ભાગેડુ અને દારુના વેપારી અને બંધ થયેલી કિંગફિશર એરલાઈન્સના સંસ્થાપક વિજય માલ્યાને આગામી એકાદ બે દિવસમાં ભારતને સોંપી દેવાશે. સરકારી સુત્રોના કહેવા પ્રમાણે બુધવારે વિજય માલ્યાના પ્રત્યર્પણને લગતી તમામ ઔપચારિકતાઓ પુરી કરી દેવાઈ છે. જેથી હવે ગમે તે ઘડીને વિજય માલ્યાનું પ્લેન ભારત આવી શકે છે.
ઈડીના સુત્રોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં અમે ગમે તે સમયે માલ્યાને બ્રિટનથી લઈને ભારત આવીશું. પણ પ્રત્યાર્પણ કયારે થશે, તે અંગે તેમણે કોઈ માહિતી ન આપી. બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં માલ્યાની અરજી કાઢી નાંખી છે, જેથી ભારતીય તપાસ એજન્સીએ તેના પ્રત્યાર્પણની તમામ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી દીધી છે. સીબીઆઈ અને ઈડીની ટીમ તેના પ્રત્યાર્પણ પર કામ કરી રહી છે. આ મામલા સાથે સંકળાયેલ સુત્રોના કહેવા પ્રમાણે સીબીઆઈ પ્રત્યાર્પણ પછી સૌથી પહેલા તેમની કસ્ટડીમાં લેશે. કારણ કે તેની વિરુદ્ધ અમે સૌથી પહેલો કેસ નોંધ્યો હતો.
માલ્યાના પ્રત્યાર્પણમાં સૌથી મોટુ વિધ્ન 14 મેના રોજ પુરુ થઈ ગયું હતું. જ્યારે માલ્યાના પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. હવે સરકારે તેને આગામી 28 દિવસોમાં તેની ભારત લાવવો પડે. 14 મે પછી 20 દિવસ તો પસાર થઈ ચુક્યા છે, આથી હવે માત્ર 8 દિવસની અંદર જ તેને પાછો લાવવો પડે.
અત્રે નોંધનીય છે કે પૂર્વ સાંસદ અને દેશની સૌથી મોટી દારુની કંપની યુનાઈટેડ બ્રુઅરીઝના માલિક વિજય માલ્યાએ કિંગફિશર એરલાઈન્સ ચાલુ કરી હતી, જે પાછળથી બંધ થઈ ગઈ હતી. જેના પર ભારતની અનેક બેંકોના 9000 કરોડ રૂપિયાની છેતરપીંડી અને મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયો હતો. પણ તે વ્યક્તિગત કારણ દર્શાવીને મે 2016માં ભારતથી ભાગી ગયો હતો. ત્યારથી તે બ્રિટનમાં રહતો હતો. માલ્યાએ ભારતની 17 બેંકો પાસેથી લોન લીધી હતી, અને તેમાંના પૈસાનો એક હિસ્સો તેણે વિદેશમાં અંદાજે 40 કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
એપ્રિલમાં જ બ્રિટનની હાઈકોર્ટે એક ચૂકાદો આપ્યો હતો, તેમાં વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરાઈ શકાય છે. જે પછી 14 મેએ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટમાં જવાની તક આપવાનો ઈન્કાર કર્યો હતો. બ્રિટનના કાયદા અંગેના જાણકારોના કહેવા પ્રમાણે પ્રત્યાર્પણને ટાળવા માટે માલ્યા પાસે બે રસ્તા છે, જેમાં એક શરણ માંગવાનો છે. માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવા માટે ડીસેમ્બર-2018માં લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે આદેશ આપ્યો હતો.