દુનિયાના કેટલાય દેશોમાં તબાહી મચાવનાર કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ AY.4.2 ને લઈ ભારત પુરી રીતે સર્તક છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાના આ નવા વેરિયેન્ટને લઈને એક ટીમ તેની તપાસમાં લાગી ગઈ છે. તેમણે કહ્યું છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની ટીમોની વિવિધ પ્રકારે અધ્યયન અને વિશ્લેષણની જવાબદારી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી કોવેક્સિનની મંજૂરી પર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ડબલ્યુઅએચઓની એક પ્રણાલી છે, જેમાં એક ટેકનિકલ સમિતી હોય છે. જેણે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. જ્યારે બીજી સમિતીની આજે બેઠક મળવાની છે, કોવેક્સિનની મંજૂરી આજની બેઠકના આધાર પર આપવામાં આવશે.
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચકર મિશન પર આરોગ્યપ્રધાને કહ્યું હતું કે આગામી દિવસોમાં કોઈપણ મહામારી સામે લડવા માટે સક્ષમ બનાવશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન પર પાંચ વર્ષમાં 64,000 કરોડનો ખર્ચ કરાશે. તેનું લક્ષ્ય છે કે બ્લોક, જિલ્લા, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તર પર સારી લેબોરેટરી હોય. આ યોજનામાં આગામી પાંચ વર્ષમાં એક જિલ્લામાં સરેરાસ 90-100 કરોડનો ખર્ચ કરાશે.
આ દરમિયાન આરોગ્યપ્રધાને કહ્યું હતું કે આરોગ્યની સારવાર માટે કેન્સર, ડાયાબિટીસ જેવા રોગની સારવાર માટે અને પ્રાથમિક સ્તરે તપાસ માટે અમે દોઢ લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં લગભગ 79,000થી વધુ કેન્દ્રોના ઉદઘાટન કરી દેવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે પીએમ મોદીએ 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી દીધી છે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે બેઠકો મોટાભાગે ડબલ કરી દેવામાં આવી છે. અમે લોકોની સસ્તા દરે સારવાર કરવા માટે સમગ્ર દ્રષ્ટિકોણની સાથે કામ કર્યું છે.
પીએમ મોદીએ સોમવારે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન યોજનાની શરૂઆત કરી હતી. પીએમએ પુરા દેશમાં આરોગ્યના મૂળભૂત ઢાંચાને તાકાત આપવા અને ભવિષ્યમાં આવનારી મહામારીમાં બચી શકાય તે માટેની તૈયારીઓ છે. સરકારના કહેવા મુજબ આ યોજના અંતગર્ત દરેક જિલ્લામાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરાશે, જે તેમને આત્મનિર્ભર બનાવશે. તેની સાથે વધતા જતા રોકાણ દ્વારા સંપૂર્ણ ક્ષમતા સાથે વિકસિત કરાશે. આ યોજના અનુસાર સરકાર 5 વર્ષ દરમિયાન 64,180 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.