બજેટમાં કરવેરામાં છૂટછાટ આવશે ખરી?

by Investing A2Z

ફાઈલ ફોટો

ના

ણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ બજેટ અતિમહત્વનું છે, કારણ કે ભારતનું અર્થતંત્ર મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકાની નીચે ઉતરી ગયો છે. મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન સતત ઘટીને આવ્યું. કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. ટાર્ગેટ મુજબ પીએસયુનું ડિસઈન્વેસ્ટમેન્ટ થઈ શક્યું નથી. ઉદ્યોગ-ધંધામાં મંદી ચાલુ રહી છે. બેરોજગારી વધી રહી છે, આ સંજોગોમાં ઈકોનોમીમાં નવા પ્રાણ પુરવા માટે નિર્મલા સીતારમન માટે આગામી બજેટ અતિમહત્વની ભૂમિકા ભજવશે. બજેટ ભારતની દિશા નક્કી કરશે. માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન માટે સીતાની અગ્નિ પરીક્ષા જેવી કઠિન પરીક્ષા છે.

ઈકોનોમીની મંદીને કારણે પહેલી ફેબ્રુઆરીને રજૂ થનાર બજેટમાં તમામ વર્ગની હજારો આશાઓ અને લાખો અપેક્ષાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બજેટમાં વિશેષ ધ્યાન આપીને સલાહ સુચનો કર્યા છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ, બેંકરો, અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતોની ટીમના અભિપ્રાય લેવાયા છે. જો કે તે દર વર્ષે એક રૂટિન પ્રક્રિયા છે. પણ આ વખતે લેવાયેલા અભિપ્રાય કંઈક અલગ છે, અને તેના પર વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમને 100 ટકા વિચારવું પડશે. અને તેનો સમાવેશ બજેટમાં કરવો પડશે.

આ બજેટમાં ઝાઝી છૂટછાટ નહી હોય, પણ કરવેરાની સીસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરાય તેવી શકયતા છે. જીએસટીના ચાર સ્લેબની જગ્યાએ ત્રણ સ્લેબ કરાય તેવી ધારણા છે. તેમજ આવકવેરાની મુક્તિ મર્યાદામાં પણ વધારો કરાય અને 80 સી હેઠળ મળતી કરકપાતની રકમમાં વધારો કરાય તેવી અપેક્ષા છે. તેમજ કશ્મીર અને લદાખ માટે અલગથી પેકેજની જાહેરાત કરાય અને તેના માટે અમીર જનતા પર તેનો બોજો નંખાશે.

બજેટમાં શુ નવું આવશે?

