
રામ મંદિર માટે અનેક લોકોએ યાત્રા કાઢી, બલિદાન આપ્યા છે, અનેક હિન્દુ નેતાઓએ પોતાનો કિમતી સમય આપ્યો છે, કેટલાય લોકોએ બાધા રાખી હતી, પણ આજે હિન્દુ રાષ્ટ્ર એવા ભારતમાં રામ મંદિરનું નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે. આજે અયોધ્યા રામમય તો બન્યું હતું, પણ કોંગ્રેસ પણ પક્ષાપક્ષી ભુલીને રામમય બન્યું હતું. અયોધ્યામાં 200 આમંત્રિત મહેમાનોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિ પૂજન કરીને આધારશીલા રાખી હતી. કોરોના વાયરસની મહામારીની ગાઈડલાઈન્સનું પાલન થાય તે રીતે જ સાદાઈથી ભૂમિ પૂજન કરવામાં આવ્યું, આ ભૂમિ પૂજનનું લાઈવ પ્રસારણ હોવાથી તમામ રામ ભક્તોએ ઘરે બેઠા લાઈવ પ્રસારણ થકી ભૂમિ પૂજનનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
ભારત માટે સોનેરી પ્રકરણ

વડાપ્રધાન કહ્યું હતું કે, જેમ 15 ઓગસ્ટ દેશની આઝાદી કાજે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે, તેમ આજનો દિવસ રામમંદિર માટે પેઢીઓના સતત સંઘર્ષ અને સમર્પણનું પ્રતીક છે. તેમણે રામમંદિરનું સ્વપ્ન સાકાર કરવા માટે સંઘર્ષ કરનાર લોકોને યાદ કર્યા હતા અને નમન કર્યા હતા
શ્રીરામ – આપણી સંસ્કૃતિનો પાયો

નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આજનો દિવસ કરોડો રામભક્તોની સત્યમાં આસ્થા અને સંકલ્પનો પુરાવો છે. તેમણે દેશવાસીઓએ દર્શાવેલી મર્યાદા અને ગરિમાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે આદરણીય સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યો હતો, ત્યારે દેશવાસીઓએ જે ગરિમા અને મર્યાદા દાખવી હતી એવી જ મર્યાદા અને ગરિમા આજે પણ જોવા મળે છે. પ્રભુ શ્રીરામના વિજયમાં ગરીબો, પછાતો, દલિતો, આદિવાસીઓ એમ સમાજના તમામ વર્ગોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ સમુદાય માટે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉઠાવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજની સ્થાપના આ વર્ગોની મદદથી કરી હતી. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા સમાજનાં તમામ વર્ગને સાથે લીધો હતો. આ જ રીતે રામમંદિરનું નિર્માણ સામાન્ય નાગરિકોની મદદ અને પ્રદાન સાથે શરૂ થયું છે.
વડાપ્રધાને શ્રીરામના ચરિત્રની ખાસિયતોને યાદ કરીને કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ હંમેશા સત્યને વળગી રહ્યાં હતાં અને તેમના શાસનનો પાયો સામાજિક સંવાદિતા હતો. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા, તેઓ તેમની પ્રજાને સમાનપણે પ્રેમ કરતા હતા, છતાં તેમને ગરીબો અને જરૂરિયાતમંદો પર વિશેષ પ્રેમ અને કરુણા હતી. જીવનનું એક પણ પાસું એવું નથી, જેમાં તમને શ્રીરામના જીવનમાંથી પ્રેરણા ન મળે. આપણી સંસ્કૃતિ, ફિલોસોફી, વિશ્વાસ અને પરંપરાના કેટલાંક પાસાઓમાં શ્રીરામનો પ્રભાવ અચૂક જોવા મળે છે.
શ્રીરામ – વિવિધતામાં એકતાનો વિચાર

ભારતની બહાર દુનિયાના કેટલાંક દેશોમાં પણ શ્રીરામ પૂજનીય છે. તેમણે મુસ્લિમની બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયા જેવા દેશમાં, કમ્બોડિયા, લાઓસ, મલેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળમાં સદીઓથી રામાયણ લોકપ્રિય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇરાન અને ચીનમાં પણ શ્રીરામ લોકપ્રિય હોવાની જાણકારી મળી છે. કેટલાંક દેશોમાં રામકથાઓ લોકપ્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ દેશોના લોકો આજે પણ શ્રીરામ મંદિરના નિર્માણની શરૂઆતથી રાજી થયા છે.
સંપૂર્ણ માનવતા માટે પ્રેરકબળ
વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, આ મંદિર આગામી યુગો માટે સંપૂર્ણ માનવજાત અને માનવતા માટે પ્રેરકબળ બની રહેશે. તેમણે કહ્યું હતું કે, શ્રીરામનો સંદેશ, રામમંદિર અને આપણી સદીઓ જૂની પરંપરાઓ આખી દુનિયામાં પહોંચશે. આ બાબતને ધ્યાનમાં રાખીને રામ સર્કિટ દેશમાં બની રહી છે.
રામરાજ્ય

પ્રેમ અને ભાઈચારાનો પાયો

કોવિડ કાળમાં ‘મર્યાદા’
વડાપ્રધાને પોતાના સંબોધનના અંતમાં હાલમાં દેશમાં કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીરામની ‘મર્યાદા’ના માર્ગનું મહત્ત્વ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલ જે પ્રકારની સ્થિતિસંજોગો છે એને ધ્યાનમાં રાખીને આપણે મર્યાદાનું પાલન કરવું જોઈએ – આપણે ‘દો ગજ કી દૂર – માસ્ક જરૂરી’ને અનુસરવું પડશે. તેમણે તમામ દેશવાસીઓની આ સૂત્રનું પાલન કરવા બદલ પ્રશંસા કરી હતી.
