બજેટમાં ફુલગુલાબી સ્વપ્નાઓ, અમલીકરણ જરૂરી

by Investing A2Z

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બજેટ રજૂ કરી દીધું છે, બજેટમાં ફુલગુલાબી ચિત્ર રજૂ કર્યું છે, અનેક નવા સ્વપ્ન દર્શાવ્યા છે, અર્થતંત્રની મંદી દૂર કરવા માટે, રોજગારી વધારવા માટે, ઉદ્યોગોનું ઉત્પાદન વધે તે માટે કોઈ ચોક્કસ પગલા લેવાયા નથી. બીજી તરફ નાણાંપ્રધાને 2021માં જીડીપી ગ્રોથ 10 ટકા હાંસલ કરવાની વાત કરી છે, પણ તે વાસ્તવિકતાથી ખુબ જ દૂર છે. નિર્મલા સીતારમને બજેટની લાંબી સ્પીચ આપીને બધાને કન્ફ્યુઝ કર્યા છે. કરવેરાને સરળ કરવાને બદલે આવકવેરાના બે સ્લેબ કર્યા છે. જેથી આવકવેરાનું રીટર્ન ભરતી વખતે કરદાતા મુંઝવણમાં મુકાશે, કે તેણે જૂનો સ્લેબનો વિકલ્પ પસંદ કરવો કે પછી નવો સ્લેબ પસંદ કરવો. જીએસટીનું સરળીકરણ કરવાની વાતો થાય છે, પણ બજેટમાં તેના માટે કોઈ નક્કર પગલા લેવાયા નથી. બજેટ વાસ્તવિકતાથી જોજનો દૂર છે.

મહિલા નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બે કલાક 45 મિનીટના લાંબા ભાષણમાં બજેટને ગુંચવાડાભર્યું  અને જટિલ બનાવી દીધું છે. બજેટની સ્પીચને અધુરી મુકવી પડી હતી, વધુ લાંબા ભાષણને કારણે તેમની તબિયત પણ બગડી હતી. બજેટની શરૂઆતથી નાણાંપ્રધાને નવી યોજનાઓ માટે નાણાની ફાળવણી કરી, નવી અનેક યોજનાઓ અને નવા વાયદાઓ પણ કર્યા છે. પણ તેનું પ્રમાણિકપણે કેટલું અમલીકરણ થશે તે પ્રશ્ન યથાવત છે.

બજેટમાં એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને મળતાં પ્રોત્સાહન ચાલુ રાખ્યા છે. નવા પ્રોજેક્ટ માટે ટેક્સ હોલીડે લંબાવવાની જાહેરાત કરાઈ છે, જે આવકારદાયક છે. હાઉસીંગના નવા પ્રોજેક્ટમાં કરમાં મૂળસ્થાનેથી 100 ટકા કપાતની જોગવાઈ છે. તેમજ આ સિવાય પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે હોમ લોનના વ્યાજ પર રૂપિયા 1,50,000 સુધીની વ્યાજ કપાતની મર્યાદા 31 માર્ચ, 2021 સુધી લંબાવી છે, જેનાથી હાઉસીંગ સેકટરમાં ડિમાન્ડ જોવાશે. જો કે સીધી રીતે જોઈએ તો ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને કોઈ વધુ લાભ અપાયો નથી. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને પ્રોત્સાહન આપવાની જરૂર હતી, જેનાથી રોજગારીમાં વધારો થઈ શકે, પણ તે આશા ઠગારી નિવડી છે.

