કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પહેલી ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ 2021-22 રજૂ કર્યું છે. નાણાપ્રધાને રજૂ કરેલ બજેટમાં નો નેગેટિવ ન્યૂઝ છે. માટે જ બજેટને શેરબજારે ચીયરઅપ કર્યું છે. જો કે બજેટ આવ્યું તે પહેલા ચર્ચા હતી કે કોરોના ટેક્સ આવશે અથવા જીએસટી પર કોરોના સેસ લાદવામાં આવશે. અથવા ટેક્સમાં વધારો કરવામાં આવશે. પણ નાણાપ્રધાને ટેક્સમાં વધારો કર્યો નથી. કરબોજ વિનાનું બજેટ રજૂ કર્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી છતાં નાણાપ્રધાને સમતુલા જાળવીને બજેટ રજૂ કર્યું છે.
બજેટ રજૂ થાય તે પહેલા આઈએમએફે આગામી વર્ષે ભારત 11.50 ટકાનો ગ્રોથ હાંસલ કરશે. જો કે કોરોનાકાળમાં જીડીપી ગ્રોથ માઈનસમાં જતો રહ્યો હતો, પણ આઈએમએફ કહી રહ્યું છે કે ભારતની ઈકોનોમી વી શેપમાં રીકવર થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટથી હવે એ વાત પાકી થઈ ગઈ છે કે અર્થતંત્રને ગતિ મળશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ છે, અને મોદી સરકાનું આ 9મું બજેટ છે. આ કેન્દ્રીય બજેટમાં સ્વાસ્થ્ય અને ખુશહાલી પર મુખ્ય ભાર આપવામાં આવ્યો. જેનાથી આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર થશે, એટલે જ સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે બજેટમાં 137 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો છે.
જળ જીવન મિશન (શહેરી)
કેન્દ્રીય બજેટમાં જળ જીવન મિશન (શહેરી) ના શુભારંભની જાહેરાત કરવામાં આવી છે, તેનો ઉદ્દેશ 2.86 કરોડ ઘરોને નળ કનેક્શન્સની સાથે તમામ 4,378 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સમાન પાણી પુરવઠો પૂરો પાડવાનો અને 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન ઉપલબ્ધ કરવાનો છે, જે 5 વર્ષમાં રૂ. 2,87,000 કરોડના ખર્ચ સાથે લાગુ કરવામાં આવશે.
સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત
શહેરી ભારતની સ્વચ્છતા માટે બજેટમાં નિર્માણ અને ડિમોલિશન પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થતા કચરાના અસરકારક સંચાલન દ્વારા અને તમામ જૂની ડમ્પિંગ સાઇટ્સ પર જૈવિક ઉપચાર, સંપૂર્ણ ગટર વ્યવસ્થાપન અને ગંદાપાણીની સારવાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો. શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0નો અમલ 2021-26 સુધીના પાંચ વર્ષના ગાળામાં કરવામાં આવશે, જેમાં કુલ 1,41,678 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
સ્વચ્છ વાયુ
વાયુ પ્રદૂષણની વધતી સમસ્યાને પહોંચી વળવા માટે, આ બજેટમાં 10 લાખથી વધુ વસ્તીવાળા 42 શહેરી કેન્દ્રો માટે 2,217 કરોડ રૂપિયા આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
સ્ક્રેપ નીતિ
જુના અને જર્જરિત વાહનોના નિકાલ માટે કેન્દ્રીય બજેટનો સ્વૈચ્છિક વાહન સ્ક્રેપ નીતિ એ એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનાથી બળતણ કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે, જેનાથી વાહન પ્રદૂષણ અને તેલ આયાત બિલમાં ઘટાડો થશે. સ્વચાલિત ફિટનેસ કેન્દ્રોમાં વાહનની ફિટનેસ તપાસ કરાશે, જે વ્યક્તિગત વાહનોના કિસ્સામાં 20 વર્ષ પછી અને વ્યાવસાયિક વાહનોના કિસ્સામાં 15 વર્ષ પછી કરાશે. નાણાંપ્રધાને જાહેરાત કરી કે આ યોજનાની વિગતો મંત્રાલય દ્વારા અલગથી આપવામાં આવશે.
GSTનું વધુ સરળીકરણ
સિતારમણે પોતાના અંદાજપત્રના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં GSTનું વિક્રમી કલેક્શન થયું છે. GSTમાં હજુ પણ વધારે સરળીકરણ કરવા માટે વધુ કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. GSTN સિસ્ટમની ક્ષમતાની જાહેરાત કરવામાં આવી છે. કરચોરો અને ખોટા બિલ બનાવનારાઓને ઓળખી કાઢવા માટે ઊંડા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અમલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ વિશેષ કવાયતોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. GSTનું વધુ સરળીકરણ કરવા માટે અને વ્યસ્ત ડ્યૂટી માળખા જેવી અસંગતતાઓને દૂર કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવામાં આવશે.
