ગુજરાતના નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું છે. ઑવરઑલ બજેટ ખૂબ જ આવકારદાયક છે, કરબોજ વિનાનું, પુરાંતવાળું અને વીજ કરમાં રાહતોવાળું બજેટ રજૂ કરીને વાહવાહી લૂંટી લીધી છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, આરોગ્ય અને શિક્ષણ સહિત ખેડૂત, પશુપાલક, માછીમાર, સીનિયર સિટીઝન, આદિજાતિ, અનુસુચિત જાતિ, શ્રમિકો વગેરે વર્ગોને કંઈકને આપીને ખુશ કર્યા છે. જોગવાઈ તો બહુ કરી પણ તે જોગવાઈઓનો ખરેખર જો અમલ થાય તો ગુજરાત ભારતમાં નંબર વન રાજ્ય બની શકે છે, અને દુનિયામાં ડંકો વગાડી શકે છે. વિઝન બહુ સારું પણ અમલીકરણનું શું? બજેટના દિવસે બજેટ રજૂ કર્યું, પણ તેના પછી તે મુજબ કામ થાય છે કે નહીં તેના મૂલ્યાંકનનું શું? આ બાબત રાજ્ય સરકારે વિચારવી જોઈએ. બજેટના સારાનરસાં પાસાંની છણાવટ કરીશું.
નાણાંપ્રધાન નિતીન પટેલે તેમના કાર્યકાળનું આઠમું બજેટ રજૂ કર્યું છે. પૂર્વ નાણાંપ્રધાન વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે. એટલે કે નિતીનભાઈ પટેલ રેકોર્ડમાં બીજા નંબરે છે. ઉત્તમ અને સર્વોત્તમ ગુજરાત બનાવવાની નેમ સાથે રજૂ થયેલ બજેટ ખરા અર્થમાં ઉત્તમોત્તમ બજેટ છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ગુજરાત પુરાંતવાળુ બજેટ રજૂ કરે છે, તેમાં પણ આંકડાની માયાજાળ છે, જે હોય તે પણ તેનાથી ગુજરાતનો વિકાસ થાય છે, તે મહત્વનું છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી જે રસ્તો બતાવીને ગયાં છે, તે દિશામાં તે પછીની તમામ સરકારો કામ કરી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ વિકાસના કાર્યોને આગળ ધપાવી રહ્યા છે, તે તમામ સારી રીતે જાણે છે કે વિકાસ નહીં કરીએ તો ફેંકાઈ જઈશું, વિકાસ તો આંખે દેખાય તેવો હોય છે.
નિતીન પટેલે વર્ષ 2020-21 માટે રજૂ કરેલ બજેટ અંદાજિત રૂપિયા 605.43 કરોડની પુરાંતવાળુ છે, જેમાં વીજ કરમાં રૂપિયા 330.16 કરોડની રાહત આપી છે, જેથી આ બજેટ એકંદરે રૂપિયા 275.27 કરોડની પુરાંતવાળું છે. રાજ્ય સરકારનું જાહેર દેવું સતત વધી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે.
જાહેર દેવું
(રૂપિયા કરોડમાં)
વર્ષ 2017-18માં | 26,952 કરોડ |
વર્ષ 2018-19માં | 43,146 કરોડ |
વર્ષ 2019-20માં | 44,001 કરોડ |
વર્ષ 2020-21માં | 46,501 કરોડ અંદાજિત |
ગુજરાત રાજ્યના બજેટમાં આવક અને તેની સામે જાહેર દેવું આ બે રકમો ખૂબ મહત્વની હોય છે. તેના પર આપણે નજર કરી. પણ રાજ્ય સરકારે બજેટમાં અનેક સેકટરમાં વિકાસ માટે જોગવાઈઓ કરી છે, તે સારી વાત છે. સરકારે તમામ વર્ગની ચિંતા કરીને દરેક વર્ગને કંઈકને કંઈ આપવાનો પ્રયત્ન કર્યો છે. શૌચાલય પછી હવે પછી રાજ્ય સરકાર બાથરૂમ પર વિશેષ ભાર આપ્યો છે. અને માદરે વતન યોજના રજૂ કરીને ગુજરાતના સર્વાંગી વિકાસમાં એનઆરજીને જોડવાની વાત કરી છે, તે ખરેખર સરાહનીય યોજના છે. જે દાતા તેમના વતનમાં કોઈ સગવડ ઉભી કરવા દાન આપશે, તેટલી રકમ રાજ્ય સરકાર ઉમેરશે. સરકાર દ્વારા તેનો પ્રચાર થશે તો દાતાઓ ચોક્કસથી આગળ આવશે. અને ગુજરાતના વિકાસમાં એનઆરજીનો ફાળો નોંધપાત્ર લેખાશે. વતનનું ઋણ અદા કરવાની મહેચ્છા ધરાવતાં લોકો માટે માદરેવતન યોજના આશીર્વાદરૂપ બની રહેશે.
જીએસટીની આવક સતત વધી છે, તેના આંકડા પર નજર કરીએ તો…
(રૂપિયા કરોડમાં)
વર્ષ | કેન્દ્રીય જીએસટી | રાજ્ય જીએસટી |
2018-19 | 5796.85 | 34,888.71 |
2019-20 | 6048.05 | 48,735.00 |
2020-21 | 8065.18 | 55,560.00 |
નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલે 8 મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ બજેટ તૈયાર કર્યું છે. શહેરી વિસ્તારના સાર્વત્રિક વિકાસ માટે રૂપિયા 13,440 કરોડની જોગવાઈ કરી છે. તેમ જ વીજ કરમાં રાહત આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
વીજ કરમાં રાહત
(1) કોલ્ડસ્ટોરેજ પર હાલમાં 20 ટકાના દરે વીજકર લેવાય છે, આ વીજકર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો છે, જેનાથી 1300 કોલ્ડ સ્ટોરેજને ફાયદો મળશે
(2) તમામ ધર્મના ધાર્મિક સ્થળો, સ્મશાનગૃહ, દરગાહ કે કબ્રસ્તાન જેવા સ્થળો પર વીજવપરાશ પર વીજ કર 25 ટકા લેવાતો હતો, જે વીજ કર ગ્રામ્ય વિસ્તારોમાં ઘટાડીને 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં ઘટાડીને 15 કરાયો છે, જેનાથી ગુજરાતના 10,500 ધાર્મિક સ્થળોને લાભ થશે.
