કોવિડ-19ના પ્રકોપથી વિશ્વના તમામ દેશો હેરાનપરેસાન થઈ ગયા છે. કેવી રીતે અને કયારે કોરોનામાંથી મુક્તિ મળશે. દરરોજ નવા ને નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે, મોતનો આંકડો સતત વધી રહ્યો છે. કોવિડ-19ના સેન્ટર અને હોસ્પિટલની સગવડ ઉભી કરવી પડી રહી છે. દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો પડે છે. વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી પડી રહી છે. કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તે માટે વિશ્વના અનેક દેશોમાં લૉક ડાઉન છે. દરેક દેશની ઈકોનોમી પર વિપરીત અસર પડી રહી છે. ધંધારોજગાર, ઉત્પાદન બધુ જ થંભી ગયું છે. જાણે કે જીવન જ થંભી ગયું હોય તેવો માહોલ થયો છે. લોકો ઘરમાં રહીને કંટાળી ગયા છે, કયારે આનો ઉકેલ આવશે.? તે પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે. આવો આપણે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ.
ચીનના વુહાન સિટીમાંથી સર્જાયેલ કોરોના વાયરસએ આજે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના તમામ દેશોએ ચીન સામે આંગળી કરી છે, ચીન સાથેના તમામ વ્યવહાર બંધ કરી દેવા સૌ તૈયાર થયા છે. ચીન ડિસેમ્બર 2019થી કોરોનાની મહામારીની સામે જંગ લડી રહ્યું છે. જો કે 26 એપ્રિલને રવિવારે તેણે જાહેરાત કરી છે કે હવે દેશમાં કોરોનાના કોઈ દર્દીઓ આવતા નથી. બીજી તરફ બીજા દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંખ્યા ઘટે તો લોકો વિચારી શકે કે હવે કોરોનામાંથી છૂટકારો મળશે. તેમ છતા રીસર્ચર ઊંડો અભ્યાસ કરીને કોરોના કયારે સમાપ્ત થશે, તેની તારીખોનું અનુમાન લગાવી રહ્યા છે. જો કે વૈશ્વિક સ્તર પર એવું કહેવાય છે કે કોવિડ-19નો પ્રકોપ ડીસેમ્બર સુધીમાં ઓછો થશે. ત્યાં સુધી આપણે સાવધાની રાખવી પડશે. લડાઈ લાંબી છે.
સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડીઝાઈને કોરોનાનું સંકટ કયારે સમાપ્ત થશે, તેની તારીખો દર્શાવી છે. જેનાથી કોરોનાની મહામારી સામે ઝઝુમતા દેશોને એક નવી આશા જાગી છે. યુનિવર્સિટીએ વિશ્વના અલગઅલગ દેશોમાં કોરોના સંકટ સમાપ્ત થવાની તારીખ બતાવી છે, અને તેનું કહેવું છે કે આ મહામારીનું જીવનચક્ર કેટલાક દેશોમાં અંતિમ ચરણ તરફ વધી રહ્યું છે. યુનિવર્સિટીએ સસેપ્ટેબલ ઇન્ફેક્ટેડ રિકવર્ડ મોડેલ દ્વારા 130 દેશોના ડેટાનો અભ્યાસ કર્યા છે. આ રીસર્ચ પછી એ નક્કી થયું છે કે વૈશ્વિક સ્તર પર કોવિડ-19નો પ્રકોપ પૂર્ણ રીતે ડિસેમ્બર સુધીમાં સાવ ઓછો થઈ જશે. જે પ્રદેશો કે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે, ત્યાં પહેલા રાહત મળી દશે. પણ જ્યાં વધારે સંક્રમણ થયું છે, તેવા દેશો કે પ્રદેશોમાં આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડીસેમ્બર સુધીમાં સમાપ્તી તરફ જશે.
યુનિવર્સિટીએ ડેટા ડ્રીવન ઈનોવેશન લેબે વિભિન્ન દેશોના હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યાના આંકડાને આધાર માનીને એવું અનુમાન લગાવ્યું છે કે વૈશ્વિક સ્તર પર કોવિડ-19નો પ્રકોપ ડીસેમ્બર સુધીમાં ઓછો થઈ જશે. અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ, યુરોપ જેવા દેશો કોરોના સંક્રમણથી ખૂબ જ ગંભીર રીતે ઝઝૂમી રહ્યા છે.
વૈશ્વિક
આપણે જો દુનિયાની વાત કરીએ તો કોરોનાથી 19 ફેબ્રુઆરીથી મોતનો સીલસીલો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં(28 એપ્રિલ) 2,12,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, અને કોરોના પોઝિટિવની સંખ્યા 30,85,000થી ઉપર છે. જો કે 9,34,000થી વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સારવાર લઈને સાજા થયા છે. આ ડેટાના એનાલીસીસ પરથી એવું તારણ નીકળે છે કે 8 ડીસેમ્બરથી કોરોના વાયરસના ચેપથી છૂટકારો મળશે. કોરોના 29 મેથી 97 ટકા, 16 જૂનથી 99 ટકા અને 8 ડીસેમ્બરથી 100 ટકા સમાપ્ત થશે.
અમેરિકા
મહાશક્તિશાળી દેશ અમેરિકામાં 28 ફેબ્રુઆરી પછી કોરોના વાયરસ ફેલાવો શરૂ થયો હતો. 28 એપ્રિલ સુધીમાં કોરોનાથી 56,800થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને કુલ 10,11,400થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ છે, જેમાંથી 1,23,900થી વધુ દર્દીઓ રીકવર થયા છે. અમેરિકામાં કોરાનાથી 11 મેથી 97 ટકા, 23 મેથી 99 ટકા અને 26 ઓગસ્ટથી 100 મુક્તિ મળશે.