કસ્ટમ ડ્યૂટી સૂયોજન
કસ્ટમ ડ્યૂટી નીતિ મુદ્દે, નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, હવે કાચા માલની સરળ પહોંચ અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની નિકાસ પર વેગ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે, તેમણે આ વર્ષ કસ્ટમ ડ્યૂટીમાં 400 જુની મુક્તિની સમીક્ષા કરવાની દરખાસ્ત મૂકી છે. તેમણે જાહેરાત કરી હતી કે, સઘન પરામર્શ યોજવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2021ના રોજથી, કોઇપણ વિકૃતિઓ વગરનું સુધારેલુ કસ્ટમ ડ્યૂટી માળખું અમલમાં મૂકવામાં આવશે.
ઇલેક્ટ્રોનિક અને મોબાઇલ ફોન ઉદ્યોગ
નાણાંપ્રધાને જાહેરાત કરી હતી કે, ચાર્જરના પાર્ટ્સ અને મોબાઇલના પેટા-પાર્ટ્સમાં કેટલીક મુક્તિઓ પાછી ખેંચવામાં આવશે. વધુમાં, મોબાઇલના કેટલાક પાર્ટ્સને ‘નીલ’ માંથી ખસેડીને 2.5 ટકાના સામાન્ય દરના વર્ગમાં લઇ જવામાં આવશે. બિન-લોહ, લોહ અને સ્ટેઇનલેસ સ્ટીલના સેમી, ફ્લેટ અને લાંબા ઉત્પાદનો પર 7.5 ટકાની એકસમાન કસ્ટમ ડ્યૂટી લાગુ કરવામાં આવશે. 31 માર્ચ, 2022 સુધીના સમયગાળા માટે સ્ટીલના ભંગાર પરથી ડ્યૂટી મુક્તિનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક સ્ટીલના ઉત્પાદનો પરથી ADD અને CVD પાછી ખેંચવાની પણ જાહેરાત કરી હતી. તેમણે તાંબાના ભંગાર પર ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાની જાહેરાત કરી હતી.
કાપડ/ રસાયણો/ સોનુ અને ચાંદી
માનવસર્જિત કાપડ માટે કાચામાલના ઇનપુટ્સ પરની ડ્યૂટીને વધુ તર્કસંગત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને નાણાંપ્રધાને નાઇલોન ચેઇનને પોલિસ્ટર અને અન્ય માનવસર્જિત રેસાઓની હરોળમાં લાવવાની જાહેરાત કરી હતી. કેપ્રોલેક્ટમ, નાઇલોન ચિપ્સ અને નાઇલોન રેસાઓ તેમજ યાર્ન પર 5 ટકાના એક સમાન BCD દર કપાતની પણ તેમણે જાહેરાત કરી હતી, આનાથી કાપડ ઉદ્યોગ, MSME અને નિકાસને ઘણી મદદ મળી રહેશે. સ્થાનિક મૂલ્ય વર્ધનને પ્રોત્સાહન આપવા માટે અને કોઇપણ પ્રકારની વ્યસ્ત સ્થિતિઓ ટાળવા માટે રસાયણ પર કસ્ટમ ડ્યૂટીના દરમાં સુધારો કરવામાં આવશે. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટીમાં તર્કસંગતતા લાવવાની પણ જાહેરાત કરી હતી.
અક્ષય ઉર્જા
સોલર સેલ અને સોલર પેનલના તબક્કાવાર વિનિર્માણ પ્લાન અંગે અધિસૂચના આપવામાં આવશે, જેથી સ્થાનિક ક્ષમતાનું નિર્માણ થઇ શકે. તેમણે, સોલર ઇન્વર્ટર પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની અને સોલર લાનટેર્ન પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી હતી.
મૂડી ઉપકરણ
ભારે મૂડી ઉપકરણના સ્થાનિક સ્તરે વિનિર્માણની અત્યંત સંભાવાનાઓ રહેલી છે. આ સંબંધે દરના માળખામાં વ્યાપકપણે સમીક્ષા કરવામાં આવશે. તેમણે ટનલ શારકામના મશીન પરથી મુક્તિ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનાથી 7.5% કસ્ટમ ડ્યૂટી આવશે; અને તેના પાર્ટ્સ પર 2.5%ની ડ્યૂટી આવશે, જ્યારે ચોક્કસ ઓટોપાર્ટ્સ પર ડ્યૂટી વધારીને 15% કરવામાં આવશે, જેથી તેમને ઓટો પાર્ટ્સના સામાન્ય દરોની સમકક્ષ લાવી શકાય.
