ભારતની સરહદોએ હાલ શાંતિ નથી. પાકિસ્તાન સરહદે આતંકવાદીઓની ઘૂસણખોરી અને સતત ગોળીબાર થઈ રહ્યાં છે. નેપાળ બોર્ડરે પણ નેપાળના સૈનિકોએ ખૂટાં હટાવી દીધાં છે, અને ભારતનો પ્રદેશ નેપાળના નકશામાં દર્શાવ્યો છે. નેપાળ સરહદ પર સૈનિકો સાથે અથડામણ થઈ હતી, જે સમાચારની શાહી હજી સૂકાઈ નથી ત્યાં ભારત-ચીન સરહદે ચીની સૈનિકો વગર કારણે ઉશ્કેરણી કરીને ભારતની સરહદમાં ઘૂસી આવ્યાં હતાં. જે અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયાં છે, અને ચીનના 43 જવાનો મર્યા છે.
લદાખના પૂર્વ વિસ્તારમાં આવેલ ગલવાન ઘાટીમાં સોમવારને 15 જૂને ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં એક કમાન્ડિંગ ઓફિસર સહિત ભારતીય સેનાના 20 જવાન શહીદ થયાં છે. છેલ્લાં પચાસ વર્ષમાં બન્ને સેનાઓ વચ્ચે આ સૌથી મોટી અથડામણ થઈ છે. સેનાએ મંગળવારે સવારે કહ્યું હતું કે એક અધિકારી અને બે સૈનિક શહીદ થયાં છે, પણ સાંજે સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે ભારતીય સેનાએ સ્વીકાર પણ કર્યો હતો કે ચીની સેના સાથેના હિંસક સંઘર્ષમાં 20 જવાનો શહીદ થયાં છે.
સેનાના 20 જવાન શહીદ થયાં, તેમાં 17 જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ગલવાનની ઘાટીમાં શૂન્ય તાપમાન હતું, ગંભીર ઘાયલ હોવાથી આ 17 જવાનોનું મોત થયું હતું. સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. ચીનના 43 સૈનિકોને પણ ભારે નુકસાન થયું હતું, તેમાં કેટલાક મૃત્યુ પામ્યાં હતાં, તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ બન્ને દેશોના સીનીયર કમાન્ડોની વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં તંગદિલી ઘટાડવા માટેની પ્રક્રિયા પર સહમતિ સંઘાઈ હતી. ત્યારબાદ ત્યાં હાજર રહેલા કમાન્ડો વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. આ સહમતિને ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા થઈ, અને તેનો અમલ કરવા કહ્યું, પણ આ બેઠકના સપ્તાહમાં જ ચીનના સૈનિકો પાછાં આવ્યાં અને ભારતીય સરહદમાં કેમ્પ લગાવવાનું શરૂ કર્યું હતું. ભારતની સેનાએ તેનો વિરોધ કર્યો અને કેમ્પ હટાવવાનું શરૂ કર્યું હતું. જેને પગલે બન્ને પક્ષોના સૈનિકો વચ્ચે બે હાથની મારામારી થઈ હતી, તેમાં કેટલાક સૈનિકો ઘાયલ થયાં હતાં. આ અથડામણ પછી ચીનના સૈનિકો પાછા જતાં રહ્યાં હતાં. પણ ફરીથી તેઓ મોટી સંખ્યામાં પાછા આવ્યાં અને 14 જૂનને રવિવારે પથ્થરમારો કર્યો હતો.
15 જૂનને સોમવારે ગલવાન નદીની પાસે બન્ને પક્ષના સૈનિકો વચ્ચે ફરીથી છૂટાં હાથની મારામારી થઈ હતી. સૂત્રોના કહેવા પ્રમાણે આ અથડામણમાં કેટલાક ભારતીય સૈનિકો નદીમાં પડી ગયાં હતાં. ચીનના સૈનિકોએ પાછા હટવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ 16 બિહાર રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સેનાએ શસ્ત્રો વગરની એક ટૂકડી ચીનની સેના પાસે મોકલી હતી. પરંતુ ચીની સેનાએ પાછળ હટવાની ના કહી દીધી હતી અને જાણીજોઈને તંગદિલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચીની સૈનિકોએ ભારતીય પ્રતિનિધિ મંડળ પર સળીયા, પથ્થર અને લાકડી સાથે કાંટાવાળા તારથી હૂમલો કર્યો હતો. ભારતીય જવાનોએ પણ જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્ય સૂત્રોના કહેવા પ્રમાણે આ અથડામણમાં કોઈપણ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીન દ્વારા કરાયેલ પથ્થરમારો અને કાંટાવાળી તારના હૂમલાથી સૈનિકો ઘાયલ થયાં હતાં.