  • આવકવેરાની મુક્તિ મર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કરાય તેવો આશાવાદ છે.
  • સુત્રોના કહેવા પ્રમાણે એક દરખાસ્ત એવી પણ છે કે વ્યક્તિગત આવકવેરાનો ફલેટ રેટ 5 ટકાથી 30 ટકાની વચ્ચે રાખી શકશે. શકય છે કે આવકવેરાનો આ દર 15-18 ટકાની વચ્ચે પણ હોય. અથવા તો 50 લાખથી વધુની વાર્ષિક આવકવાળા પર આવકવેરાનો દર ફલેટ રાખે.
  • બીજી વાત એવી પણ છે કે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5 ટકા ટેક્સની દરખાસ્ત છે. અત્યારે હાલ 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગે છે.
  • હાલમાં આવકવેરાની સેક્શન 80સી હેઠળ 1.50 લાખ રૂપિયાની બચતની છૂટ મળે છે. તે ઉપરાંત 80સીસીડી(1બી) હેઠળ એનપીએસમાં રોકાણ કરનારને 50,000 રૂપિયાની વધારાની છૂટ મળે છે. તેની સાથે હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ આપવા પર 25,000 રૂપિયાની છૂટનો લાભ મળે છે. 80સી હેઠળ મળતી છૂટની રકમ 1.50 લાખથી વધારીને 2 લાખ કરાય તેવી શક્યતા છે.
  • રિયલ એસ્ટેટ સેકટરને બુસ્ટર ડોઝ આપવા માટે હોમ લોનના વ્યાજ પર આવકવેરાની છૂટની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ કરવા પર વિચારણા થઈ શકે છે.
  • હોમ લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ પર પણ છૂટ આપવા વિચારણા થઈ રહી છે.
  • રોજગારીના મોરચે સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરશે. નવી નોકરી ઉભી કરનાર કંપનીઓ માટે કેટલાક ઈન્સેન્ટિવની જાહેરાત કરી શકે છે. તેના માટે સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરી શકે છે.
  • એસએમઈ સેકટરમાં નવી કંપનીઓની ત્રણ વર્ષ સુધી કોઈ તપાસ નહી થાય, તેવી જોગવાઈ થઈ શકે છે. તેમજ મેન્યુફેકચરિંગમાં મહિલા કર્મચારીઓ માટે નવી પૉલીસી આવી શકે છે
  • પીએફમાં એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યૂશનની મર્યાદા વધી શકે છે.
  • સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં વધુ 2,000 કરોડની જોગવાઈ કરી શકે છે.
  • સ્થાનિક કેમિકલ અને ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝને રાહત મળી શકે છે. કાચો માલ આયાત કરવા માટે આયાત ડયૂટીને ઘટાડી શકે છે.
  • મેક ઈન ઈન્ડિયાને પોત્સાહન આપવા માટે પણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર થઈ શકે છે, સુત્રોના કહેવા પ્રમાણે 300 ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધી શકે છે.
  • સ્થાનિક ફાર્મા સેકટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે હાલની ટેક્સ છૂટની મર્યાદા ફરીથી વધારીને 200 ટકા કરી શકે છે. સ્થાનિક યુનિટોને આ વર્ષે 150 ટકાની છૂટ મળી રહી છે.
  • ફાર્મા સેકટરને પ્રોત્સાહન આપવા માટે આ બજેટમાં જથ્થાબંધ ઉત્પાદનો પરના કાચા માલ પર ઈન્સેન્ટિવ અપાશે.
  • ડુંગળી, ટામેટા અને બટાટા સહિત મોંઘવારી પર કાબુ મેળવવા માટે રોડમેપ જાહેર કરાશે.
  • જીડીપી ગ્રોથ વધે તે માટે નાણાંપ્રધાન બજેટમાં નવા પગલા લેશે.
  • સ્વચ્છ ભારત પર ફોક્સ વધારાશે, અને સ્વચ્છ ભારત માટે 10થી 15 ટકાની જોગવાઈમાં વધારો કરી શકે છે
  • સરકાર બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આપશે. 2019માં નાણાપ્રધાન અરૂણ જેટલીએ શેરો પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેની ખુબ ટીકા થઈ હતી, અને તેને પગલે શેરબજારમાં વિદેશી રોકાણ પર પણ અસર પડી છે. માટે વિદેશી રોકાણ વધારવા માટે સરકાર એલટીસીજી હટાવી શકે છે. હાલમાં 1 વર્ષના હોલ્ડિંગને લોન્ગ ટર્મ કહેવાય છે, અને તેના પર 10 ટકા ટેક્સ લાગે છે.
  • બેંકોને વધુ મજબૂત કરવા માટે આરબીઆઈની સાથે મળીને સરકાર નક્કર પગલા ભરશે, અથવા રોડમેપ નક્કી કરશે અને બેંકોની જવાબદારી ફિક્સ કરશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 લાખ કરોડની ઈકોનોમી બનાવવાનું સ્વપ્ન જાહેર કર્યું છે, અને તે દિશામાં કામકાજ પણ શરૂ કરી દીધું છે, પણ હાલ ઈકોનોમીની મંદી નડી છે, માટે કેન્દ્ર સરકારના પગ પાછા પડ્યા છે. જો કે આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ 5 લાખ કરોડની ઈકોનોમી બનાવવા માટે નાણાપ્રધાન કેટલી દરખાસ્તો રજૂ કરશે. જો કે લોકો વધુને વધુ ટેક્સ ભરતા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, કરવેરાના માળખાને વધુ સરળ કરવા અને નાણાની લીકવીડિટી વધે તે માટે પગલા ભરશે.

જો કે આગામી બજેટ પર સૌ કોઈની નજર છે, હવે સરકાર અર્થતંત્રની મંદી પણ દૂર કરે અને કરવેરામાં છૂટછાટ પણ આપે. આ બે અતિમહત્વના ટાર્ગેટ નિર્મલા સીતારમન પાસે છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમન માટે પહેલી ફેબ્રુઆરીએ અગ્નિપરીક્ષાનો છે.

Related Posts

Leave a Comment