(3) ધાર્મિક સ્થળો પર સેવાભાવનાથી ચાલતી ધર્મશાળાઓનો વીજ કર 25 ટકા છે, જેમાં એચટી જોડાણ ધરાવતી ધર્મશાળાઓને 15 ટકા અને એલટી વીજ જોડાણ ધરાવતી ધર્મશાળાઓ પર 10 ટકા દરે વીજ કર લાગુ પડશે. આમ રાજ્યની 815 ધર્મશાળાઓને આનો ફાયદો થશે.
(4) લાખો દુકાનદારો, કરિયાણાની દુકાન, કાપડ, રેડીમેઈડ કાપડ, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલર, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ્સ, ગેરેજ જેવા અનેક વ્યવસાયો સાથે જોડાયેલા છે, તેમની દુકાનો, સ્ટોર, શોપિંગ સેન્ટરો મૉલમાં આવેલા છે, તેમ જ વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ કલાસ, ફોટો સ્ટુડિયો, બ્યૂટી પાર્લર, સલૂનના માધ્યમથી સર્વિસ સેકટરમાં કાર્યરત છે, તેવા તમામ વ્યવસાયોના સ્થળો પર વીજ પર 25 ટકા લાગુ છે. આ વીજ કર ઘટાડીને 20 ટકા કરાયો છે. જેનાથી 30 લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ અને કારીગરોને વીજ કરના ઘટાડાનો સીધો લાભ મળશે.
આમ રાજ્ય સરકારે વીજ કરમાં જે રાહતો આપી છે, તેનાથી રાજ્ય સરકારની તિજોરીની આવકમાં રૂપિયા 330 કરોડનો ઘટાડો થશે.
બીજી તરફ દિલ્હીની હેપ્પીનેસ સ્કૂલો જોઈને ગુજરાત સરકારે 500 સરકારી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવાશે. તેની સાથે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતી અને ગાય પાળવા પર વધુ ભાર આપ્યો છે. જે ખેડૂત ગાય પાળીને પ્રાકૃતિક ખેતી કરશે તેમને રાજ્ય સરકાર રૂ.900ની સહાય આપશે. તેમ જ દૂધ ઉત્પાદકોને મહિને મહત્તમ 150 કિલો પશુદાણની ખરીદીમાં 50 ટકા સહાય અપાશે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટ્ડીઝ શરૂ કરવા બજેટમાં જોગવાઈ છે. 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ અપાશે. ત્રણ નવી મેડિકલ કોલેજને મંજૂરી અપાશે. 150 એમ્બ્યૂલન્સ ખરીદાશે. ગિફટ સિટી માટે રૂ.200 કરોડની જોગવાઈ કરાઈ છે. બેટ દ્વારકામાં કૃષ્ણલીલાના દર્શન કરી શકાય તે માટે ભવ્ય મ્યૂઝિયમ બનાવાશે. તેમ જ સોમનાથ અને દ્વારકાની એક દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાની સેવા શરૂ કરાશે.
નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલે બજેટમાં આરોગ્ય અંગે જે જોગવાઈઓ કરી છે, તે આવકારદાયક છે, જેમ કે વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં 180 કરોડના ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ માટે 50 કરોડની જોગવાઈ, નવસારી, રાજપીપળા અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ બનાવાશે, જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે, અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે 80 કરોડ, રાજકોટ અને ભાવનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસની 100 બેઠકોનો વધારો કરાશે. આ બધું તો બરાબર, પણ સરકારી હોસ્પિટલોમાં સારવાર કરનારા સ્ટાફને ટ્રેનિંગ અને કોચિંગ આપવાની જરૂર છે, દર્દીની સેવા કરવી આપણો ધર્મ છે, દર્દી સાથે યોગ્ય વ્યવહાર કરવો, દર્દીના સગાંવ્હાલાંને યોગ્ય માર્ગદર્શન આપવું જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે. દર્દી સાથેનો યોગ્ય વ્યવહાર દર્દીને 50 ટકા સારો કરી નાંખે છે. આજ રીતે શિક્ષણમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને જનરલ જ્ઞાન આપે, જેમ કે લાયબ્રેરીમાં દરરોજ અડધો કલાક ફાળવવો જોઈએ, ન્યૂઝ પેપર વાંચવા જોઈએ, દેશ અને દુનિયાનું જનરલ નોલેજ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ અને સપ્તાહમાં એકવાર એક નવી ભાષા શિખવાડવી જોઈએ, વગેરે…
બીજી તરફ ગુજરાતનું બજેટ ગુજરાતના જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે કશું કરી શકી નથી. આ ત્રણેય ઉદ્યોગો હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યાં છે અને આ ઉદ્યોગો સૌથી વધુ રોજગારી ઉભી કરી શકે છે, તેમ જ રાજ્યને સૌથી વધુ હૂંડિયામણ કમાઈ આપે છે, તેવા જ્વેલરી, ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારો નિરાશ થયાં છે.