26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડીશન આગામી જાન્યુઆરી 2024માં યોજાવાની છે.
જાપાન 2009થી આ વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી રહ્યું છે ત્યારે આગામી 10મી એડીશનમાં પણ જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ જાપાન પ્રવાસ ઉપયુક્ત બનશે તેમ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. મુખ્યપ્રધાન ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસીની ટુંકી મુલાકાત લેશે.
ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યપ્રધાન અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે.
આ દિવસે મુખ્યપ્રધાન અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ JETRO ના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમજ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. 27 નવેમ્બરની સાંજે મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ગુજરાતનાં મુખ્યપ્રધાનનાં માનમાં આયોજીત ડિનરમાં જોડાશે.

તા. 29 નવેમ્બરના રોજ, ટોકિયો રોકાણના ચોથા દિવસે ટોકિયોની ઇમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શૉ દરમિયાન પણ મુખ્યપ્રધાન સાથે વિવિધ વન-ટુ-વન બેઠકો આયોજિત કરવામાં આવી છે. રોડ શૉ પૂરો થયા પછી 29 નવેમ્બરની સાંજે મુખ્યપ્રધાન અને ગુજરાતનું ઉચ્ચસ્ચરીય પ્રતિનિધિમંડળ બુલેટ ટ્રેન મારફતે કોબે જવા રવાના થશે.
જાપાન પ્રવાસના પાંચમા દિવસે એટલે કે 30 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્યપ્રધાન અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેના ભોજન સમારોહમાં જોડાશે અને જાપાનમાં વિવિધ ક્ષેત્રે ભારતીય તથા ગુજરાતી સમુદાયનાં લોકોના યોગદાન અંગે ચર્ચા-પરામર્શ કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સિંગાપોર જવા રવાના થશે.
1 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. લંચ પછી પણ મુખ્યપ્રધાન વિવિધ વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લેશે.
2 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સિંગાપોરમાં વિવિધ સાઇટ્સ વિઝિટ કરીને સિંગાપોરથી અમદાવાદ પરત આવવા રવાના થશે.