સક્રિય સદસ્યતા અભિયાનએ ભાજપની ઓળખ, સંગઠનની રચના અને ચૂંટાયેલ પ્રતિનિધી માટે અતિ મહત્વનું છે: ભરતભાઇ પંડ્યા
ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સક્રિય સભ્યનું ફોર્મ ભરાવીને આજે 23 ઓકટોબરને બુધવારે સક્રિય સભ્ય બનાવ્યાં હતાં. આ સમયે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત ભાજપ સક્રિય સદસ્યતા અભિયાનની માહિતી આપતાં ભરતભાઈ પંડયાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સભ્યની સાથે સાથે સક્રિય સદસ્યતાનો પ્રારંભ ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલે તા.19મી ઓક્ટો, 2024ના રોજ પ્રથમ સક્રિય સભ્ય બનીને સંગઠનમાં “સક્રિય સદસ્યતા અભિયાન”ની શરૂઆત કરાવી હતી.

તા.31 ઓક્ટોબર, 2024 સુધી ચાલનાર સક્રિય સદસ્યતા અભિયાનમાં કાર્યકર્તાઓએ સક્રિય સભ્ય બનવા માટે સક્રિય સભ્યનું ફોર્મ ભરવું, ઓનલાઈન 100 પ્રાથમિક સભ્યોના નામોની યાદી લખવી, નમો એપ કે ભાજપના વેબવોર્ટલ ઉપર એક્ટીવ મેમ્બર તરીકે 100 રૂ.નું ડોનેશન તેમજ રૂ.200 ગુજરાત ભાજપના ‘મનોગત’ લવાજમના આપવાનાં રહેશે.

ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને સક્રિય સભ્યનું ફોર્મ ભરાવવાના અવસરે ગુજરાત ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, સક્રિય સદસ્યતા ચકાસણી સમિતિ ભરત પંડયા, લોકસભાના સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા, અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ, પ્રગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.