અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન, જાણો તેમની જીવન સફર

by Investing A2Z

અમદાવાદ- અમદાવાદમાં એર ઈન્ડિયા બોઈંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે એટલે કે અમદાવાદના મેઘાણીનગરના રહેણાંક વિસ્તાર પર પ્લેન તૂટી પડ્યું હતું. (Ahmedabad plane crash) એર ઈન્ડિયાની આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી, તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હતા અને તેમના નિધનના સમાચાર મળી રહ્યા છે. (Former Gujarat CM Vijay Rupani dies in Ahmedabad plane crash)

જાણકારી મળ્યા મુજબ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી (Gujarat Ex. CM Vijay Rupani) લંડન જવા નીકળ્યા હતા. તેમની દીકરી લંડનમાં રહે છે, અને કેટલાક દિવસોથી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન લંડન હતા. તેમને મળવા માટે વિજય રૂપાણી જઈ રહ્યા હતા. વિજય રૂપાણીના મૃત્યુની સત્તાવાર માહિતી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આપી છે. અત્યાર સુધી મળેલ સમાચાર મુજબ 204 લોકોના મોત થયા છે અને 41 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે દુર્ઘટના ભયાનક હતી જેથી મોટાભાગના મુસાફરો આગની જ્વાળાઓને કારણે દાઝ્યા છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતાં ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાણવા મળ્યા મુજબ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબહેન લંડનથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે, તેઓ કાલે શુક્રવારે બપોરે 1 વાગ્યાની આજુબાજુ અમદાવાદ પહોંચશે.

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું છે કે વિમાનમાં મુસાફરી કરી રહેલ મુસાફરોની સાથે હોસ્ટેલમાં રહેતા ડૉકટર સ્ટુડન્ટને પણ નુકસાન થયું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

વિજયભાઈ રૂપાણીની જીવન સફર (Vijay Rupani’s life journey)

વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર હતા. જેમણે ગુજરાતના 16મા મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમની રાજકીય સફર ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી છે, જેમાં સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના વિવિધ હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે.

પ્રારંભિક જીવન અને સંઘ પ્રવૃત્તિ:
* વિજય રૂપાણીનો જન્મ 02 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન (હાલ મ્યાનમાર) માં થયો હતો. તેમનો પરિવાર 1960ના દાયકામાં રાજકોટ સ્થળાંતર થયો.
* તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો.
* તેઓ 1971 થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘ સાથે જોડાયેલા હતા.
* 1976ની કટોકટી દરમિયાન તેમને ભાવનગર અને ભૂજની જેલમાં 11 મહિના સુધી કેદ કરવામાં આવ્યા હતા.
* 1978 થી 1981 સુધી તેમણે RSS ના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું.

સ્થાનિક રાજકારણમાં પ્રવેશ:
* 1987માં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા.
* 1988 થી 1996 સુધી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા.
* 1996 થી 1997 દરમિયાન તેમણે રાજકોટના મેયર તરીકે પણ સેવા આપી.

રાજ્ય કક્ષાના રાજકારણમાં:
* 1998માં તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા અને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ રહ્યા.
* 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.
* 2006માં તેમને ગુજરાત ટૂરિઝમના ચેરમેન બનાવવામાં આવ્યા અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બન્યા.
* 2014માં વજુભાઈ વાળાની વિદાય બાદ, તેઓ રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા.
* આનંદીબેન પટેલની સરકારમાં તેમને પરિવહન, શ્રમ અને રોજગાર તેમજ વોટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
* ફેબ્રુઆરી 2016માં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા.

મુખ્યમંત્રી પદ:
* 07 ઓગસ્ટ 2016 ના રોજ તેમણે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
* 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા.
* 11 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

વર્તમાન ભૂમિકા:
* 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
* તેઓ ભાજપમાં સક્રિય છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પક્ષના નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી હતી.

આમ, વિજય રૂપાણીની રાજકીય સફર ABVP અને RSS ના કાર્યકર્તા તરીકે શરૂ થઈ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સક્રિયતા, રાજ્યસભાના સભ્યપદ, પ્રદેશ પ્રમુખ અને અંતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુધી વિસ્તરી હતી.

Top Trending News

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાનું શરૂ

લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અને વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતાં તેમના ઘરની આજુબાજુમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાડોશીઓએ તેમના ઘરની આસપાસ પૂજા પ્રાર્થના શરૂ કરી દીધી હતી. જો કે રૂપાણીના પરિવારમાંથી કોઈનું નિવેદન આવ્યું નથી. હાલ તેમના ઘરમાં કોઈ છે જ નહી.

Related Posts

Leave a Comment