ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં 16 ફેબ્રુઆરી, 2025ના રોજ મતદાન અને તારીખ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ મતગણતરી થશે. એવી રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે.
ગાંધીનગરની સત્તાવાર યાદી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, અને તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 27 જાન્યુઆરી 2025 રહેશે.
ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી 2025
પુન: મતદાનની તારીખ (જરૂર જણાય તો) 17 ફેબ્રુઆરી 2025
મતગણતરીની તારીખ 18 ફેબ્રુઆરી 2025
રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્ણએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં યોજાય, એમ તેમણે જણાવ્યું હતું.
સામાન્ય નાગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-2025માં યોજાશે નહીં.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, 1 મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં.
આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને મુખ્યપ્રધાનના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.