MSME ઉત્પાદનો
અંદાજપત્રમાં MSMEને લાભો આપવા માટે કેટલાક ચોક્કસ ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં, સ્ટીલના સ્ક્રૂ, પ્લાસ્ટિક બિલ્ડર વાયરો અને પ્રોન ફીડ પર ડ્યૂટી વધારીને 15% કરવાની દરખાસ્ત સામેલ છે. તેમાં, કપડાં, ચામડું અને હસ્તકળાની વસ્તુઓના નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટી મુક્ત વસ્તુઓની આયાત પર મુક્તિને તર્કસંગત ઠેરવવાની પણ જોગવાઈ છે. તેમાં, ચોક્કસ પ્રકારના ચામડાંની આયાત પરની છૂટ પાછી ખેંચવાની અને તૈયાર કરાયેલા કૃત્રિમ રત્નો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
કૃષિ ઉત્પાદનો
ખેડૂતોને લાભ આપવાના આશય સાથે, કપાસ પર ડ્યૂટી વધારીને 10% કરવાની અને કાચા રેશમ તેમજ રેશમના રેસા પર ડ્યૂટી વધારીને 15% કરવાની જાહેરાત કરી હતી. તેમણે ડિનેચર્ડ (નામંજૂર) કરેલા ઇથાઇલ આલ્કોહોલ પર છેવટના વપરાશ આધારિત મુક્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ઉપકર
નાની સંખ્યામાં ચીજવસ્તુઓ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ઉપકર (AIDC)નો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપકરનો અમલ કરતી વખતે, અમે ગ્રાહકો પર મોટાભાગની વસ્તુઓ પર વધારાનું ભારણ ના મૂકાય તેનું ધ્યાન રાખ્યું છે. કસ્ટમ તરફથી, AIDC હેઠળ આવરી લેવામાં આવેલી ચીજોમાં સોનુ, ચાંદી, આલ્કોહોલયુક્ત પીણાં, ક્રૂડ પામ તેલ અને સૂર્યમુખીનું તેલ, સફરજન, કોલસો, લિગ્નાઇટ અને પીટ નિર્દિશ્ટ ખાતરો, વટાણા, કાબુલી ચણા, બંગાળી ચણા, મસૂર, કપાસ આ બધામાં ગ્રાહકો પર કોઇ વધારાનો બોજો પડશે નહીં.
પેટ્રોલ અને ડીઝલ
આબકારી તરફથી, પેટ્રોલ પર લીટર દીઠ રૂ. 2.5 અને ડીઝલ પર લીટર દીઠ રૂ. 4 AIDC લાગુ કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ અને ડીઝલ પર લાગુ કરવામાં આવેલા મૂળભૂત આબકારી જકાત (BED) અને વિશેષ વધારાની આબકારી જકાત (SAED) દરોને આ અંદાજપત્રમાં ઘટાડવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને કોઇ વધારનું ભારણ સહન નહીં કરવું પડે. અનબ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ અનુક્રમે રૂ. 1.4 અને રૂ. 1.8નો BED જ્યારે લીટર દીઠ અનુક્રમે રૂ. 11 અને રૂ. 8 SAED લાગુ થશે.
એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ
એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ પ્લાન એ 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અમલમાં મૂકી દેવામાં આવ્યો છે કે જેણે કુલ 69 કરોડ લાભાર્થીઓને આવરી લીધા છે અને આ રીતે કુલ 86% લાભાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે, આગામી કેટલાક મહિનાઓમાં બાકીના 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પણ સંકલન સાધી લેવામાં આવશે. આ યોજના લાભાર્થીઓને દેશમાંથી ગમે તે સ્થળેથી પોતાનું રાશન મેળવવા માટેની મંજૂરી આપે છે, ખાસ કરીને સ્થળાંતર કરનાર કારીગરો જે સ્થળે રહી રહ્યા છે ત્યાં તેઓ અડધું રાશન પ્રાપ્ત કરી શકે છે અને તેમનો પરિવાર તેમના મૂળ વતનમાં બાકીનું રાશન પ્રાપ્ત કરી શકે છે.
અસંગઠીત શ્રમ દળ માટે એક પોર્ટલ
અસંગઠીત શ્રમિક દળ પ્રત્યે સરકારના પ્રયાસોને વધારે વિસ્તૃત કરવા માટે જેમાં ખાસ ધ્યાન સ્થળાંતર કરનાર કારીગરો ઉપર છે તેમની માટે એક પોર્ટલ જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે ગિગ, બિલ્ડિંગ અને બાંધકામના કારીગરો સહિત અન્ય શ્રમિકો વિષેની જરૂરી માહિતી એકત્રિત કરશે. તેનાથી સ્થળાંતર કરનારા કારીગરો માટે આરોગ્ય, આવાસ, કૌશલ્ય, વીમા, ક્રેડિટ અને ખાદ્યાન્ન યોજનાઓ તૈયાર કરવામાં પણ મદદ મળી રહેશે.