ચીની સૈનિકો દ્વારા કરાયેલ હૂમલામાં કર્નલ સંતોષ બાબુ ઘાયલ થયાં હતાં. ભારતીય સૈનિકોને ચીનની સેના સાથે લઈ ગઈ હતી, પણ તે પછી ઘાયલ સૈનિકોને પાછા આપ્યાં હતાં. લગભગ 40 મીનીટ પછી આ જ યુનિટ પાછું આવ્યું, અને ત્યાર પછી સ્થિતિ કાબૂ બહાર જતી રહી. ભારતીય સૈનિકોએ ચીની પોસ્ટ પર ક્રૂરતા સાથે હૂમલો કર્યો અને લગભગ 55-56 ચીની સૈનિકોને ગંભીરરૂપે ઘાયલ કર્યા હતા. તેમાં ચીનના કેટલાક સૈનિકો માર્યા ગયાં હતાં. પરંતુ ચીન તરફથી હજી સુધી માર્યાં ગયેલાં સૈનિકોની ચોક્કસ સંખ્યા પર સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ અથડામણ મોડી રાત સુધી ચાલી હતી. બન્ને સેનાઓ એકબીજા પર પથ્થરો ફેંકતાં રહ્યાં હતાં. જેને કારણે તમામ સૈનિકો ઘાયલ થયાં હતાં. આ અથડામણ સાડા ત્રણ કલાક ચાલી હતી. અડધી રાતે આ લડાઈ પૂર્ણ રીતે બંધ થઈ ગઈ, સૂત્રોના કહેવા પ્રમાણે કેટલાક સૈનિકોના શબ નદીમાંથી બહાર કઢાયાં હતાં, અને કેટલાક ઘાયલો સવાર સુધી ત્યાં પડ્યાં રહ્યાં. મોડીરાતે ચીની હેલિકોપ્ટર લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર જોવા મળ્યાં હતાં, જાણવા મળ્યાં મુજબ તે હેલિકોપ્ટર ચીની સૈનિકોના મૃતદેહને એરલિફટ કરવા આવ્યાં હતાં.
ભારત અને ચીન વચ્ચેના આ હિંસક અથડામણ પછી ચીનના વિદેશપ્રધાન વાંગ યી એ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. વાંગે જયશંકરને કહ્યું હતું કે ભારત અને ચીને તેના નેતાઓ દ્વારા તૈયાર થયેલ મહત્વપૂર્ણ સહમતિનું પાલન કરવું જોઈએ. વાંગે એ વાત પર ભાર મુક્યો હતો કે મતભેદોને દૂર કરવા માટે બન્ને પક્ષોએ હાલના તંત્ર દ્વારા સંચાર અન સમન્વય મજબૂત કરવો જોઈએ.
બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અમે કોઈને કયારેય ઉશ્કેરતાં નથી. અમે અમારા દેશની સંપ્રભુતા અને અખંડતાની સાથે સમજૂતિ કરતાં નથી. જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે અમારી ક્ષમતાઓને સાબિત કરી છે. ત્યાગ અમારું રાષ્ટ્રીય ચરિત્ર છે. હું દેશને વિશ્વાસ આપું છું કે અમારા દેશના જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. અમારા માટે દેશની સંપ્રભુતા અને અખંડતા સર્વોચ્ચ છે, તેના પર કોઈએ જરાય પણ ભ્રમ કે શંકા રાખવાની જરૂર નથી. ભારત શાંતિ ઈચ્છે છે, પણ ઉશ્કેકરશે તો દરેક સ્થિતિમાં તે યોગ્ય જવાબ આપવા સક્ષમ છે. અને આપણાં દિવગંત શહીદ વીર જવાનોના વિષયમાં દેશને એ વાતનું ગર્વ છે કે તેઓ મારતાં મારતાં મર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેના સંબધો અંગે ચર્ચા કરવા માટે 19 જૂને સાંજે 5 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક મળશે, જેમાં પીએમ વાત કરશે.
