પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં કડાકો, યુદ્ધના ભયે કરાચી-100 ઈન્ડેક્સ તૂટ્યો

by Investing A2Z

અમદાવાદ- ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાન સ્ટોક માર્કેટ દરરોજ તૂટી રહ્યું છે, અને દિનપ્રતિદન માર્કેટ ખૂલતાની સાથે સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી આવે છે. પાકિસ્તાન સ્ટોક માર્કેટનો કરાચી 100 (કેએસઈ-100) ઈન્ડેક્સ 22 એપ્રિલથી અત્યાર સુધીમાં 4,353 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને આજે સપ્તાહના પ્રથમ દિવસે કરાંચી 100 ઈન્ડેક્સ 1,14,077 બંધ રહ્યો હતો.

જમ્મુ કશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલ આતંકી હૂમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઉભી થઈ છે. અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે. આથી પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાયો છે. દરરોજ પાકિસ્તાન સ્ટોક માર્કેટ તૂટી રહ્યું છે. કરાચી- 100 ઈન્ડેક્સ તૂટવાનો નવો રેકોર્ડ બનાવી રહ્યું છે.

પહેલી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. જે સમાચાર પાછળ પાકિસ્તાન સ્ટોક માર્કેટ ભારે ડર ફેલાયો હતો અને તે દિવસે પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં 3500 પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું. 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પાકિસ્તાનના બેન્ચમાર્ક કેએસઈ 100 ઈન્ડેક્સમાં 8000 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને ઈન્ડેક્સ 1,10,631 થઈ ગયો હતો. જો કે ત્યાર બાદ પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો છે અને બજારમાં થોડોક ગભરાટ શમ્યો હતો.

30 એપ્રિલ, 2025ના દિવસે પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં બ્લડબાથ હતું. કેએસઈ-100 ઈન્ડેક્સ 3.09 ટકા તૂટી 1,10,631ની લો બતાવીને 1,11,326 બંધ રહ્યો હતો.

કેટલાય દિવસોની વેચવાલી પછી બીજી મે પછી ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો છે. આજે પાંચ મે ને સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે કેએસઈ-100 ઈન્ડેક્સ વધુ 36 પોઈન્ટ ઘટી 114,077 બંધ રહ્યો હતો. 22 એપ્રિલથી અત્યાર સુધીમાં કરાચી-100 ઈન્ડેક્સમાં 4,353 પોઈન્ટ તૂટ્યો છે.

શેરબજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી પાડોશી દેશ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઓછી નહી થાય ત્યાં સુધી ઉછાળા ઉભા જેવા રહેશે. અને બહુ મોટું જોખમ લેવાય પણ નહી.

પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના દિવસે આતંકી હૂમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાન સામે કડક પગલા ભર્યા છે. ભારતે સિંધુ જલ સંધિને રદ કરી દીધી છે. અને હવે ભારતે પાકિસ્તાન જતું પાણી અટકાવ્યું છે. ભારત-પાક વચ્ચે અટારી વાઘા સરહદ બંધ કરી દીધી છે. તેમજ બન્ને દેશો વચ્ચે તમામ પ્રકારનો વેપાર બંધ કરી દેવાયો છે અને એરસ્પેસ પણ બંધ કરી દીધી છે. તે ઉપરાંત ભારતીય ઉચ્ચ આયોગે પાકિસ્તાની સૈન્ય સહયોગીઓ સસ્પેન્ડ કરી દીધી છે. અને પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કરી દીધા છે. નવા વીઝા આપવાનું બંધ કરી દીધું છે.

Related Posts

Leave a Comment