શ્રમ સંહિતાઓનું અમલીકરણ
સરકાર તમામ શ્રેણીના કારીગરોના લઘુત્તમ પગારના અમલીકરણ સાથે ગિગ અને પ્લેટફોર્મ કારીગરોને સામાજિક સુરક્ષાના લાભો પહોંચાડવા માટે ચાર શ્રમ સંહિતાઓના અમલીકરણને સંક્ષિપ્ત બનાવશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ અંતર્ગતનું કવરેજ પણ તેમને પહોંચાડવામાં આવશે. મહિલાઓને તમામ શ્રેણીઓમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવશે અને નાઈટ શિફ્ટસમાં પણ તેમને પૂરતું સંરક્ષણ આપવામાં આવશે. એકમાત્ર રજીસ્ટ્રેશન અને લાયસન્સિંગની જોગવાઈ તેમજ ઓનલાઈન રિટર્ન્સ પણ કર્મચારીઓ ઉપરથી પરવાનગી પત્રો બોજને હળવો કરશે.
બંદરો પર સાત પ્રોજેક્ટસ
દેશના મુખ્ય બંદરો દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી (પીપીપી) મોડલ પર રૂ. 2,000 કરોડથી વધારે મૂલ્યના સાત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. બજેટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના મુખ્ય બંદરો તેમની કાર્યકારી સેવાઓનું વ્યવસ્થાપન તેમની રીતે મોડલને બદલશે, જેમાં આ બંદરો માટે ખાનગી કંપની વિવિધ પ્રકારની સેવાઓનું વ્યવસ્થાપન કરશે.
વેપાર-વાણિજ્યિક જહાજો માટેના માર્ગને પ્રોત્સાહન આપવા મંત્રાલયે અને કેન્દ્ર સરકારની કંપનીઓ (સીપીએસઇ)એ બહાર પાડેલા આંતરરાષ્ટ્રીય ટેન્ડરોમાં ભારતીય શિપિંગ કંપનીઓ માટે 5 વર્ષનાં ગાળામાં રૂ. 1624 કરોડની સબસિડી સહાય યોજના શરૂ કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે, આ પહેલથી આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની કામગીરી વધવા ઉપરાંત ભારતીય નાવિકો વધારે તાલીમ મેળવી શકશે અને એમના માટે રોજગારીની તકોમાં વધારો થશે.
અલંગ શિપયાર્ડ
વર્ષ 2024 સુધીમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા બમણી કરીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન (એલડીટી) કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. યુરોપ અને જાપાનમાંથી ભારતમાં વધુ જહાજો લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં અલંગમાં જહાજ રિસાઇકલિંગ યાર્ડના આશરે 90 ટકા હિસ્સાને એચકેસી (હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન)નું નિયમનોના પાલન માટેનું પ્રમાણપત્ર મળી ગયું છે. એનાથી દેશના યુવાનો માટે વધુ 1.5 લાખ રોજગારીનું સર્જન થશે એવી અપેક્ષા
ડિજિટલ વસ્તી ગણતરી
ભારતના ઈતિહાસમાં આગામી વસતી ગણતરી એ પહેલી ડિજિટલ વસતી ગણતરી હોઈ શકે છે અને જેના માટે વર્ષ 2021-2022માં 3,768 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ટ્રિબ્યુનલ્સ
ઝડપી ન્યાય મળે તે માટે સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રિબ્યુનલ્સમાં સુધારા માટે ઘણા પગલા લીધા છે. સુધારણા પ્રક્રિયા ચાલુ રાખીને ટ્રિબ્યુનલ્સને તર્કસંગત બનાવવા માટે વધુ પગલાં લેવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ગોવા
પોર્ટુગીઝ શાસનથી રાજ્યની સ્વતંત્રતાના રૂપમાં ગોવા આ વર્ષે હીરક જયંતી સમારોહ વર્ષ ઉજવી રહ્યું છે. કેન્દ્ર આ ઉજવણી માટે ગોવા સરકારને 300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે.
રોજગારી
સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતાં નાણાપ્રધાને કહ્યું કે સરકાર મુખ્ય ક્ષેત્રોના વિસ્તરણ માટે, વૈશ્વિક સ્તરે અગ્રણી ઉદ્યમીઓને તૈયાર કરવા તથા તેમના પોષણ માટે તેમજ યુવાનોને રોજગાર પૂરા પાડવા માટે નાણાકીય વર્ષ 2021-22થી આગામી 5 વર્ષમાં લગભગ 1.97 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે.
5 ટ્રિલિયનની ઈકોનોમી
ભારતની વિનિર્માણ કંપનીઓ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બનવાની, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા અને અત્યાધુનિક તકનીક મેળવવાની જરૂર છે જેથી તે 5 ટ્રિલિયન અમેરિકી ડોલરવાળું અર્થતંત્ર બની શકે. આ માટે, આપણા વિનિર્માણ ક્ષેત્રનો વિકાસ દર ડબલ અંકોમાં ટકાવી રાખવો પડશે. તેમણે કહ્યું કે ઉપરોક્ત સિદ્ધિ સુધી પહોંચવા તથા એક આત્મનિર્ભર ભારત માટે વિનિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ તૈયાર કરવાના હેતુથી 13 સેક્ટર માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનો (પી.એલ.આઇ.) યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
આગામી 3 વર્ષમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક શરૂ કરવામાં આવશે.
કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, વધુ રોકાણ આકર્ષવા અને રોજગાર પેદા કરવા પર ભાર મૂકવા માટે માસ ઈન્વેસ્ટમેન્ટ ટેક્ષટાઇલ પાર્ક (મિત્ર) નામની યોજનાની દરખાસ્ત કરી હતી. આનાથી નિકાસના ક્ષેત્રે વૈશ્વિક સ્તર પર અગ્રણી કંપનીઓ વિકસિત કરવાના ઉદ્દેશ સાથે આરામદાયક સુવિધાઓથી સજ્જ વૈશ્વિક કક્ષાના માળખાનું નિર્માણ થશે. આગામી 3 વર્ષમાં 7 ટેક્ષટાઇલ પાર્ક બનાવવામાં આવશે.
શિક્ષણ
દેશની 15,000થી વધુ શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાઓને આવરી લેશે, જેથી દેશમાં શિક્ષણની ગુણવત્તાને મજબૂત બનાવવામાં આવે. એનજીઓ/ખાનગી શાળાઓ/રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ
ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચનાની દરખાસ્ત રજૂ કરતા તેની એકંદરે ભૂમિકા નિભાવવાની વાત કરી જેમાં 4 મુખ્ય પાસાં, માનકતા, માન્યતા, નિયમનકારી નિર્માણ અને ભંડોળ હશે. આપણા ઘણા શહેરોમાં વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજ છે જે સરકારના સમર્થનથી ચાલે છે. ઉદાહરણ તરીકે હૈદરાબાદ, જ્યાં લગભગ 40 મુખ્ય સંસ્થાઓ છે. એ જ રીતે, અન્ય 9 શહેરોમાં, અમે સમાન એકંદર માળખું બનાવીશું, જેથી આ સંસ્થાઓમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, તેમજ તેમની સ્વાયતતા જાળવી શકાય. આ હેતુ માટે અનોખી ગ્રાન્ટ (ગ્લૂ ગ્રાન્ટ) શરૂ કરવામાં આવશે.
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી
તેમણે લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની દરખાસ્ત કરી.
ભારતીય રેલવે
ભારતીય રેલવેએ રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી પ્રાપ્ત કરી છે, જેમાંથી 1,07,100 કરોડ રૂપિયાની ફાળવણી મૂડીગત ખર્ચ માટે કરવામાં આવી છે. ભારતીય રેલવેએ નેશનલ રેલ પ્લાન ફોર ઈન્ડિયા – 2030 તૈયાર કર્યો છે. મેઇક ઇન ઈન્ડિયાને સક્ષમ બનાવવા માટે આપણાં ઉદ્યોગો માટે હેરફેર ખર્ચ ઘટાડવો એ અમારી વ્યૂહરચનાના કેન્દ્રસ્થાને રહેલ બાબત છે. નાણાંપ્રધાને જાહેરાત કરી હતી કે વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) અને ઈસ્ટર્ન ડીએફસી એ જૂન 2022 સુધીમાં શરૂ થવાની સંભાવના છે.
મુસાફરોની સુવિધા અને સુરક્ષા
મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે નીચેના પગલાઓની પણ દરખાસ્ત મૂકી હતી:
- મુસાફરોને પ્રવાસનો વધુ સારો અનુભવ આપવા માટે પ્રવાસી માર્ગો ઉપર સુંદર રીતે તૈયાર કરવામાં આવેલ વિસ્ટા ડોમ એલએચબી કોચ શરૂ કરવા.
- ભારતીય રેલવેના વધુ ગીચતા ધરાવતા નેટવર્ક અને વધુ વપરાતા નેટવર્ક રૂટ્સને સ્વદેશમાં નિર્મિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કે જે માનવીય ભૂલના કારણે થતાં ટ્રેન અકસ્માતોને ઓછા કરે છે તે પૂરી પાડવામાં આવશે.
નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2021-22ના અંદાજપત્રમાં કર વ્યવસ્થાને વધુ સરળ બનાવવાની, લિટીગેશન મેનેજમેન્ટની અને સીધા કરવેરાની વ્યવસ્થાનું આસાનીથી પાલન થઈ શકે તેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કરવેરા
વરિષ્ઠ નાગરિકોને આવકવેરાનાં રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપવાની, આવકવેરા અંગેની કાર્વાહીમાં સમય મર્યાદા ઘટાડવાની, ફેસલેસ આઈટીએટી માટે વિવાદ નિવારણ સમિતિ રચવાની, બિન-નિવાસી ભારતીયોને રાહત, ઓડિટમાંથી મુક્તિની મર્યાદા વધારવાની, અને ડિવિડન્ડની આવકમાં રાહત આપતી જાહેરાતો કરી છે.
