કોરોના ઈફેક્ટઃ 1.70 લાખ કરોડના આર્થિક પેકેજ પછી વ્યાજ દરમાં ઘટાડો

by Investing A2Z

કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. વડાપ્રધાને 21 દિવસના લૉક ડાઉનની જાહેરાત કર્યા પછી દેશની ઈકોનોમી સાવ ઠપ થઈ ગઈ છે. વળી પાછુ માર્ચ એન્ડિંગ છે, આમ પણ જ્યારે માર્ચ આખર હોય ત્યારે નાણાંની ખેંચ જોવાતી હોય છે. સંપૂર્ણ દેશમાં લૉક ડાઉન છે, ત્યારે દેશ આખો થંભી ગયો છે. આવા કપરા સંજોગો વચ્ચે કેન્દ્ર સરકારે તિજોરીને ખુલ્લી મુકી દીધી છે. 1.70 લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દર અને કેશ રીઝર્વ રેશિયોમાં ઘટાડો કરીને લીકવીડિટીમાં વધારો કર્યો છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ગરીબ, મજૂરો, મહિલા, દિવ્યાંગો, વિધવા અને સીનીયર સીટીઝન વર્ગને લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે.

આર્થિક પેકેજની જોગવાઈઓ

  • કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં જોડાયા છે તેવો મેડિકલ સ્ટાફ, જેમાં ડૉકટર, નર્સ, આશા વર્કરને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. 20 લાખ જેટલા મેડિકલ સ્ટાફને આનો લાભ મળશે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુજબ 80 કરોડ ગરીબોને ત્રણ મહિના સુધી 5 કિલો ચોખા અથવા ઘઉ અને એક કિલો દાળ મફત આપવામાં આવશે.
  • સીનીયર સીટીઝન, દિવ્યાંગો અને વિધવાને બે હપતામાં રૂ. 1000 ત્રણ મહિના સુધી અપાશે. આનાથી 3 કરોડ લોકોને લાભ મળશે.
  • 7 કરોડ ખેડૂતોના ખાતામાં એપ્રિલ મહિના પહેલા રૂ. 2000 ડાયરેક્ટ ટ્રાન્સફર થશે.
  • મનરેગા યોજનાનો લાભ 5 કરોડ પરિવારને મળે છે. મનરેગામાં કામ કરનારનું વેતન રૂ. 182થી વધારીને 202 કરાયું છે.
  • જનધન યોજનામાં જે 20 કરોડ મહિલાઓના ખાતા ખૂલ્યા હતા, તેમને ખાતામાં ત્રણ મહિના સુધી રૂપિયા 500 ટ્રાન્સફર કરાશે.
  • 3 કરોડ બીપીએલ પરિવારોને 3 મહિના સુધી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં એલપીજી સિલીન્ડર આપવામાં આવશે.
  • સરકાર એમ્પ્લોયી અને એમ્પોલયર બન્ને માટે ઈપીએફનું યોગદાન આપશે. 100થી ઓછા કર્મચારીઓ હોય તેવા અને જે કર્મચારીઓનો પગાર રૂપિયા 15,000થી ઓછો હોય તેમનો ઈપીએફનો હિસ્સો ત્રણ મહિના સુધી સરકાર આપશે. આ જોગવાઈથી 80 લાખ મજૂરો અને 4 લાખ જેટલા સંગઠિત એકમોને લાભ થશે.
  • ઈપીએફઓના રેગ્યુલેશનમાં સ્પેશિયલ ફેરફાર કરાયો છે, જે મુજબ ઈપીએફમાં જમા રકમના 75 ટકા અથવા તો ત્રણ મહિનાનો પગાર જે ઓછું હોય તે રકમ જરૂર પડે તો તે ઉપાડ કરી શકાશે.

1.70 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાતના એક દિવસ પછી રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 75 બેસીસ (0.75 ટકા) પોઈન્ટનો ઘટાડો કરીને 4.4 ટકા કર્યો છે. રીવર્સ રેપો રેટ 90 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કરાયો છે. એટલે કે વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

રીઝર્વ બેંકની મોનેટરી પોલીસીનો રિવ્યુ 3 એપ્રિલે થવાનો હતો, પણ કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિને પગલે આરબીઆઈએ મોનેટરી પોલીસી કમિટીની બેઠક બોલાવીને રેટ કટની જાહેરાત કરી નાંખી છે. તેમજ હોમ લોન, પર્સનલ લોન અને વાહન પર લીધેલ લોનનો હપ્તો ત્રણ મહિના સુધી મોકૂફ રખાયો છે. એટલે કે કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહી ભરે તો તેની ક્રેડિટ હિસ્ટ્રી પર નેગેટિવ અસર નહી પડે.

આરબીઆઈની જાહેરાત

  • રેપો રેટ 75 ટકા ઘટાડી 4 ટકા કરાયો
  • રીવર્સ રેપો રેટ 90 ટકા ઘટાડી 4 ટકા કરાયો
  • સીઆરઆર- કેશ રીઝર્વ રેશિયો 1 ટકા ઘટાડીને 3 ટકા કરાયો, જેનાથી બેંકમાં 37 લાખ કરોડની લીકવીડિટી છૂટી થશે
  • લીકવીડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી 90 ટકા ઘટી 4 ટકા કરાયો
  • માર્જિન સ્ટેન્ડિંગ ફેસીલિટી 2 ટકાથી વધારી 3 ટકા કરાઈ

ચાલુ નાણાકીય વર્ષના સેકન્ડ હાફમાં જીડીપી ગ્રોથ 4.4 ટકા હાંસલ કરવો મુશ્કેલ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા અને સ્થાનિક ઈકોનોમીને સ્થિરતા આપવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી હતો. ટર્મ લોનના ઈએમઆઈ 3 મહિના માટે મોરાટોરિયમ કરાયા છે, એટલે કે મોકૂફ રખાયા છે. આમ ત્રણ મહિનાના હપ્તા નહી ચૂકવો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર નેગેટિવ અસર નહી થાય.

Related Posts

Leave a Comment