મોદી સરકારની મોટી પરીક્ષા છે મોંઘવારી પર કાબૂ!

by Investing A2Z

મોંઘવારીએ માઝા મૂકી છે. મંદીની ચપેટે ચડેલું અર્થતંત્ર ભારતીયોને જ નહીં ભારત સરકારને પણ ચક્કરભમ્મર કરાવી રહી છે, મોંઘવારી સતત વધી રહી છે જે મોદી સરકાર માટે માથાનો મોટો દુઃખાવો સાબિત થયો છે. અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર સતત ચિંતન કરી રહી છે. બેઠકોનો દોર ચાલુ છે, પણ ત્યાં વળી પાછો મોંઘવારીનો દર અધધ… કહી શકાય તેટલો વધીને આવ્યો છે. ડિસેમ્બરમાં રિટેઈલ મોંઘવારીનો દર 7.35 ટકા આવ્યો છે, જે છ વર્ષની ટોચે પહોંચ્યો છે. તેમ જ જથ્થાબંધ મોંઘવારીનો દર પણ વધીને 2.59 ટકા આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રીપોર્ટમાં જણાવ્યું છે કે જાન્યુઆરીમાં મોંઘવારીનો દર વધુ વધી 8 ટકાને પાર થઈ જશે. આ વળી વધુ એક ચિંતાનો વિષય બન્યો છે.

2019ના નવેમ્બરમાં રિટેઈલ મોંઘવારી દર 5.54 ટકા હતો, જે ડિસેમ્બરમાં 1.81 ટકા વધીને 7.35 ટકા આવ્યો છે. ડિસેમ્બરમાં મોંઘવારી વધી તેની પાછળ શાકભાજીના ભાવમાં વધારો જવાબદાર રહ્યો છે. મોંઘવારી વધી તેમાં ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા તે જ છે. ગત મહિનામાં ડુંગળીનો ભાવ એક કિલોએ રૂપિયા 200 સુધી પહોંચી ગયો હતો., કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે આયાત કરી છે, તેમ છતાં ડિસેમ્બર મહિનાના અંતે ડુંગળીનો ભાવ રૂપિયા 150 રહ્યો હતો.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિ રજૂ કરી ત્યારે મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે, તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે ફુગાવો કાબૂમાં રહેવો જોઈએ, અને આરબીઆઈએ 4 ટકાની મર્યાદામાં ફુગાવો રહેવો જોઈએ તેવી લિમિટ નક્કી કરી હતી, પણ ડિસેમ્બરનો મોંઘવારી દર જાહેર થયો ત્યારે તે 7.35 ટકા જાહેર થયો હતો. આરબીઆઈની મર્યાદા કરતાં તે અનેકગણો વધારે હતો. જેથી સ્વભાવિક છે કે કેન્દ્ર સરકાર ચિંતામાં પડી ગઈ છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે 100 ટકા પગલાં ભરવા જોઈએ. મોંઘવારી વધી, સામે જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે… આ બે ફેકટર વધુ મંદી માટે વધુ ઘાતક છે.

જો આમ ને આમ જાન્યુઆરીમાં પણ મોંઘવારી દર વધીને આવશે તો તે ઈકોનોમી અને આમ પ્રજા માટે વધુ બોજારૂપ રહેશે. પહેલાંના વર્ષોમાં મોંઘવારી વધતી હતી, ત્યારે મોંઘવારીના આંદોલન થતાં હતાં. પણ હવે બધાંએ મોંઘવારીને સ્વીકારી લીધી છે. સામે લોકોની આવક વધી છે, પણ મધ્યમવર્ગ વધુ પીસાઈ રહ્યો છે. ગરીબવર્ગ ખાદ્ય પદાર્થોના ભાવ વધતાં મેનુ ચેન્જ કરીને પણ રસોડાંના બજેટને જાળવી રાખે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પછી બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપની મોદી સરકારે તાત્કાલિકપણે મોંઘવારીને કાબૂમાં લેવા માટે આકરામાં આકરા પગલાં લેવા પડશે, નહીં તો ભાજપની મતબેંક પર અસર પડશે. આમ પણ ભાજપ પાસેથી અતિમહત્વના રાજ્યો જતાં રહ્યાં છે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર વિધાસસભાની ચૂંટણીમાં ભાજપે હાર ભાળી છે, હવે ભાજપે સ્પષ્ટપણે પ્રજાલક્ષી નીતિઓ બનાવવી પડશે, નહીં તો પ્રજા મ્હોં ફેરવી લેશે ને તો કેન્દ્રમાં ત્રીજી વખત ભાજપ સરકાર માટે ખૂબ જ કપરાં ચઢાણ સાબિત થશે. ભાજપ નાગરિકતા સંશોધન એક્ટ લાવી, કશ્મીરમાંથી 370 કલમ હટાવી જેવા બોલ્ડ પગલાં ભર્યા છે, પણ સામે ઈકોનોમીની મંદી અને મોંઘવારી વધી તે બે બાબત વધુ લોકોને અસર કરી ગઈ છે. સ્થાનિક લેવલના પ્રશ્નોને વાચા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. લોકજીભે એમ જ ચર્ચાય છે કે મોદી સરકારે શું કર્યું. લ્યો બોલો, ડુંગળી 200 રૂપિયે કિલો, બેરોજગારી વધી, ધંધારોજગાર પડી ભાગ્યાં છે, ઉપરથી જીએસટીનો બોજો, શું કર્યું મોદીએ… ચોરેને ચૌટે અને પાનના ગલ્લે આવી ડિબેટ ચાલે છે.

મોદી સરકારે ઝડપથી જાગી જવાની જરૂર છે. મોંઘવારી દૂર કરવા માટે એક્શન પ્લાન પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. ભાવ વધારો કરતાં તત્વો સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતાં, ત્યારે ખાંડના ભાવ ઘટ્યા હતાં, આજની તારીખે પણ જાહેર ચર્ચા હોય ત્યારે તે વાતનો ઉલ્લેખ થાય છે, તો મોદી સરકારે તે વખતે મોરારજીભાઈ દેસાઈએ શું પગલાં ભર્યા હતાં, તે ઉદાહરણ લઈને પણ ભાવ ઘટાડો થાય તે માટે પહેલ કરવાની જરૂર છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને વિપક્ષને ચૂંટણી પ્રચારમાં મોંઘવારી એ નવો મુદ્દો બની રહેશે.

મતદાતાઓને મોંઘવારીનો મુદ્દો વધુ સ્પર્શે છે, તે વાત દરેક રાજકારણી ભૂલી જાય છે, હારી ગયાં પછી ચિંતન કરે છે, પણ પછી બહુ મોડું થઈ ગયું હોય છે. માટે હજી સમય છે મોદી સરકાર માટે 2020નો નવો સૂર્યોદય થયો છે, આર્થિક નિષ્ણાતોની પેનલ રચીને મોંઘવારીને કાબૂમાં લેવા જે કરવું પડે તે કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્ડ સ્ટેપ લેવા માટે ખૂબ જાણીતાં છે, તો મોંઘવારી ઘટાડવા માટે કેમ કશું કરતાં નથી.

પહેલી ફેબ્રુઆરીને બજેટ રજૂ થનાર છે, જેમા નાણાંપ્રધાન નિર્મલા સીતારમન ઈકોનોમીને મંદીમાંથી બહાર કાઢવા અને મોંઘવારીને અંકુશમાં લેવા માટે શું પગલાં ભરે છે, તેના પર સૌ કોઈની નજર છે.

Related Posts

Leave a Comment