ચીન વિશ્વમાં ચારેયકોર ભારે ચર્ચામાં છે. કોરોના વાયરસ ફેલાયો ત્યારથી માંડીને હાલ મહાસત્તા એવા અમેરિકા સામે બાંયો ચઢાવી છે. ચીને ભારત સરહદે પણ લશ્કર ઉતારીને તંગદિલી ઉભી કરી છે. હજી કોરોના વાયરસે વિશ્વના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાની ઈકોનોમીને તળિયે લાવી દીધી છે, જેથી તમામ દેશો ચીન સામે ગુસ્સે થયા છે. તો સામે ચીન પણ મહાસત્તા હોવાના સ્વપ્નમાં રાચીને બાથ ભીડવા તૈયાર છે. શું આ વિશ્વયુદ્ધની તૈયારી છે? તેવો પ્રશ્ન થયા તે સ્વભાવિક છે. પણ ચીન પાસે લશ્કરી તાકાત ગજબની છે. તો સામે અમેરિકા પણ ગાજ્યું જાય તેમ નથી. ચીન અને અમેરિકા સામસામે આવી જાય તો ભારતને ટેકો મળી જાય અથવા તો ચીનની દાદાગીરી ઘટે તેમ છે, તેનાથી ભારતને ફાયદો થશે.
ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસે હાલ વિશ્વના દેશોમાં તબાહી મચાવી છે. તમામ દશો ચીનથી ખફા થયા છે. ચીન મહાસત્તા બનવાની લાલસામાં તે ગમે તે કરી શકે છે. અમેરિકાએ તેમના વૈજ્ઞાનિકો દ્વારા ચીનના વુહાન લેબમાં તપાસ કરવાની માંગ કરી હતી, પણ તે ચીને ઠુકરાવી પછી અમેરિકા વધારે ગુસ્સે ભરાયું છે. બસ ત્યારથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
ચીને ભારતની લદાખ સરહદે લશ્કરી તાકાત વધારીને ગલવાન ઘાટી અને પેંગોગ સરોવર વિસ્તાર પર કબજો જમાવ્યો, ભારતના લશ્કરે પહોંચીને ચીનના સૈનિકનો પાછા ખસેડ્યા છે, તે ઝપાઝપીમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, તો સામે ચીનના 48 સૈનિકો માર્યા ગયા હતા, જો કે ચીને તે વાતને સ્વીકારી નથી. પણ ત્યાર પછી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મંત્રણાનો દોર શરૂ થયો, વિદેશી પ્રધાનોએ ટેલિફોનિક વાત કરીને સરહદ પરની તંગદિલી હળવી કરવા સમજૂતી કરી, પણ ચીનના સૈનિકો માન્યા નહી. ચીનની સૈનિકો સરહદ પર ખસ્યા નહી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદાખ બોર્ડરની અચાનક મુલાકાત લીધી કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ લદાખ સરહદે મુલાકાત લીધી, લશ્કરને તૈયાર રહેવા આહ્વાન કર્યું. આમ ચારેકોરથી દબાણ ઉભું થતાં ચીનની સૈનિકોએ ચોકીએ ખેસડીને પાછી લઈ ગયા હતા. તેમ છતાં હજી ભારત ચીન સરહદ પર તંગદિલીનો માહોલ છે.
ભારત-ચીન સરહદની તંગદિલી પર અમેરિકા સતત નજર રાખીને બેઠુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બે વખત કહી ચુક્યા છે કે તેઓ મધ્યસ્થી કરવા તૈયાર છે. પણ ચીન અમેરિકાની વાત માને ખરુ? ચીન અવિશ્વાસુ દેશની છાપ ધરાવે છે. તેણે ભારતને ઘેરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે. પાકિસ્તાન, નેપાળ અને ભૂતાનને ભારત વિરોધી કરી નાંખ્યા છે. હોંગકોંગમાં પણ ચીન જોહુકમી ચલાવી રહ્યું છે, જેથી અમેરિકા ચીન પર વધુ ગુસ્સે ભરાયું છે. ચીન સામાન્ય રીતે જગત પર પોતાની ધાક જમાવવા પ્રયત્નો કરી રહ્યું છે, પણ તે સફળ થઈ શક્યું નથી. ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો, અનેક પ્રોજેક્ટ રદ કર્યા છે, ભારતમાં બધે ચીની માનસામનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અમેરિકા અને બ્રિટન પણ ચીની કંપનીઓના પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવાની દિશામાં છે. ચીનની આર્થિક કમર તૂટી જાય તો તેની દાદાગીરી ન રહે. તે સ્ટ્રેટેજીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિચારી રહ્યા છે.
