પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા તુણમુલ કોંગ્રેસ અને સીએમ મમતા બેનર્જિને વધુ એક ઝાટકો વાગ્યો છે. સુવેન્દુ અધિકારી અને રાજીવ બેનર્જિ પછી હવે તુણમુલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અને મનાઈ રહ્યું છે કે દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થશે.
રાજીનામું આપતી વખતે દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે મને જ્યારે બેસ્ટ સાંસદનો એવોર્ડ મળ્યો, ત્યારે મે કહ્યું હતું કે મારા માબાપે મને તેની લાયક બનાવ્યો છે. આજે આપણે જોઈએ છીએ કે પુરી દુનિયા હિન્દુસ્તાનની સામે જોઈ રહી છે. ખૂબ જ સરસ રીતે બધા મળીને કામ કરી રહ્યા છે. વડાપ્રધાનને તેની ક્રેડિટ જઈ રહી છે, કારણ કે તેમનું નેતૃત્વ છે. અમારા પ્રદેશમાં જે રીતે હિંસા થઈ રહી છે, તેનાથી મને અજીબ લાગે છે. હું એવા પ્રદેશમાંથી આવું છું કે જ્યાંથી રવિન્દ્રનાથ ટાગોર અને ખુદીરામ બોઝ જેવા લોકો આવે છે.
તેમણે એક કવિતા પણ સંભળાવી હતી અને કહ્યું હતું કે અસલમાં અમે જન્મભૂમિ માટે છીએ. અમે કરીએ તો શું કરીએ. અમે એક પાર્ટીમાં છીએ. પણ હવે મને મુંઝારો થઈ રહ્યો છે, પણ હું કશું કરી શકતો નથી. ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે. મારા આત્માનો અવાજ આ જ કહી રહ્યો છે. સ્વામી વિવેકાનંદને કવૉટ કરીને તેમણે કહ્યું કે જો અહીંયા બેસીને તમે ચુપચાપ રહો અને કશુંય ન કહો, તેના કરતાં વધારે સારુ છે કે તમે રાજીનામું આપી દો. અને તમારી માતૃભુમિ માટે કંઈક કરો. હું અહીંયા રાજીનામું આપી રહ્યો છું અને હું દેશ માટે બંગાળ માટે હમેંશા કામ કરતો રહીશ.
દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી ટીએમસી સાંસદ સુખેન્દ્ર રોયે કહ્યું હતું કે તુણમુલનો અર્થ થાય છે કે જમીનથી જોડાયેલા. ત્રિવેદીના રાજીનામા પછી હવે અમે ઝડપથી રાજ્યસભામાં જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાને મોકલવાની તક મળશે.
દિનેશ ત્રિવેદી 2009થી 2019 સુધી બંગાળની બૈરકપુર બેઠકમાં લોકસભાના સાંસદ રહ્યા હતા. તે પછી તેમને 2020માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. ત્રિવેદી પહેલી બે વાર 1990-96 અને 2002-2008 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારમાં 2010થી 2011 સુધી સ્વાસ્થ્ય રાજ્યકક્ષાના પ્રધાન અને ત્યાર પછી 2011થી 2012 સુધી રેલવેપ્રધાનની જવાબદારી સોપાંઈ હતી. તેમને 2016-17ના સત્રમાં બેસ્ટ સાંસદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દિનેશ ત્રિવેદી ટીએમસીના દિગ્ગજ નેતા છે. અને યુપીએ-2માં રેલવેપ્રધાન રહ્યા હતા. જો કે વર્ષ 2012માં બજેટમા રેલયાત્રીના ભાડામાં વધારો કર્યો હતો, તેને જોતા મમતા બેનર્જિએ નારાજ થઈને તેમની પાસેથી 24 કલાકમાં રાજીનામુ લઈને મુકુલ રોયને રેલવેપ્રધાન બનાવી દીધા હતા, મુકુલ રોયે ભાજપનું કમળ પકડી લીધું છે અને હવે દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી સુત્રો કહી રહ્યા છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે.
દેશના પૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ પોતાની રાજકીય સફરની કોંગ્રેસથી શરૂ કરી હતી, અને પછી તેઓ જનતાદળમાંથી મમતા બેનર્જિની પાર્ટી ટીએમસીમાં જોડાયા હતા. મમતા બેનર્જિના નજીકના નેતામાં દિવેશ ત્રિવેદીનું નામ મુકાય છે. દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી મમતા દીદીને ઝાટકો વાગ્યો છે. તેમનો સાથ છોડીને કેટલાય નેતાઓ જતા રહ્યા છે. તેમ છતાં તેમની ખુમારી હજી એવીને એવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માર્ચ એપ્રિલમાં આવી રહી છે. તે પહેલા છેલ્લા પાંચ વર્ષથી ભાજપ પ્રચારમાં લાગી ગયું છે, અને ભાજપે બંગાળમાં એક મોટી ટીમ ખડકી દીધી છે, જે મમતાના સમર્થકોને ખેરવી રહી છે અને ચૂંટણીપ્રચાર માટે સાયબર વૉર શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ જવાનો એક પણ મોકો ચુકતા નથી. ભાજપને યેનકેન પ્રકારે પશ્ચિમ બંગાળ કબજે કરવું છે.