ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તારીખ નજીક આવી ગઈ છે. 500 વર્ષની રાહ જોયા પછી હવે શ્રી રામ મંદિર બનવા જઈ રહ્યું છે. દેશભરમાં રામ મંદિર નિર્માણમાં સહયોગ આપવા માટેની તૈયારીઓ ઝડપી બની છે. ભૂમિપૂજન માટે પવિત્ર નદીઓનું જળ અને તિર્થસ્થળોની પવિત્ર માટી લાવવાનું શરૂ થઈ ગયું છે. પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરશે અને એક નવો ઈતિહાસ લખાશે. અયોધ્યાને પૂર્ણ રીતે શણગારાશે. ફરી એક વાર દીવાળી જેવા માહોલ ઉભો કરાશે. ભૂમિપૂજન માટે 200 મહેમાનોને ખાસ આમંત્રણ અપાશે, તેઓ માટે ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
પાંચ ઓગસ્ટે ભૂમિપૂજન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની ઈટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈટ અયોધ્યા પહોંચી ગઈ છે. તે ઈટ શુદ્ધ ચાંદીની 22.6 કિલોગ્રામ વજનની છે. ચાંદીની કિમત જોઈએ તો આ ઈટ અંદાજે 15 લાખ 60 હજારની થવા જાય છે.
ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નને પાંચ ઓગસ્ટના રોજ રામ મંદિર ભૂમિપૂજનના અવસરે રત્નજડિત પોશાક પહેરાવાશે. રામદળ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કીરામ એ ભગવાનની મૂર્તિઓ પર આ પોશાક પહેરાવશે. આ પોશાક પર નવ પ્રકારના રત્ન લગાવ્યા છે. ભગવાન માટે વસ્ત્ર સીવવવાનું કામ કરનારનું કહેવું છે કે ભગવાન રામ લીલા રંગના પોશાક પહેરશે. ભૂમિપૂજન બુધવારે થવાનું છે, તે દિવસનો રંગ લીલો હોય છે.
દેશમાંથી રામ ભક્તો કાર્યક્રમમમાં જોડવા માટે તેમના વિસ્તારોના મઠ મંદિરોની માટી અને નદીઓના પવિત્ર જળ અયોધ્યા પહોંચી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સભ્યના કહેવા પ્રમાણે કોરોના સંકટને કારણે શ્રદ્ધાળુઓ જાતે તો આવી શકે તેમ નથી, જેથી તેઓ સ્પીડ પોસ્ટ દ્વારા નદીઓનું પવિત્ર જળ અને પવિત્ર સ્થળોની માટીના પેકેટ અયોધ્યા ટ્રસ્ટને મોકલી રહ્યા છે.
બિહારના લોકો પ્રભુ રામને તેમના જમાઈ માને છે. તેના માટે તેઓ મંદિર નિર્માણ માટે વધારે ઉત્સાહિત છે. આથી બિહારથી 500 પેકેટ આવ્યા છે. છત્તીસગઢના વનવાસી સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં મંદિરોમાંથી માટી અને નદીઓનું જળ અયોધ્યા મોકલ્યું છે. ઉત્તરાખંડના બદરીનાથથી માટી અને અલકનંદા નદીનું જળ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોકલાયું છે.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે પત્થરોથી કરાશે. રામ મંદિર નિર્માણ માટે ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરના વર્કશોપના સુપરવાઈઝર સોમપુરાનું કહેવું છે કે મંદિરના નિર્માણમાં અનોખી ટેકનોલોજી અને મશીનોનો પ્રયોગ કરાશે.
રામ જન્મ ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં જશ્નનો માહોલ છે. ભક્તો રામ મંદિરના નિર્માણની ખુશીને રોકી શકતા નથી. સરયુ નદીના કાંઠે હજારોની સંખ્યામાં દીવડા કરાય છે. અને પ્રયત્ન એવો છે કે પાંચ ઓગસ્ટ સુધી રોજ સેંકડો દીવડા કરીને અયોધ્યાને ઝળહળતી રાખીશું.
