શ્રાવણ માસનો પ્રારંભઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો મહોત્સવ

by Investing A2Z

શિવાલયોમાં ગુંજશે હર હર ભોલે જય સોમનાથનો નાદ…. 

સોમનાથ- શ્રાવણનો પ્રારંભ 25 જુલાઈને શુક્રવારથી થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના (Somnath Mahadev first Jyotirlinga in Gujarat) સાનિધ્યમાં શ્રાવણનો 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ તા.25/08/2025-શુક્રવાર થયો છે અને પૂર્ણાહુતી તા.23/08/2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. (Holy Shravan month of Shiva) આ મહિના દરમિયાન સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે.(Holy Shravan month begins)

બહુસ્તરીય વ્યવસ્થા

દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.(Special arrangements for devotees in Somnath)

દર્શનમાં સરળતા

શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણ ના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન ખૂબ સરળથાથી કરી શકે અને કોઈ અગવડ ન પડે તેવુ આગવું આયોજન કરવામાં આવ્યુ છે.

યાત્રીઓની વધતી સંખ્યા માટે વિશેષ વ્યવસ્થા

પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતાં વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે સંખ્યામાં આવનાર યાત્રીકો માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે. શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.

દિવ્યાંગ અને વૃદ્ધ ફ્રેન્ડલી સુવિધા

વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શ્રી સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સિટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા

શ્રી સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝરો, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહી ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તોને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.

માત્ર 25 રૂપિયામાં કરી શકાશે “મહામૃત્યુંજય યજ્ઞ”

પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન, શ્રી સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આવનાર ભાવિકો યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂપે પ્રતિવર્ષ ટ્રસ્ટ દ્વારા “મહામૃત્યુંજય યજ્ઞ”નું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈ શકે, અને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશી દ્વારા ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય, રક્ષા કંકળ, અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ મળશે.

સોમનાથની પાલખીયાત્રા

સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાનથી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. હવેથી શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માસની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવશે.

Somnath.org વેબસાઈટ પર વન સ્ટોપ સોલ્યુશન

શ્રી સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા જેમાં સોમેશ્વરપૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, શૃંગાર દર્શન પૂજા, બિલ્વપુજા, સવાલક્ષ બિલ્વપૂજા, સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે. Somnath.org પરથી સોમનાથ ટ્રસ્ટના સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી સહિતના અતિથિભવનોમાં રુમનું ઓનલાઇન બુકીંગ કરાવી શકાશે.

સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ નીચે આપ્યા છે.

ફેસબુક @SomnathTempleOfficial

ટ્વીટર @Somnath_Temple

યુટ્યુબ SomnathTemple-Official Channel

ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial

વોટ્સએપ ચેનલ somnath temple offical

તથા ટેલીગ્રામમાં 9726001008

અને ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા

શ્રાવણ માસ દરમિયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રીકોને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે RO પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીકોના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા વધારી યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રીઓની સુરક્ષા-સલામતીને મહત્ત્વ

શ્રી સોમનાથ મંદિરમાં ફાયર સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજીસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલ છે, વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામકની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ /PRO ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કીટ અને પ્રશિક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવેલ છે. ભક્તના સ્વાસ્થયને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.

તીર્થના અન્ય ધર્મસ્થાનો પર તૈયારીઓ

શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.

વિશેષ શ્રૃંગાર અને શ્રૃગાર પૂજનનો અવસર

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.

એકમાર્ગીય રસ્તો

શ્રાવણ માસ દરમ્યાન ગુરૂકુળ શંખ સર્કલથી શ્રી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગમાં પ્રવેશ કર્યા બાદ વાહનો પાર્કિંગના નિકાસ દ્વારથી રામ મંદિરથી હાઇવેને જોડતા માર્ગ પર નિકાસ કરી શકશે. યાત્રીકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટુવ્હિલર પાર્કિંગ સહિત પાર્કિંગ સુવિધા માં પણ વધારો કરવામાં આવેલ છે.

સ્વચ્છતાને પ્રાથમિકતા

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

Top Trending News

GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે બેઠક યોજાઇ, જાણો શું ચર્ચા થઈ

ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો

શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન નીચે સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

Related Posts

Leave a Comment