી સરકારે બન્ને કાર્યકાળમાં સરકારી બેંકોનું મર્જર કરીને કઈ રીતે આ સમસ્યાનો હલ શોધવાનો પ્રયત્ન કર્યો છે તે સમજવા સાથે આપણે જોઈશું કે બેંકોના વિલિનીકરણથી કોને કેટલો ફાયદો થશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને 31 ઓગસ્ટે 10 સરકારી બેંકોના વિલિનીકરણ માટે અતિમહત્વની જાહેરાત કરી હતી. 10 બેંકોનું મર્જર કરીને ચાર મજબૂત મોટી બેંકો બનાવાશે.

મર્જર-1

પંજાબ નેશનલ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા(  બીજી સૌથી મોટી બેંક- જેનો બિઝનેસ રૂપિયા 17.95 લાખ કરોડ)

મર્જર-2

કેનેરા બેંક અને સિન્ડીકેટ બેંક ( ચોથી સૌથી મોટી બેંક- જેનો બિઝનેસ રૂપિયા 15.20 લાખ કરોડ)

મર્જર-3

યુનિયન બેંક, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક ( પાંચમી સૌથી મોટી બેંક-જેનો બિઝનેસ રૂપિયા 14.6 લાખ કરોડ)

મર્જર-4

ઈન્ડિયન બેંક અને અલાહાબાદ બેંક ( સાતમી સૌથી મોટી બેંક-જેનો કુલ બિઝનેસ રૂપિયા 8.08 લાખ કરોડ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મમાં જે સરકાર બની તેમાં નાણાંપ્રધાન પદે નિર્મલા સીતારમન આવ્યાં, તેમણે પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે દેશ સમક્ષ એક ટાર્ગેટ રજૂ કર્યો છે. આગામી વર્ષોમાં ભારતની પાંચ લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવાશે અને તેના માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તે રોડમેપ અનુસાર જ બેંકોનું વિલિનીકરણ થઈ રહ્યું છે અને સરકારનું વધુ ફોક્સ બેંકોને વધુ મજબૂત બનાવવાનું છે. હવે દેશમાં માત્ર 12 જ સરકારી બેંકો હશે, જેનાથી આ બેંકો પર સીધી દેખરેખ રાખી શકાશે. 8 સરકારી બેંકોને રેપો રેટ લિંક્ડ લોન લોન્ચ કર્યા છે. નવી લોન આપવામાં સુધારો કરવો તે સરકારની પ્રાથમિકતા છે, જેનાથી હવે કોઈપણ બેંકોમાં એનપીએ સર્જાય જ નહી. આમ કરવાથી બેંકોની ગ્રોસ એનપીએમાં ઘટાડો થયો છે, અને તેમની સંપત્તિમાં વધારો થયો છે.

સરકારી બેંકો પર સરકારની સીધી દેખરેખને કારણે જ લોનની રીકવરીમાં ખાસ્સો સુધારો થયો છે. 18 બેંકોમાંથી 14 બેંકો નફામાં આવી છે. સરકારી બેંકોના વિલિનીકરણ પછી દેશમાં બેંકોની સંખ્યા 27 પરથી ઘટીને 12 બેંક થઈ જશે. સરકારી બેંક ચીફ રિસ્ક અધિકારીની નિમણૂક કરશે, જેથી બેંકોના લોન રિસ્ક પર સીધી નજર રહી શકે.

કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે બેંકોના વિલિનીકરણથી સરકારી કર્મચારીઓની છટણી નહી થાય, અને બેંકોના વિલિનીકરણથી બેંકના કર્મચારીઓને લાભ થશે. બેંકો મજબૂત થશે તો કર્મચારીઓને પણ ફાયદો થશે.

નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ બેંકોના મર્જરની પ્રોસેસ થઈ હતી. તેમાં સૌથી પહેલાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તેની પાંચ સહયોગી બેંકો સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલા સહિત મહિલા બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું, પહેલી એપ્રિલ, 2017ના રોજ સ્ટેટ બેંકમાં તેની સહયોગી બેંકોનું મર્જર થયું હતું. તેમ જ પહેલી એપ્રિલથી બેંક ઓફ બરોડોમાં વિજયા બેંક અને દેના બેકનું જોડાણ કરાયું હતું.

નાણાંપ્રધાને જ્યારે 10 બેંકોના મર્જરની જાહેરાત કરી ત્યારે બેંકોમાં રૂપિયા 55,250 કરોડની મૂડી નાંખવાની જાહેરાત કરી હતી, જેથી આ તમામ બેંકોને રાહતરૂપે મૂડી મળી. આ બેંકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને તે વધુ સારી લિક્વિડિટી હોય તો બેંકો વધુ સારો બિઝનેસ મેળવી શકે.

આ વિલિનીકરણથી બેંકોને ફાયદો થશે, તેની સાથે ગ્રાહકોને વધુ સારી સર્વિસ મળી શકશે. હા ગ્રાહકોના બેંક એકાઉન્ટ નંબર, ચેકબૂક, આઈએફએસસી કોડ બદલાશે, ઈસીએસ, એસઆઈપી વગેરેની નવી માહિતી અપડેટ કરાવવી પડશે. ગ્રાહકોને નાની તકલીફ પડી શકે છે. લાંબાગાળાના ગ્રાહકના નાણાં બેંકમાં વધુ સુરક્ષિત થઈ જશે. બેંક જેમ વધુ મજબૂત બનશે તેમ ગ્રાહકોને વધુ સારી અને ડિજિટલ સેવા પુરી પાડશે. એટલે કે ગ્રાહકોની સવલતમાં વધારો થશે.

બેંકોના વિલિનીકરણથી સરકારને ચોક્કસ ફાયદો થશે. સરકારનું સ્વપ્ન છે કે 5 ટ્રીલિયન ડૉલરની ઈકોનોમી બનાવવી, તેમાં બેંકોની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેવાની છે. જેથી સરકાર સરકારી બેંકોને વધુ મજબૂત કરી રહી છે. બેંકો મજબૂત હશે, અને નાણાં ફરતાં થશે એટલે કે લિક્વિડિટી વધશે તો બેંકો વધુ સારો નફાવાળો બિઝનેસ કરી શકશે. સરકારને તેનાથી લાંબાગાળે વધુ લાભ થશે. બેંકોમાં નવી એનપીએ સર્જાય નહી તે જોવાની જવાબદારી સરકાર અને આરબીઆઈની રહેશે, અને તેમણે જ  જવાબદારી ફિક્સ કરવી પડશે.

Related Posts

1 comment

A B Panchal 19 - November - 2019 - 11:16 AM

Excellent analysis.

Reply

Leave a Comment