કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે. તેમણે અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકી સમકક્ષ જેનેટ યેલેન સાથે મુલાકાત કરી હતી. અમેરિકા પ્રવાસ પર પત્રકારો સાથે વાતચીત કરતાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમેરિકા પણ ભારતના આર્થિક સુધારોના વખાણ કરે છે.
અમેરિકા પ્રવાસ પર નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બાઈડન સરકાર અને અમેરિકી કોર્પોરેટ ક્ષેત્રના દિગ્ગજોએ ભારત સરકાર દ્વારા હાલમાં કરાયેલા કેટલાક આર્થિક સુધારાનું સ્વાગત કર્યું છે. સાથે તેમણે અમે જે સુધારા કર્યા છે અને ખાસ કરીને હાલના ટેક્સના માળખામાં ફેરફાર અને ટેક્સ પાછો ખેંચ્યો છે, તે નિર્ણયને પોઝિટિવ ગણીને તેનું સ્વાગત કર્યું છે.
તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે અમે જે વ્યવસાયિક સમુહો સાથે વાત કરીએ છીએ તેઓ પણ સુધારાનું સ્વાગત કરી રહ્યા છે. આ સુધારામાં મોડુ થયું છે, તેમછતાં કેટલાક વ્યવસાયિક સમુહો તેને સાહસિક પગલા ગણાવી રહ્યા છે. અમે તેમને સમજાવ્યું છે કે કેટલીક કાયદાકીય મજબૂરીઓ હતી. જેને કેરણે અમારે રાહ જોવી પડી છે. અમે કહ્યું કે અમે જૂના કાયદા પરત ખેંચવા માટે સંસદમાં પણ ગયા હતા. જે આર્થિક સુધારાનું તમામ લોકો સ્વાગત કરી રહ્યા છે.
આ દરમિયાન અમેરિકાની સાથે થનાર વેપાર સમજૂતીને લઈને સવાલ પુછાયો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારું ધ્યાન રોકાણ પ્રોત્સાહન સમજૂતી પર હતું, જેના માટે ડીસેમ્બર સુધીનો સમય છે. અમે તેના માટે વાત કરી છે. બન્ને દેશ ચર્ચાઓને આગળ વધારવા માંગે છે અને ઝડપથી તેનો પણ ઉકેલ આવી જશે. પરંતુ વેપારના મુદ્દા પર વાણિજ્ય મંત્રાલય અને અમેરિકી સમકક્ષ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલા માટે તેને ગંભીર રીતે મે મારી જાતને સામેલ નથી કરી.
અમેરિકા પ્રવાસ પર કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ) અને વિશ્વ બેંક સાથે બેઠક કરી છે. જે દરમિયાન તેમણે આઈએમએફને કહ્યું છે કે ભારત સરકાર 2025-26 સુધીમાં રાજકોષીય ખાદ્યને ઘટાડીને 4.5 ટકા લાવવાનું લક્ષ્ય રાખે છે. અને સરકાર ટૂંકાથી મધ્યમ ગાળામાં અર્થવ્યવસ્થાને નાણાકીય મજબૂતીના રસ્તા પર લાવવા મક્કમ છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકની સાથે બેઠક ઉપરાંત સીતારમણે 25થી વધુ દ્વિપક્ષીય બેઠકો કરી છે.