મહામારી પછી ભારતમાં એક નવો વિશ્વ ક્રમ ઉભરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આપણી કર વ્યવસ્થા પારદર્શક અને કાર્યક્ષમ હોવી જોઈએ અને તેના થકી દેશમાં મૂડીરોકાણ અને રોજગારીને પ્રોત્સાહન મળવું જોઈએ. તેની સાથે-સાથે આપણા કરદાતાઓ પર કરવેરાનો ઓછામાં ઓછો બોજ પડવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારે કરદાતાઓ અને અર્થતંત્રના હિતમાં સંખ્યાબંધ સુધારા કર્યા છે, જેમાં કોર્પોરેટ કર દર ઘટાડો, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની નાબૂદી, અને નાના કર દાતાઓ માટે રિબેટમાં વધારા સહિતનાં પગલાંનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં આવક વેરાનાં રિટર્ન ફાઈલ કરનાર લોકોની સંખ્યામાં નાટયાત્મક વધારો થયો છે, વર્ષ 2014માં રિટર્ન ફાઈલ કરનારની સંખ્યા 3.31 કરોડ હતી તે વધીને 6.48 કરોડ થઈ છે.
વરિષ્ઠ નાગરિકોને રાહત
દેશની આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે બજેટમાં 75 વર્ષની વયના તથા તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને માટે નિયમ પાલનનો બોજ ઓછો કરવામાં આવ્યો છે. જે વરિષ્ઠ નાગરિકો માત્ર પેન્શન અને વ્યાજની આવક ધરાવતા હશે તેમને આવકવેરાનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બિન- નિવાસી ભારતીયોને રાહત, ડિવિડન્ડ માટે રાહત
ભારતમાં પરત ફરતા બિન –નિવાસી ભારતીયોની હાડમારી ઓછી થાય તે માટે ફોરેન રિટાયરમેન્ટ એકાઉન્ટમાં એકત્ર થયેલી રકમ અંગે નિયમો નોટિફાય કરવાની બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. બજેટમાં ડિવિડન્ડની ચૂકવણીમાં REIT/InvITને મૂળ સ્થાને કર કપાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોની ડિવિડન્ડની આવક ઉપર બજેટમાં ઓછો કર દર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ડિવિડન્ડની આવક ઉપર એડવાન્સ્ડ કરની જવાબદારી ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત થવા ચૂકવણી કરવામાં આવે તે પછી જ ઉભી થશે.
પરવડે તેવા આવાસ/ રેન્ટલ હાઉસિંગ
નાણાંપ્રધાને પરવડે તેવું મકાન ખરીદવા માટે લેવામાં આવેલા ધિરાણમાં વ્યાજની વધારાની કપાતનો દાવો કરવાની મુદત વધારીને 1.5 લાખ કરવાની દરખાસ્ત કરી છે. પરવડે તેવાં મકાનની ખરીદી માટે લીધેલા ધિરાણમાં રૂ. 1.5 લાખ સુધીના વ્યાજના વધારાના ડીડકશન (કપાત) માટેની મુદત લંબાવીને 31, માર્ચ, 2022 કરી છે.
પરવડે તેવા મકાનોનો પુરવઠો વધે તે હેતુથી તેમણે એફોર્ડેબલ હાઉસિંગ માટે ટેક્સ હોલીડેનો દાવો કરવાની પાત્રતાનો સમય વધુ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ, 2022 સુધી લંબાવ્યો છે. પ્રવાસી શ્રમિકો માટે એફોર્ડેબલ રેન્ટલ આવાસોનો પુરવઠો વધે તે માટે તેમણે મોટિફાઈડ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ પ્રોજેકટસને માટે નવી કરમુક્તિની જાહેરાત કરી છે.
સ્ટાર્ટ અપ્સ માટે કર લાભ
દેશમાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન મળે તે હેતુથી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ્સ માટે ટેક્સ હોલીડેનો દાવો કરવાની પાત્રતા વધુ એક વર્ષ માટે લંબાવીને તા. 31 માર્ચ, 2022 સુધીની કરી છે. સ્ટાર્ટ અપ્સ માટે ભંડોળને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે સ્ટાર્ટ અપ્સમાં થતા મૂડીરોકાણને કેપિટલ ગેઈનમાંથી મુક્તિ આપવાની મુદત વધુ એક વર્ષ માટે લંબાવીને 31 માર્ચ, 2022 સુધીની કરી છે.
લેબર વેલફેર ફંડમાં માલિકોનું યોગદાન સમયસર જમા થાય તે માટે
વિવિધ કલ્યાણ ભંડોળોમાં માલિકોનું યોગદાન જમા કરાવવામાં વિલંબને કારણે કર્મચારીઓને વ્યાજ/ આવકમાં કાયમી ખોટ ભોગવવી પડે છે. માલિકોના હિસ્સાની રકમ સમયસર જમા થાય તેની ખાત્રી રાખવાના હેતુથી તેમણે જાહેરાત કરી છે કે માલિકોનો હિસ્સો મોડો જમા થશે તો માલિકને કર કપાતની ક્યારેય છૂટ નહીં મળે.