કરવેરાના માળખાને સરળ કરવા માટે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદાનો જૂનો સ્લબ ચાલુ રાખ્યો છે, અને નવા સ્લેબ મુજબ તેમણે કરદાતાઓને અપાતી તમામ મુક્તિઓ પાછી ખેંચી લીધી છે. નવા સ્લેબ પ્રમાણે સીધેસીધા રૂપિયા 5 લાખની વાર્ષિક આવક હોય તો તેણે શૂન્ય ટકા ટેક્સ ભરવાનો રહે છે. પાંચ લાખથી 7.50 લાખ રૂપિયાની આવક હોય તો 10 ટકા, 7.50 લાખથી 10 લાખની આવક પર 15 ટકા, 10થી 12.5 લાખની આવક પર 20 ટકા, 12.50થી 15 લાખની આવક પર 25 ટકા અને 15 લાખથી વધુની આવકવાળાઓએ 30 ટકા ચુકવવાનો આવશે. જે લોકો બચત નથી કરી શકતાં તેમને માટે નવો સ્લેબ ફાયદાકારણ રહેશે, કારણ કે નવા સ્લેબમાં ટેક્સ ભરવાની ટકાવારીમાં 5 ટકાનો ઘટાડો મળે છે. જો તમે જૂના સ્લેબનો વિકલ્પ પંસદ કરો તો તમને 80સી હેઠળી બચતો, મેડિકલેઈમ, કન્વેન્યસ એલાઉન્સ, એજ્યુકેશન ફી, હોમ લાનની મુદ્દલ સહિત વ્યાજ, એનપીએસમાં કરેલ રોકાણ બાદ મળે છે. જે રાહતો નવા સ્લેબમાં પાછી ખેંચી લેવાઈ રહી છે. જો કે નવા સ્લેબમાં સરકારને કરવેરાની આવક વધારે થશે તેમ હાલ પ્રાથમિક ધોરણે મનાઈ રહ્યું છે. પણ કરવેરાને સરળ કરવાની જગ્યાએ નોકરી કરતાં લોકોને વિકલ્પમાં નાંખી દીધા છે. તેના માટે તેઓ સીએની સલાહ લેશે. કે શેમાં ફાયદો થશે. નવા સ્લેબમાં પણ છ ટેક્સની ટકાવારી આપી છે, જે ગણતરી કરવી અઘરી બની રહેશે. નવો ટેક્સ સ્લેબ અપનાવશો તો 70 જેટલી મુક્તિઓ છોડી દેવી પડશે. આવકવેરાના માળકાને થોડુ જટિલ કરી નાંખ્યું છે. બજેટમાં આવી આશા હતી, કે વ્યક્તિગત મુક્તિ મર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કે 3.50 લાખ કરાશે, પણ તેના સ્થાને નવો સ્લેબ આપીને લોકોને કન્ફ્યુઝ કર્યા છે. જૂના સ્લેબમાં તો મુક્તિ મર્યાદા તેની તે જ રહી છે. એટલે કોઈએ કાંઈ ખુશ થવા જેવું નથી. જૂના સ્લેબમાં તમારે ફરજિયાત પણે બચતનો અભિગમ કેળવાશે, તે સીસ્ટમ સારી હતી, પણ કોણ જાણે હવે સરકાર એવું ઈચ્છી રહી છે કે લોકો બતન ન કરે. પશ્રિમી સંસ્કૃતિમાં બચત કરવાનો કન્સેપ્ટ જ નથી, તે રીતે ભારતમાં પણ શરૂ કરો. મન્ડે ટુ ફ્રાઈડે કમાવવાનું અને સેટરડે સન્ડે જલસા કરવાના. પણ ભારતવાસીઓને આ કન્સેપ્ટ ગળે નહી ઉતરે. પશ્રિમી સંસ્કૃતિમાં રીટાયર થયા પછી સરકાર પેન્શન આપે છે, પેન્શનરને આરામથી ગુજારો થઈ શકે અને મેડીકલ ખર્ચને પહોંચી વળે તેટલુ સરસ પેન્શન આપે છે, જ્યારે આપણી ભારત સરકાર તે પેન્શન જેવી સિક્યુરિટી આપતી નથી. માટે ભારતીયો માટે બચત તો ખુબ જરૂરી છે.