બ્રિટન
બ્રિટનમાં 29 ફેબ્રુઆરીથી કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. 28 એપ્રિલ સુધીમાં બ્રિટનમાં કોરાના ચેપથી 21,000થી વધુના મોત થયા છે, અને 1,57,000થી વધુ કોરોના પોઝિટિવ છે. આ આંકડાને જોતા બ્રિટનમાં કોરાનાથી 15 મે સુધીમાં 97 ટકા, 26 મે સુધીમાં 99 ટકા અને 13 ઓગસ્ટ સુધીમાં 100 ટકા રીકવરી હોવાની ધારણા છે.
ભારત
ભારતમાં કોરોના વાયરસનો ચેપ 10 માર્ચ પછી જોવા મળ્યો હતો. 28 એપ્રિલ સુધીમાં 937 લોકોના મોત થયા છે, અને 29,900થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે, જેમાંથી 7,100થી વધુ દર્દીઓ સાજા થયા છે. રીસર્ચ અનુસાર ભારતમાં 21 મે સુધીમાં 97 ટકા, 31 મે સુધીમાં 99 ટકા અને 25 જુલાઈ સુધીમાં 100 ટકા છુટકારો મળવાની આશા છે.
રશિયા
રશિયામાં 20 માર્ચથી કોરોનાના વાયરસનો ચેપ ફેલાવો શરૂ થયો, 28 એપ્રિલ સુધીમાં 867 લોકોના મોત થયા છે અને 93,500થી વધુ સંક્રમિત છે. જેમાંથી 8,456 લોકો રીકવર થયા છે. રશિયામાં 19 મે સુધીમાં 97 ટકા, 27 મે સુધીમાં 99 ટકા અને 19 જુલાઈ સુધીમાં 100 ટકા સુધીમાં કોરોના સંકટ સમાપ્ત થઈ જવાની ધારણા છે.
ઈરાન
ઈરાનમાં 21 નવેમ્બર સુધીમાં કોરોના સંકટ દૂર થવાની ધારણા છે. ઈરાનમાં 29 ફેબ્રુઆરીએ કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. 28 એપ્રિલ સુધીમાં ઈરાનમાં 5800થી વધુ લોકોના મોત થયા છે અને 92,500થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. તેમજ 72,439 લોકો સાજા થયા છે. ઈરાનમાં 19 મે સુધીમાં 97 ટકા, 8 જૂન સુધીમાં 99 ટકા અને 21 નવેમ્બર સુધીમાં 100 ટકા કોરોના સંકટ ટળવાની આશા છે.
ઈટાલી
ઈટાલીની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. ઈટાલીમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાએ દેખા દીધી હતી. 28 એપ્રિલ સુધીમાં 26,900થી વધુ લોકોના મોત થયા છે અને 1,99,400થી વધુ દર્દીઓ સંક્રમિત છે, જેમાં 66,624 સંક્રમિત દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. ઈટાલીમાં કોરોના સંકટ 7 મે સુધીમાં 97 ટકા, 20 મે સુધીમાં 99 ટકા અને 24 ઓગસ્ટ સુધીમાં 100 ટકા સમાપ્ત થવાની આશા દર્શાવી છે.
જર્મની
જર્મનીમાં ફેબ્રુઆરીમાં કોરોનાનો કહેર શરૂ થયો હતો, 28 એપ્રિલ સુધીમાં 1,58,700થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હતી, જેમાંથી 6,136 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1,17,400 લોકો રીકવર થયા છે. જર્મનીમાં 2 મે સુધીમાં 97 ટકા, 14 મે સુધીમાં 99 ટકા અને 31 જુલાઈ સુધીમાં 100 ટકા કોરોના સંક્રમણમાંથી મુક્તિ મળશે.
ફ્રાન્સ
ફ્રાન્સની વાત કરીએ તો અહીંયા ફેબ્રુઆરીમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. ફ્રાન્સમાં ઓગસ્ટ સુધીમાં કોરોના સંકટ સમાપ્ત થવાની ગણતરી છે. હાલ 28 એપ્રિલ સુધી 23,200થી વધુના મોત થયા છે. 165,800થી વધુ સંક્રમિત દર્દીઓ છે, જેમાંથી 45,500થી વધુ દર્દીઓ રીકવર થયા છે. અહીંયા 5 મે સુધીમાં 97 ટકા, 17 મે સુધીમાં 99 ટકા અને 4 ઓગસ્ટ સુધી 100 ટકા છુટકારો મળી જશે.
સ્પેન
સ્પેનમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાનું સંકટ મહદઅંશે સમાપ્ત થઈ જશે. હાલ 28 એપ્રિલ સુધીમાં 23,822 લોકોના મોત થયા છે. 2,32,000થી વધુ દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી 1,23,903 દર્દીઓ સાજા થયા છે, અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. સ્પેનમાં 3 મે સુધીમાં 97 ટકા, 15 મે સુધીમાં 99 ટકા અને 6 ઓગસ્ટ સુધીમાં 100 ટકા રાહત મળી જવાની ધારણા છે.
( કોરોનાના આંકડા વર્લ્ડોમીટર્સ ડોટ ઈન્ફોમાંથી લીધા છે)