આવક વેરા વિભાગની કાર્યવાહી ખોલવાના સમયમાં ઘટાડો
કર પાલનનો બોજ ઘટાડવા માટે આવક વેરા વિભાગની કાર્યવાહી (પ્રોસીડીંગ્સ) ફરીથી ખોલવાની મુદત હાલમાં 6 વર્ષની છે તે ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. કર ચોરીના ગંભીર કિસ્સાઓ કે જેમાં એક વર્ષમાં રૂ. 50 લાખ કે તેથી વધુ આવક છૂપાવી હોય તેવા કિસ્સામાં 10 વર્ષ સુધી એસેસમેન્ટ ખોલી શકાશે, પણ પ્રિન્સિપલ ચિફ કમિશનરની મંજૂરી પછી જ આ પ્રક્રિયા થઈ શકશે.
વિવાદ નિવારણ સમિતિ અને નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર
કર વ્યવસ્થામાં કાનૂની વિવાદો ઘટાડવાની સરકાર ઈચ્છા ધરાવે છે. સરકારે જાહેર કરેલી ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાને સારો પ્રતિભાવ હાંસલ થયો છે. 30 જાન્યુઆરી, 2021 સુધીમાં આ યોજના હેઠળ એક લાખ દસ હજારથી વધુ કરદાતાઓએ રૂ. 85,000 કરોડના કર વિવાદોની પતાવટ કરવાનું પસંદ કર્યું છે. સરકારે નાના કર દાતાઓના કાનૂની વિવાદ ઘટાડવા માટે નિર્મલા સીતારમણે વિવાદ નિવારણ સમિતિ રચવાની જાહેરાત કરી છે. રૂ. 50 લાખ સુધીની કર પાત્ર આવક ધરાવનાર અને રૂ. 10 લાખ સુધીનો કર વિવાદ ધરાવનાર આ કમિટીનો સંપર્ક કરી શકશે. કાર્યક્ષમતા, પારદર્શકતા અને જવાબદેહિતા માટે આ કમિટીની કાર્યવાહી ફેસલેસ રહેશે. તેમણે નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.
ડિજિટલ વ્યવહારો માટે ટેક્સ ઓડીટની મર્યાદામાં વધારો
ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળે તે હેતુથી અને પોતાના લગભગ તમામ આર્થિક વ્યવહારો ડિજિટલ પધ્ધતિથી કરનાર વ્યક્તિનો બોજ ઘટાડવા માટે બજેટમાં 95 ટકા આર્થિક વ્યવહારો ડિજિટલ પધ્ધતિથી કરનારની ટેક્સ ઓડિટની મર્યાદા રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ સુધીની કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
વિદેશી મૂડીરોકાણોને પ્રોત્સાહનો
માળખાગત સુવિધાઓ (ઈનફ્રાસ્ટ્રકચર) માં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે બજેટમાં પ્રાઈવેટ ફંડીંગ ઉપર પ્રતિબંધ, કોમર્શિયલ પ્રવૃત્તિઓ પરનાં નિયંત્રણો તથા માળખાગત સુવિધાઓમાં સીધા મૂડી રોકાણની કેટલીક શરતો હળવી કરવાની જાહેરાત કરી છે. માળખાગત સુવિધાઓમાં ઝીરો કૂપન બોન્ડથી ફંડીંગ થઈ શકે તે માટે બજેટમાં કર કાર્યક્ષમ ઝીરો કૂપન બોન્ડ ઈસ્યુ કરીને નેટિફાઈડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેબ્ટ બોન્ડ માટે છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આઈએફએસસીને કર પ્રોત્સાહન
ગિફ્ટ સીટીમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી)ને પ્રોત્સાહન માટે બજેટમાં એરક્રાફટ લીઝીંગ કંપનીઓની આવકને કેપિટલ ગેઈનમાં ટેક્સ હોલીડે, વિદેશના ભાડે આપનારને આપવાનાં થતા એરક્રાફટ લીઝના ભાડામાં કર મુક્તિ, આઈએફએસસી ફરીથી ભંડોળ લગાવનારને કર પ્રોત્સાહનો અને આઈએફએસસી આવેલી વિદેશી બેંકોના ઈનવેસ્ટમેન્ટ ડિવિઝનને કરમુક્તિ આપવાનો સમાવેશ થાય છે.
નાનાં ટ્રસ્ટને રાહત
શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલ ચલાવતાં નાનાં ચેરીટેબલ ટ્રસ્ટસનો નિયમ પાલનનો બોજ ઘટાડવા માટે બજેટમાં આવા ટ્રસ્ટ માટે વાર્ષિક આવકની મર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં આ મર્યાદા રૂ. 1 કરોડની છે તે વિવિધ નિયમ પાલન કરવું પડે નહીં તે માટે રૂ. 5 કરોડની કરવામાં આવી છે.