ગુજરાતના પ્રસિધ્ધ રામ કથાકાર મોરારી બાપુએ રામ મંદિર નિર્માણ માટે રૂપિયા પાંચ કરોડનું દાન કરવાની જાહેરાત કરાઈ છે. ભાવનગરના તલગાજરડામાં ડિજિટલ માધ્યમથી થતી રામકથાના વ્યાસપીઠ પરથી રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે એમ કહ્યું હતું કે સૌથી પહેલા રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા અહીંયાથી મોકલાશે, જે પ્રભુ રામના ચરણોમાં એક તુલસીપત્રના રૂપમાં ભેટ હશે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સાથે અયોધ્યાની કાયાકલ્પ કરવાની યોજના પણ બનાવાઈ છે. યોગી સરકારે અયોધ્યાના આધારભૂત ઢાંચામાં, સ્વરૂપ અને વિકાસની તસવીર બદલાવાની કાર્યયોજના તૈયાર કરી છે. જેમાં અંદાજે રૂપિયા 487 કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે. અયોધ્યામાં ભૂમિપૂજન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જાણકારોના કહેવા પ્રમાણે 50 જેટલા અલગઅલગ બ્લોક બનાવાશે. એક બ્લોક કારસેવકો માટે, એક બ્લોક એડવોકેટ માટે, એક બ્લોક બિઝનેસમેન માટે, એક બ્લોક પ્રધાનો માટે અને આરએસએસના લોકો માટે હશે. ખૂબ જાણીતી ઈમારતો અને મંદિરોમાં લાઈટ અને દીવા પ્રજવ્લિત કરાશે. અયોધ્યામાં અનેક ઠેકાણે મોટી એલઈડી સ્ક્રીન લગાવાશે, જેનાથી લોકો કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.
મહત્વના અપડેટ્સ
- પાંચ ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન કરશે, ભૂમિપૂજન પહેલા મોદી એક શિખર અને પાંચ મંડળવાળા 3 માળના મંદિરનું મોડલ તે દિવસે રામ જન્મભૂમિ પરિસરમાં જોશે અને તે સમયે આ મોડેલ લોકો માટે ખુલ્લુ મુકાશે.
- રામ મંદિરના નવા મોડલ અનુસાર તેમાં કુલ 17 ભાગ હશે. તેમાં શિખર, ગર્ભગૃહ, કળશ ગોપુરમ રથ, મંડપ અને અર્થ મંડપ, પરિક્રમા તોરણ, પ્રદક્ષિણા અધિષ્ઠાન જેવા વર્ગોમાં વહેંચાયું છે. આ મોડલને આમ જનતાને જોવા માટે રજૂ કરાશે.
- રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન પાંચ ઓગસ્ટે છે, પણ 3 ઓગસ્ટથી અયોધ્યામાં ઉત્સવ શરૂ થઈ જશે. અહીંયા દીવાળી જેવો માહોલ છે. સત્તાવાળાઓ દ્વારા શહેરમાં લાખો દીવા કરાશે. અયોધ્યાની જનતાને અપીલ કરાઈ છે કે તેઓ તેમના ઘરની બહાર દીવા પ્રગટાવે, અને સાથે અયોધ્યામાં દિવાલોની સજાવટ શરૂ કરાઈ છે.
- ભૂમિપૂજનને ઐતિહાસિક બનાવવા માટે હરિદ્વારમાં હર કી પૌડી પર બ્રહ્મકુંડના સંતોએ ગંગાજળ અને માટીની પૂજા કરી અને તે પવિત્ર માટી અને જળને ભૂમિપૂજન માટે મોકલાવામાં આવ્યા છે. મહાકાલને પ્રભુ રામના આરાધ્ય માનવામાં આવે છે, માટે મહાકાલ વનની માટી, ક્ષિપ્રા નદીનું જળ અને ભસ્મ ભૂમિપૂજન માટે અયોધ્યા મોકલવામાં આવી છે.
- પાંચ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી 11.30 વાગ્યે અયોધ્યા આવશે, એક કલાક ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલશે, અને તે પછી પીએમ સંબોધન કરશે. જય શ્રી રામ…