ઈસરો વર્ષ 2021ની શરૂઆતમાં ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્રસિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જો કે ચંદ્રયાન-3 મિશનમાં આ વખતે ઓર્બિટર નહી હોય, પરંતુ તેમાં એક લેન્ડર અને એક રોવર હશે. સ્પેસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાનની જવાબદારી સંભાળતાં ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3નું લોન્ચિંગ 2021ની શરૂઆતમાં થશે. આ ચંદ્રયાન-2નું રીપીટ મિશન જેવું હશે. જેમાં તેની જેમ જ લેન્ડર અને રોવર જ રહેશે. પણ ઓર્બિટર નહી હોય.
ચંદ્રયાન-2 મિશન દ્વારા મોકલવામાં આવેલ ઓર્બિટર હાલ સારુ કાર્ય કરી રહ્યું છે અને ઈસરોને જાણકારી મોકલી રહ્યું છે. વીતેલા વર્ષના સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2નું ચંદ્રમા પર હાર્ડ લેન્ડિંગ પછી ઈસરોએ 2020 વર્ષના અંત સુધીમાં ચંદ્રયાન-3 મૂન મિશનની યોજના બનાવી હતી. પણ કોરોનાને કારણે તેમાં મોડુ થયું છે. તેના પહેલા ચંદ્રયાન-2ને ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાની યોજના હતી. પણ લેન્ડર વિક્રમે 7 સપ્ટેમ્બરના રોડ હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું ભારતનું સ્વપ્ન તૂટી ગયું હતું. જો તેમાં સફળતા મળી હોત તો ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરનાર દુનિયામા પ્રથમ દેશ બની જાત. ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે અને લૉકડાઉને કારણે ઈસરોની આ પરિયોજનાને અસર થઈ છે અને ચંદ્રયાન-3 અભિયાનમાં મોડુ થયું છે.
ચંદ્રયાન-3ની સાથેસાથે ઈસરો અંતરિક્ષમાં માનવને મોકલવા માટે ભારતના પ્રથમ મિશન ગગનયાનની તૈયારીઓ પણ કરી રહ્યું છે. ડૉ. જિતેન્દ્રસિંહના કહેવા પ્રમાણે ગગનયાનની તૈયારીઓમાં કોવિડ-19ને કારણે કેટલી અડચણો આવી છે. પણ વર્ષ 2022ની આસપાસ અમે આ મિશનને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
અત્રે નોંધનીય છે કે 2008માં લોન્ચ કરાયેલ ચંદ્રયાન-1 મિશન ચંદ્રમા પર ઈસરોનું પ્રથમ અભિયાન હતું. તેના દ્વારા ચાંદ પર પાણી હોવાની માહિતી અને સાબિતી સાથે દુનિયાને જાણકારી આપી હતી. ચંદ્રયાન-1 દ્વારા મળેલા ડેટાએ આ વાતનો સંકેત આપ્યો છે તે ચંદ્રના ધ્રુવો પર પાણી છે. આજે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર શોધ કરી રહ્યા છે.
નાશાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એવું હોઈ શકે છે કે પૃથ્વીનું પોતાનું વાતાવરણ તેમાં સહાયતા કરી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એવો થાય કે પૃથ્વીનું વાતાવરણ ચંદ્રમાની પણ રક્ષા કરે છે.