ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અદાણી ગ્રૂપને જંગી નુકસાન

by Investing A2Z

નવી દિલ્હી- ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ (Iran-Israel War) ચાલી રહ્યું છે. જે વચ્ચે અમેરિકાની એન્ટ્રી ગમે ત્યારે થઈ શકે છે. તેવા સંજોગોમાં છેલ્લા બે દિવસથી ગ્લોબલ માર્કેટ પર તેની નેગેટિવ અસર પડી છે. ક્રૂડના ભાવ વધ્યા છે. (Crude oil price) સ્ટોક માર્કેટ તૂટ્યા છે. તેની સાથે ભારતીય અને તે પણ ગુજરાતી એવા ગૌત્તમ અદાણીના અદાણી જૂથને જંગી નુકસાન થઈ રહ્યું છે. (Adani Group suffers huge losses amid Iran-Israel war)

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અદાણી ગ્રૂપ પર મોટી અસર પડી રહી છે. અદાણી પોર્ટ્સના શેરમાં (Adani Port shares fall) છેલ્લા 10 દિવસમાં લગભગ 10 ટકાનું ગાબડું પડી ચુક્યું છે. આથી અદાણીની નેટવર્થમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થમાં (Gautam Adani’s net worth drops) અંદાજે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APEZ) ના શેરમાં છેલ્લા 10 દિવસમાં અંદાજે 10 ટકાનું ગાબડું પડ્યું છે. શેરના ભાવના ઘટાડાનું સૌથી મોટું કારણ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ છે. હકીકતમાં ગયા અઠવાડિયે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને ઘણી બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. (Fear of Iran attacking Haifa port in Israel) અહીં હાઈફા પોર્ટ ઈઝરાયલનું એક મુખ્ય બંદર છે. જેમાં ગૌતમ અદાણીની અદાણી પોર્ટ કંપનીનું નોંધપાત્ર રોકાણ છે.  અદાણી પોર્ટ્સે જાન્યુઆરી 2023માં ઈઝરાયલના ગેડોટ ગ્રુપ સાથે મળીને હાઈફા પોર્ટમાં 70 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદો લગભગ 1.18 બિલિયન ડૉલરમાં થયો હતો.

ઈઝરાયલની આયાતમાં હાઈફા પોર્ટનો 30 ટકા હિસ્સો છે. તે ઉપરાંત હાઇફા ઇઝરાયલનું એક મુખ્ય નૌકાદળ મથક છે. હૂમલામાં હાઇફા બંદરને કોઈ નુકસાન થયું નથી અને કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે.

જોકે, રોકાણકારોને ડર છે કે જો ઇરાન હાઇફા બંદર પર હૂમલો કરે છે, તો તે બંદરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. હૂમલાને કારણે બંદરની વેપારિક પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે અને કંપનીને મોટું નાણાકીય નુકસાન થઈ શકે છે. આ કારણે જ શેરબજારમાં રોકાણકારો તેના શેર વેચી રહ્યા છે.

10 જૂન, 2025ના રોજ અદાણી પોર્ટનો શેર 1473.80 રૂપિયા પર બંધ થયો. ત્યારથી તે સતત ઘટી રહ્યો છે. આજે એટલે કે શુક્રવારે આ શેર 1338  રૂપિયા પર ખુલ્યો હતો અને વધુ તૂટી 1334 થયો હતો. આવી સ્થિતિમાં 10 જૂનથી અત્યાર સુધીમાં આ શેરનો ભાવ 10 દિવસમાં 137 રૂપિયા તૂટી ગયો છે. (10 ટકા તૂટ્યો છે)

શેરના ભાવમાં ઘટાડાને કારણે અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની કુલ સંપત્તિમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં અદાણીની કુલ સંપત્તિમાં 1.19 બિલિયન ડૉલર (ભારતીય રૂપિયા 10,310 કરોડ)નો ઘટાડો થયો છે. તેઓ 79.2 બિલિયન ડૉલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના 20મા સૌથી ધનિક વ્યક્તિ છે.

Related Posts

Leave a Comment