ધારાસભ્યોને સાચવવામાં કોંગ્રેસ કેમ નિષ્ફળ ગઈ?

by Investing A2Z

દેશભરમાં લૉક ડાઉન પછી 17 રાજ્યોની 55 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ગુજરાતમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી 19 માર્ચે યોજાઈ રહી છે. ચાર બેઠકો માટે ત્રણ ભાજપના ઉમેદવાર અને બે કોંગ્રેસના ઉમેદવાર ઉભા છે. એક તરફ કોરોનાનો કેર અને બીજી તરફ ભાજપ કોંગ્રેસમાં તોડોના ચાલી રહ્યું છે. ચૂંટણી યોજાય તે પહેલા ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, અને બીજા ત્રણ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કુલ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ભાજપે કોરોનાના કેર વચ્ચે જબરજસ્ત ખેલ પાડી દીધો છે, અને કોંગ્રેસ તેમના ધારાસભ્યોને સાચવી શકી નથી, તે પણ હકીકત છે.

રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી, પણ કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લૉક ડાઉનનો અમલ થતાં 26 માર્ચની ચૂંટણી રદ કરવી પડી હતી. અને હવે 19 જૂને ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પર પસંદગી ઉતારી છે.

રાજ્યસભાની ચૂંટણી ભાજપ માટે મરણિયો જંગ બની છે. કારણ કે ભાજપની લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે, પણ રાજ્યસભામાં નથી. આથી રાજ્યસભામાં ભાજપને પુરતુ સંખ્યાબળ હાંસલ કરવા માટે વધુમાં વધુ બેઠકો જીતી શકાય તે માટે જોર લગાવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવારે ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું. કોંગ્રેસના તેમના ધારાસભ્યનો સાચવવા લાગી, પણ કોંગ્રેસ ગમે તે કારણસર કાચી પડી છે.

રાજીનામા આપનાર કોંગ્રેસના 8 ધારાસભ્ય

(1) ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા

(2) સુરેન્દ્રનગર-લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા

(3) ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ

(4) કચ્છ- અબડાસાના ધારાસભ્ય પ્રદ્મુમ્નસિંહ જાડેજા

(5) ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત

(6) કરજણના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ

(7) કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી 

(8) મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ભાજપ 99 બેઠક જીતી હતી અને કોંગ્રેસ 77 બેઠક પર વિજયી બની હતી. આજની સ્થિતિ જોઈએ તો ભાજપ 103 બેઠક ધરાવે છે, અને કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો છે. કોંગ્રેસના 11 ધારાસભ્યો ઓછા થયા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે રાજ્યસભાની ત્રણ બેઠકો કબજે કરવા માટે ભાજપ ધારાસભ્યોની ખરીદી કરી રહી છે.

કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપીને કોંગ્રેસ છોડી છે, તેમની હૈયાવરાળ અલગ છે. કોંગ્રેસમાં જુથવાદ છે. કોંગ્રેસમાં હવે વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે કે કેમ?, કોંગ્રેસમાં કેન્દ્રમાં નેતાગીરી નબળી છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ બનીને કાર્ય નથી કરી રહ્યો, જેવા અનેક કારણો છે. તો સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા નેતાઓને ભાજપમાં જ વિશ્વાસ વધી રહ્યો છે કે કેમ કે તેની પાસે હાલ સત્તા છે. તેઓ તેમના વિસ્તારોમાં ધાર્યા કામ રાજ્ય સરકાર પાસે કરાવી શકે છે. અને પૈસા પણ ભાજપ પાસે છે. હાલ ભાજપને ધારાસભ્યોની જરૂર છે, તો તેઓ રાજીનામુ આપવા સામે રાજ્ય સરકાર પાસે કોઈને કોઈ અભય વચન માંગી લીધુ હશે.

ટૂંકમાં ભાજપે લૉક ડાઉનમાં જ ખેલ પાડી દીધો હશે. કોંગ્રેસના 8 ધારાસભ્યોને રાજીનામા રાજીનામા આવી ગયા છે. હવે ગુજરાત વિધાનસભાનું કુલ સંખ્યાબળ 182માંથી હાલ ઘટીને 172 થયું છે. બે ધારાસભ્યોને તોડવામાં રાજ્યસભાની ચૂંટણીમાં ઉભા રહેલા પાટીદાર ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનું ભેજુ કામ કરી ગયું હશે. કારણ કે ક્રમાનુસાર અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાની જીત તો નક્કી છે, પણ ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર ઉમેદવાર ઉતારવા પાછળનું ગણિત આ પણ હોઈ શકે કે તેઓ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લે. અને તે પ્રમાણે જ થયું છે. નરહરિ અમીન રાજકારણના જૂના ખેલાડી તો ખરાને.

એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરી દેવાઈ છે અને એનસીપીની કમાન ફરીથી જયંત બોસ્કીને સોંપાઈ છે. જેથી એનસીપી રાજ્યસભાની ચૂંટણીમાં બાર્ગેઈન કરી શકશે. એનસીપી પાસે એક વોટ છે, પણ તે ખૂબ મહત્વનો તો છે.

ગુજરાત ભાજપે હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ચારમાંથી ત્રણ બેઠકો પર જીત નક્કી કરી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે શક્તિસિંહ ગોહિલ જીતે છે કે ભરતસિંહ સોલંકી. 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન છે, અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થનાર છે, એટલે 19 જૂને જ પરિણામ જાહેર થઈ જશે.

અહીંયા ચર્ચા એ છે કે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે એમ હતું કે કોંગ્રેસ બેઠી થઈ રહી છે, પણ હવે તો કોંગ્રેસ ફરીથી તૂટી છે. તેની પાછળના કારણોની ચર્ચા કેન્દ્રીય લેવલે થવી જ જોઈએ. વિરોધ પક્ષની રીતે કોંગ્રેસ કયા કાચી પડી રહી છે. મોવડીમંડળ તેમના ધારાસભ્યોને સાચવી રાખવામાં સદંતર નિષ્ફળ ગયું છે. પણ ભાજપ પાસે સત્તા છે, જેથી કોંગ્રેસના ધારાસભ્યો સત્તા આગળ ખેંચાઈ આવે, બીજુ કોંગ્રેસના ધારાસભ્યોની કુંડળી ભાજપ રાખે છે. કયા કોનું નાક દબાવવું, અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો. હા ભાજપ અત્યારથી લોકસભાની તૈયારીઓનો પ્રારંભ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જે વિધાનસભા ભાજપ હારી ગયું હતું તે ધારાસભ્યને ભાજપમાં લઈને લોકસભા જીતવાની ગેઈમ સેટ થઈ રહી છે.

Related Posts

Leave a Comment