કોંગ્રેસમાં નેતૃત્વનું સંકટ? નવી દિશા કોણ બતાવશે…

by Investing A2Z

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સોમવારે મળી, અને તેમાં ઠેરના ઠેર રહ્યાં, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી જ રહ્યાં. કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ 23 નેતાઓએ ફુલટાઈમ પ્રમુખ બનાવવાની માગ કરતો પત્ર લખ્યો હતો, બસ ત્યારથી કોંગ્રેસમાં હચચલ શરૂ થઈ હતી, કે હવે પ્રમુખ બદલાશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ગરમાગરમ ચર્ચા પણ થઈ, આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયાં, પણ છેલ્લે તો કોંગ્રેસની કમાન ગાંધી પરિવાર પાસે જ રહી. હવે સવાલ એ છે કે વર્ષો જૂની પાર્ટી પાસે હાલ નેતૃત્વનું સંકટ છવાયેલુ છે? આટલા બધાં સીનીયર નેતા હોવા છતાં કોઈને જવાબદારી સોંપાઈ નહીં. ગાંધી પરિવાર જ સર્વેસર્વા રહેવા માગે છે કે શું? તેમના વગર પાર્ટી ચાલી શકે તેમ નથી? નહેરુ અને ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસની કલ્પના કરવી અશક્ય છે? 40 વર્ષથી કોંગ્રેસની કમાન ગાંધી પરિવાર પાસે રહી છે, અને હવે ગાંધી અને બિનગાંધી વચ્ચે કોંગ્રેસના બે ભાગ પડી ગયાં છે, તે સ્પષ્ટ થયું  છે.

કોંગ્રેસમાં હાલ પુરતું તોફાન શમ્યું છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનિયા ગાંધી રહ્યાં છે, પણ હવે આગામી નવા પ્રમુખ માટે છ મહિનામાં પસંદગી કરવામાં આવશે, તેવું સીડબલ્યુસીની બેઠકમાં નક્કી થયું છે. સોનિયા ગાંધી છેલ્લાં 20 વર્ષથી કોંગ્રેસ પ્રમુખ(અધ્યક્ષ)ની ભૂમિકામાં રહ્યાં છે અને સૌથી વધુ લાંબા સમય સુધી પ્રમુખપદે રહ્યાં છે. પણ હવે સોનિયા ગાંધીની તબિયત સારી રહેતી નથી, તેઓ અમેરિકા સારવાર પણ લઈ આવ્યાં છે. પરિણામે પાર્ટીની કમાન હવે બદલાશે, તે નક્કી છે.

  • જવાહરલાલ નહેરુ- 1951-54 સુધી ત્રણ વર્ષ પ્રમુખ રહ્યાં
  • ઈન્દિરા ગાંધી- 1959-60 અને 1978-84 સુધી 7 વર્ષ પ્રમુખ
  • રાજીવ ગાંધી- 1985થી 1991 સુધી 6 વર્ષ
  • સોનિયા ગાંધી- 1998થી 2017 સુધી 19 વર્ષ
  • રાહુલ ગાંધી- 2017થી 2019 સુધી 1.5 વર્ષ
  • સોનિયા ગાંધી- 2019-20 સુધી 1 વર્ષ

આઝાદી મળ્યાં પછી કોંગ્રેસ 18 પ્રમુખ જોઈ ચૂકી છે. તેમાંથી પાંચ તો ફક્ત ગાંધી પરિવારના રહ્યાં છે, બાકીના 13 પ્રમુખ ગાંધી પરિવાર બહારના રહ્યાં છે. જો કે ખરેખર જોવા જઈએ તો ગાંધી પરિવારના હાથમાં સત્તા અને સંગઠનની બાગડોર રહી છે. ગાંધી પરિવારમાંથી આવતાં કોંગ્રેસના પાંચ પ્રમુખ અંદાજે 40 વર્ષ સુધી આ પદ પર રહ્યાં છે. 1998 પછી કોંગ્રેસનું પ્રમુખ પદ સતત ગાંધી પરિવારની પાસે જ રહ્યું છે.

કોંગ્રેસના જ સીનીયર નેતાઓએ પત્ર લખીને માગ કરી કે પ્રમુખ પદ માટે વિચારી શકાય. પણ હવે કોંગ્રેસને બેઠી કરવાનો સમય આવી ગયો છે. કેટલાય કોંગ્રેસના જૂના જોગીઓ માની રહ્યાં છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની ભાજપ મજબૂત બની રહ્યું છે, તો સામે પક્ષે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. અને તે શાસક પક્ષ સામે મજબૂતાઈથી પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરી શકે. હાલ કોંગ્રેસની સ્થિતિ બગડી રહી છે.

તાજેતરમાં મધ્યપ્રદેશમાં યુવા નેતા જ્યોર્તિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું અને કોંગ્રેસની સરકાર પડી ગઈ, રાજસ્થાનમાં યુવા નેતા સચીન પાયલોટ થોડા કાચા પડ્યાં અને સામે અશોક ગહેલોત રાજકારણના જૂના ખેલાડી છે, જેથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બચી ગઈ છે. પણ રાજસ્થાનમાં હજી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે ખટરાગ છે. રાજ્યોમાં મળેલી સત્તા ટકાવવા માટે પણ કોંગ્રેસને અથાગ મહેનત કરવી પડી રહી છે.

બીજી તરફ કોંગ્રેસમાં યુવા નેતા અને સીનીયર નેતાઓ વચ્ચે મોટી ખાઈ વધી ગઈ છે. મોવડીમંડળ યુવા નેતાઓએ સત્તા આપવા રાજી નથી. તો બીજી બાજુ સીનીયર નેતાઓ વધુ સુપર સીનીયર નેતા બની ગયાં છે. કે જેઓ મતદારોને આકર્ષી શકે તેવી રીતે કામ કરી શકે તેમ નથી. હાલ કોંગ્રેસ સત્તામાં નથી, પણ મતદારો વચ્ચે રહેવા કે પ્રવાસ કરનાર નેતાઓ હવે રહ્યાં નથી. પ્રજાના પ્રશ્નો સાંભળીને અવાજ ઉઠાવનારા કોઈ નેતા રહ્યાં નથી. કોંગ્રેસ સત્તા વગરની વિપક્ષ પાર્ટી છે, અને સામે પક્ષે શાસક પક્ષ વધુ મજબૂત છે. કોંગ્રેસની નેતાગીરી નબળી પુરવાર થઈ રહી છે, તે કોંગ્રેસના તમામ નેતાઓ જાણે છે, પણ કાંઈ કરી શકે તેમ નથી.

કોંગ્રેસને સબળ નેતૃત્વની જરૂર છે. આગામી લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં કોંગ્રેસે પ્રજાલક્ષી મુદ્દાઓ સાથે મતદારો સાથે આત્મીયતા ઉભી કરવાની જરૂર છે અને ભાજપની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મુકવી જોઈએ. યુવા બ્રિગેડ તૈયાર કરીને તેમને રાજકારણના પાઠ ભણાવવા જોઈએ, તો જ તે દેશનું સુકાન સંભાળી શકશે. સીનીયર નેતાઓએ પાર્ટીને દિશા બતાવવી જોઈએ, તેમની પાસે અનુભવ છે. પણ હાલ આ અનુભવ પર કાટ ચઢી ગયો છે.

Related Posts

Leave a Comment