બજેટમાં કૃષિ સેકટર પર વધુ ધ્યાને કેન્દ્રીત કરાયું છે. ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનું વચન તો આપી દીધું છે, તેના માટે 16 સુત્રીય કાર્ય યોજનાઓની જાહેરાત કરી છે. કૃષિ બજેટ વધારીને 2.83 લાખ કરોડ રૂપિયાનું કર્યું છે. પાણીની અછત નિવારવા માટે અને ખેડૂતની ઉપજના સારા ભાવ મળી રહે તે માટે આયોજન પણ એટલું જ જરૂરી છે. કૃષિ ઉત્પાદન વધારવાની સાથે ખેડૂતોનો ખર્ચ ઘટે, તેમજ ઉપજના યોગ્ય ભાવ મળે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકારે ભાર આપ્યો છે, પણ તેનો અમલ કેવી રીતે અને કેટલા સમયમાં થશે, તે પણ ખુબ અગત્યનું છે.

આ ઉપરાંત નાણાંપ્રધાન નિર્મલા સીતારમને અનેક સેકટર અને ક્ષેત્રને આવરી લઈને કાંઈને કાંઊ ફાળવણી કરી છે, દરેક સેકટરને ગુલાબી બનાવવાનું સ્વપ્ન જોયું છે, અને જાહેરાત સાથે જોગવાઈઓ કરી છે. હા નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરાશે, તે જાહેરાત ખુબ જ સરસ છે, જેનાથી નબળા વર્ગના હોશિયાર અને ટેલેન્ટ લોકોને ફાયદો થશે. ડબલ ડિવિડંડ ટેક્સ દૂર કરવાની શેરબજારની અનેક વર્ષોની માંગ હતી, તે માંગ નિર્મલા સીતારમને પુરી કરી છે, ડબલ ડિવિડંડ ટેક્સ દૂર કરીને શેરબજારમાં રોકાણને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. જો કે સિક્યુરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અને સ્ટેમ્પડ્યૂટી ઘટાડવાની વાત તેમણે સ્વીકારી નથી, જેને લીધે શેરબ્રોકરો નારાજ થયા છે. રેલવેને ખાનગીકરણની દિશામાં બીજુ પગલું ભર્યું છે. 150 ટ્રેનોને પીપીપી મોડલ પર ચલાવવામાં આવશે. સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. પર્યટન સ્થળ વિકસાવાશે. જેમાં ગુજરાતના લોથલ અને ધોળવીરાને સ્થાન મળ્યું છે. ગુજરાત માટે પોઝિટિવ છે.

બજેટમાં રાજકોષિય ખાદ્યને કાબુમાં લેવા માટે કે તેને ઘટાડવા માટે કોઈ પગલા નથી, પણ હા એલઆઈસી કે આઈડીબીઆઈનો હિસ્સો વેચીને સરકાર નવી આવક ઉભી કરશે.

આમ ઓવરઑલ બજેટ ખુબ લાંબુ તો રહ્યું, પણ ગુંચવાડાભર્યું છે. સરળીકરણ કરવાને બદલે વિકલ્પો અને સ્લેબમાં વધારો કર્યો છે. મોદી સરકારે જે જોગવાઈઓ કરી છે, તે પ્રમાણે જો પ્રમાણિકતા અમલ થાય તો બજેટ વધુ અસરકારક બની રહેશે. બજેટ રજૂ થયા પછીના ચાર પાંચ દિવસમાં બધુ ભુલાઈ જતું હોય છે. તેનો અમલ પણ એટલો ઝડપી અને અસરકારક હોવો જોઈએ. તો બજેટમાં દર્શાવેલ પ્લાનિંગનું ફળ મળશે.  આપણે આશા રાખીએ બજેટની જોગવાઈઓનો અમલ થાય તો પરિણામ મળે અને રોજગારીનું સર્જન થાય તેમજ અર્થતંત્ર મંદીમાંથી બહાર આવે.

Related Posts

Leave a Comment