બીજી તરફ એવા સમાચાર આવ્યા હતા કે અમેરિકા અન ચીન એકબીજાના કોન્સ્યુલેટ(વાણિજ્ય દુતાવાસ) બંધ કરવાની વાત કરી દીધી છે. ચીનના હ્યુસ્ટનમાં કોન્સ્યુલેટમાં કાગળ અને દસ્તાવેજ સળગાવવાના સમાચાર પછી અમેરિકાએ 72 કલાકનો સમય આપીને ચીનને ઓપરેશન રોકવાનું કહી દીધું છે. તેના પર ગભરાયેલા ચીને શુક્રવારે અમેરિકાને ચેંગડુ સ્થિત કોન્સ્યુલેટને બંધ કરવાનું કહી દીધું છે. પહેલા અમેરિકાએ હ્યુસ્ટનમાં કોન્સ્યુલેટને બંધ કરવા માટે ચીનને 72 કલાકનો સમય આપ્યો હતો, તેના જેવો જવાબ ચીને આપ્યો હતો. ચીને અમેરિકાને એપ પણ કહ્યું હતું કે અમેરિકાનો આ ખોટો નિર્ણય છે, તે તેનો નિર્ણય પાછો લે. બન્ને દેશો સાથેના સંબધો સામાન્ય થાય તેવી સ્થિતિ ઉભી કરો. જો કે આ વર્ષે ચીન અને અમેરિકા વચ્ચે આ વર્ષે ટ્રેડ વૉર, કોરોના વાયરસ, દક્ષિણ ચીની સાગર અને હોંગકોંગ જેવા અનેક મુદ્દાઓ પર મતભેદ ચાલુ રહ્યો છે.
અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો, જેમાં ચીનને કહી દીધુ છે કે ભારત સાથે એલએસી પર શાંતિપૂર્વક રીતે તંગદિલી ઘટાડે. જે ભારતના પક્ષની વાત છે.
પણ ભારત હાલ તો તેલ જુઓ તેલની ધાર જુઓની નિતી અખત્યાર કરી છે. ભારતની સરહદ પર આંચ આવશે તો ભારત જવાબ આપશે. એક તરફ ચીનની સેના અને બીજી તરફ પાકિસ્તાનની સેના ભારતની સરહદ પર ટાંપીને બેઠી છે. ભારત ઉતાવળ ન કરે. અમેરિકા અને ચીન વચ્ચે જ્યારે મતભેદ ઉભા થયા હોય ત્યારે અમેરિકા જ ચીનને તેની ભાષામાં જવાબ આપવા સક્ષમ છે. ચીનની નજીક સાઉથ ચાઈના દરિયામાં યુદ્ધાભ્યાસ સમાપ્ત કરીને અમેરિકા નેવીનું સાતમું એયરક્રાફટ કેરિયર યુએસએસ નિમિત્ઝ હવે અંદામાન નિકોબાર દ્વીપસમુહમાં આવી ગયું છે. આ એરક્રાફટ કેરિયરમાં 90 ફાઈટર જેટ અને 3000 નૌસૈનિકો છે. આ ક્ષેત્રમાં ભારત પહેલથી યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. કોઈપણ દેશને પલભરમાં સમાપ્ત કરવાની તાકાત યુએસએસ નિમિત્ઝમાં રહેલા 90 એરક્રાફટમાં છે. આથી હિંદ મહાસાગરમાં ચીન માટે મુશ્કેલી ઉભી થઈ છે.
જો કે હવે ચીન ચારેય બાજુથી ભીંસમાં છે. કોઈપણ ખોટુ પગલું ભરશે તો તેને તેની ભુલ જિંદગી પર નડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદાખ બોર્ડર પર જઈને ચીનને જે મેસેજ આપ્યો છે કે વિસ્તારવાદ નહી, પણ વિકાસવાદનો જમાનો છે. આ સંદેશ ચીન સમજી જાય તો સારુ. વિસ્તારવાદમાં વિનાશ થઈ શકે છે. પણ હવે ચીનની દાદાગીરી અમેરિકા અને ભારત સહન નહી કરી શકે, તે વાત નક્કી છે.