ભારત અને ચીન વચ્ચે ખેલાયેલ આ ખૂની જંગના પડઘા દેશ અને વિદેશમાં પડ્યાં છે. વિશ્વ મીડિયાએ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ગણાવી દીધી છે. તાજેતરમા ચીનના વુહાનમાંથી કોરોના વાયરસ લીક થયો અને આખા વિશ્વને ઘમરોળી નાંખ્યું છે. કોરોનાના લાખો પોઝિટિવ કેસો નોંધાયાં છે, અને અસંખ્ય મોત થયાં છે. વિશ્વના તમામ દેશો આ મામલે ચીનને દોષી માને છે. અને ચીનને કોરોના મામલે જવાબ આપવા કહ્યું છે, પણ ચીને કોઈ પ્રત્યુતર આપ્યો નથી. ચીન અને અમેરિકા વચ્ચે કેટલાક વર્ષથી ટ્રેડવૉર ચાલી રહ્યું છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી છે. રશિયા પોતાનો સિક્કો જમાવવા તૈયાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પણ સંબધો બગડી ગયાં છે, અને તંગદિલી સરહદ સુધી પહોંચી ગઈ છે. ચીને નેપાળને ઉશ્કેરીને ભારત વિરુદ્ધ બાંયો ચઢાવી છે. પાકિસ્તાન તો ચીનું દોસ્ત છે જ. ચીન કહે તેમ કરનારું પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ અને દેવાદાર છે. બ્રિટન અને યુરોપિય દેશોને પણ ચીન સામે દાઝ છે. કોરાનાએ બધા દેશોની ઈકોનોમીને અબજો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે, અને માનવ હાનિ તો ખરી જ. એટલા માટે ચીન વિશ્વમાં વિલન બની ગયું છે.
ચીન કોરોના વાયરસ ફેલાવાના મામલે વિશ્વનું ધ્યાન બીજી તરફ વાળવા માટે તે ભારત સામે સીધી રીતે ઘર્ષણમાં ઉતર્યું છે. અમેરિકાથી માંડીને યુએનએ ભારત અને ચીનને શાંતિથી ચર્ચા કરીને ઉકેલ લાવવાની વાત કરી છે. ચીને નેપાળને ઉશ્કેરીને ભારત વિરુદ્ધ કર્યું છે. હોંગકોંગમાં પણ ચીન વિરોધી દેખાવો થયાં છે.
કોરોના પછી ચીનમાં જ શી જિનપિંગની રાજકીય પકડ ઢીલી પડી છે. ચીનના માલનો બોયકોટ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર પેકેજ આપીને તેની તરફેણ કરી છે. બીજી તરફ અમેરિકાએ પણ અમેરિકન ફર્સ્ટની નીતિ અપનાવી છે. બીજુ અતિમહત્વનું કારણ એ પણ છે કે ભારત અમેરિકાની વધુ નજીક ગયું છે. ટ્રમ્પ અને મોદીની દોસ્તી વધુ ગાઢ બની છે, જેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ભારતમાં ચારેયબાજુથી ચીની માલનો બહિષ્કાર થયો છે. આનાથી ચીનની ઈકોનોમીને અબજો રૂપિયાનું નુકસાન થશે. આ સંજોગોમાં ચીન ધૂંઆપૂઆં થાય તે સ્વાભાવિક છે. ચીનનું વર્ચસ્વ જાળવી રાખવા હવાતિયાં મારી રહ્યું છે, માટે ચીન હવે આ સરહદ સળગાવીને વિશ્વનું ધ્યાન ડાયવર્ટ કરી રહ્યું છે.
હાલ ભારતની ત્રણેય બાજુની સરહદે અશાંતિ છે, અને ભારતમાં કોરોનાનો હાહાકાર છે. આ સ્થિતિમાં ભારત ઝઝૂમી રહ્યો છે. તેમ છતાં ભારતીય જવાન પર નાઝ છે કે તેઓ દુશ્મનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. 21મી સદી ભારતની છે, તેને કોઈ રોકી શકશે નહીં. 1962નું ભારત અલગ હતું અને હાલનું ભારત અલગ છે. ભારતના પડોશી રાષ્ટ્રોએ આટલું સમજી લેવાની જરૂર છે.