ફેસલેસ આઈટીએટી
ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલને ફેસલેસ બનાવવાની દરખાસ્ત કરી છે. તેમણે નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે કે જેમાં ટ્રિબ્યુનલ અને અપીલ કરનાર વચ્ચેનું તમામ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક સ્વરૂપે થશે.
રિટર્નનું પ્રિ-ફાઈલીંગ
રિટર્ન ફાઈલીંગની વ્યવસ્થા આસાન બને તે હેતુથી બજેટમાં લીસ્ટેડ સિક્યુરિટીઝમાંથી કેપિટલ ગેઈન્સની વિગતો, ડિવિડન્ડની આવક અને બેંકો, પોસ્ટ ઓફિસ વગેરે તરફથી મળતું વ્યાજ વગેરે પણ રિટર્નમાં પ્રિ- ફાઈલ કરવામાં આવશે. વેતનની આવકની વિગત, ટીડીએસ વગેરેનો સમાવેશ અગાઉ પ્રિ-ફાઈલ્ડ રિટર્નમાં થઈ ચૂક્યો છે.
બજેટરી અંદાજ 2021-22
અર્થતંત્રને જરૂરી વેગ મળી રહે એ માટે ખર્ચ માટે 2021-22નો બજેટરી અંદાજ રૂ. 34.83 લાખ કરોડ છે. એમાં મૂડી ખર્ચ તરીકે રૂ. 5.54 લાખ કરોડનો સમાવેશ થાય છે જે 2020-2021ના બજેટરી અંદાજ કરતા 34.5% વધારો સૂચવે છે.
ઈન્સ્યોરન્સ સેકટરમાં એફડીઆઈ
સરકાર વીમા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેશે અને વિદેશી માલિકી અને નિયંત્રણને મંજૂરી આપશે, જરૂરી સલામતી સાથે વીમા અધિનિયમ, 1938માં સુધારો કરશે. સૂચિત નવી રચના હેઠળ, બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટર અને મુખ્ય મેનેજમેન્ટ-સંબંધિત લોકો ભારતીય જ હશે, જ્યારે ઓછામાં ઓછા 50 ટકા ડિરેક્ટર હકીકતમાં સ્વતંત્ર ડિરેક્ટર હશે અને નફાના ચોક્કસ ભાગને આરક્ષિત રકમ તરીકે જાળવી રાખવામાં આવશે.
નવું સ્ટ્રક્ચર બનાવીને ફસાયેલા દેવાની પતાવટ કરવામાં આવશે
નાણાંપ્રધાને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ફસાયેલા દેવાઓને એકત્રિત કરવા અને મેળવવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત લોનનું યોગ્ય સંચાલન કરવા અને તેમને વૈકલ્પિક રોકાણ ભંડોળમાં અને અન્ય સંભવિત રોકાણકારોને વેચી શકાશે. આખરે આ ફસાયેલા દેવાની સાચી કિંમત તરફ દોરી જશે. આ પગલાંથી જાહેર ક્ષેત્રની બેંકો તેમના ફસાયેલા દેવાની અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરશે.
પી.એસ.બી.નું પુન: મૂડીકરણ
જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) ની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે સરકારે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 20,000 કરોડ રૂપિયાના વધુ પુન:પ્રાપ્તિકરણની દરખાસ્ત કરી છે.
જમા વીમો
નાણાંપ્રધાને જમા વીમા કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવાની મંજૂરી આપી હતી. હાલમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા બેંક થાપણદારોને મદદ કરવા માટે સરકાર સંસદના વર્તમાન સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ, 1961માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કરશે, જેથી સંબંધિત જોગવાઈઓને સુવ્યવસ્થિત કરી શકાય. આવી સ્થિતિમાં, જો કોઈ બેંક અસ્થાયી રૂપે તેની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો તે બેંકના થાપણદારો તેમની થાપણ વીમા કવરની કુલ થાપણોને સરળ અને સમય મર્યાદામાં મેળવી શકશે.
નાણાંપ્રધાને જણાવ્યું હતું કે નાણાં લેનારાઓના હિતોનું સતત રક્ષણ સુનિશ્ચિત કરતા ઋણ સંબંધી અનુશાસનને વધુ સારું બનાવવાના ઉદેશ્યથી 100 કરોડ રૂપિયાની ઓછામાં ઓછી સંપતિ કદવાળી એનબીએફસી માટે, નાણાકીય અસ્કયામતોની સલામતી અને પુનર્નિર્માણ માટેના લઘુત્તમ લોનનું કદ અને સલામતી હિતના એન્ફોર્સમેન્ટ (સારફાઈએસઆઈ) એક્ટ, 2002ને હાલના 50 ટકાના સ્તરથી ઘટાડીને 20 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.