અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાઃ ભારત પર શું અસર થશે?

by Investing A2Z

મેરિકા દ્વારા ઈરાકની રાજધાની બગદાદ એરપોર્ટ પર કરાયેલ હવાઈ હૂમલામાં ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. આ સાથે આ હૂમલામાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મહેદી અલ મુહાંદિસનું પણ મોત થયું છે, જે પછી ઈરાને અમેરિકાને ધમકી આપી છે, કે બદલો લઈશું. જો કે અમેરિકાએ શનિવારે ફરીથી ઈરાક પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં 6 લોકોનો મોત થયાના સમાચાર છે. અમેરિકા-ઈરાક અને ઈરાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતીને જોતા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાન ચુપ નહી બેસી રહે, તે તેના મેજર જનરલના મોતનો બદલો લેશે, અને તેણે જેહાદ કરવા હાકલ કરશે. જગત જમાદારની ભૂમિકા નિભાવતું અમેરિકા, ઈરાક અને ઈરાન વચ્ચેની તંગદિલીને કારણે એશિયાઈ દેશો અને ખાસ કરીને ભારત પર વિપરીત અસર પડશે, અને આગામી દિવસોમાં પરિસ્થિતી વધુ વિકટ બનશે.

સુલેમાની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી ગણાતા હતા. તેમણે કેટલીય વખત અમેરિકાને ચેતવણી આપી હતી. બગદાદમાં અમેરિકી દુતાવાસ પર હૂમલા પછી ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી, કે ઈરાને આ નુકસાન ભોગવવું જ પડશે. ટ્રમ્પની આ ધમકી પછી અમેરિકાએ બગદાદના એરપોર્ટ પર ડ્રોનથી એરસ્ટ્રાઈક કરી હતી.

ઈરાનના એટમીક અભિયાનને રોકવા માટે 2006માં ત્રીજી વખત અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવ્યા પછી અર્થતંત્રને ભારે નુકશાન થયું હતું. ઈરાનના સશસ્ત્ર દળોની શાખા ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર અમેરિકાના પ્રતિબંધની અસરની ભરપાઈ કરવા માટે સતત પ્રયત્નશીલ હતા,જેની અધ્યક્ષતા જનરલ સુલેમાની કરતાં હતા. લંડન સ્થિત ઈન્ટરનેશનલ ઈન્સ્ટીયુટ ફોર સ્ટ્રેટેજિક અફેયર્સ તરફથી નવેમ્બર 2019માં પ્રકાશિત થયેલ ડોઝિયરમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના 1979ની ક્રાંતિ પછી પહેલી વાર છદ્મ યુદ્ધની રણનીતિનો ઉપયોગ થયો હતો. અને તેમાં લેબનાનમાં શિયા આતંકી સમુહ હિજબુલ્લાહ બન્યું હતું.

ડોઝિયરનો દાવો હતો કે 2003માં ઈરાકમાં અમેરિકા તરફથી સદ્દામ હુસૈનના શાસનને ઉખાડીને ફેંકી દીધા પછી કુર્દ દળોએ તેહરાન સાથે જોડાયેલાઓને પ્રશિક્ષણ, ધન અને હથિયારો આપ્યા હતા. સુલેમાનીએ પોપ્યુલર મોબલાઈઝેશન યુનિટસ્ નામનું એક અર્ધસૈનિક દળને પ્રશિક્ષિત કર્યું હતું. જેણે આઈએસને હરાવવામાં મદદ કરી હતી. 2016માં મોટાભાગના પ્રતિબંધો હટાવ્યા પછી જ્યારે ઈરાને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે એટમીક કાર્યક્રમને લઈને સમજૂતી કરી હતી, ત્યારે સુલેમાનીનો પ્રભાવ ખુબ ઝડપથી વધ્યો હતો. અને સુલેમાનીને ઈરાનમાં બીજા નંબરના તાકાતવર ગણાતા હતા, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ઈરાન સાથેની સમજૂતિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે પછી બન્ને દેશોની વચ્ચે તંગદિલી વધી ગઈ હતી.

ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી દુનિયામાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાને કહી દીધું છે કે તે તેમના કમાન્ડરની મોતનો બદલો અમેરિકાથી લેશે. અમેરિકાને આ ભયને પગલે ખાડી દેશોમાં 3000 વધુ સૈનિકો મોકલી રહ્યું છે. વીતેલા સપ્તાહે 700 સૈનિકોને મોકલ્યા પહેલા અમેરિકાએ મે મહિનાથી વીતેલા સપ્તાહ સુધીમાં 14,000 સૈનિકનો કાફલો મીડલઈસ્ટમાં મોકલી ચુક્યા છે. એટલે કે અમેરિકાએ પૂર્વ તૈયારીઓ કરી હતી, અને પછી જ એરસ્ટ્રાઈક કરી હતી. પણ હવે ઈરાન અમેરિકા સામે બાયો ચઢાવશે અને હૂમલાનો વળતો જવાબ ચોક્કસથી આપશે.

ગુપ્તચર સમાચાર એજન્સીઓનો દાવો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે સુલેમાનીનો મારી નાંખવા આદેશ એટલા માટે આપ્યો હતો કે સુલેમાની અમેરિકી ડિપ્લોમેટ્સ પર હૂમલો કરવાની ફિરાકમાં હતો. પણ ટ્રમ્પે સત્તાવાર નિવેદન આપીને કહ્યું હતું કે સુલેમાની અમેરિકી રાજનાયિકો અને સૈન્ય અધિકારીઓ પર હૂમલો કરવા જઈ રહ્યો હતો, પણ અમે તેને વચ્ચે જ પકડી લીધો અને તેનો ખાત્મો બોલાવી દીધો છે.

ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવથી પુરી દુનિયા ચિંતામાં પડી ગઈ છે. ખાડીમાં શાંતિ અને સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. ભારતે ઈરાન વિરુદ્ધ કરાયેલી અમેરિકાની કાર્યવાહીમાં બન્ને દેશોને સંયમ વર્તવાની સલાહ આપી છે.

ભારતના અમેરિકા અને ઈરાન સાથે નજીકના સબંધ રહ્યા છે. ભારત પાકિસ્તાનની અવગણના કરીને મધ્ય એશિયા અને અફધાનિસ્તાન સુધી પહોંચવાનો વૈકલ્પિક રસ્તો કાઢવાની તૈયારીઓ કરી રહ્યું છે, જે ઈરાનના ચાબહાર પોર્ટ થઈને પસાર થાય છે. ખાડી દેશોમાં અંદાજે 80 લાખ ભારતીયો વસવાટ કરે છે, તેને કારણે ભારત માટે ઈરાન સાથે મ્હોં ફેરવી લેવું શક્ય નથી. અમેરિકાએ ઈરાન પર હૂમલો કરીને ભારતને મુશ્કેલીમાં મુકી દીધું છે, જો ઈરાન જવાબી કાર્યવાહી કરશે તો ખાડી દેશોમાં અસ્થિરતા વધશે અને ભારતના વ્યાપક હિતોને નુકસાન થશે. 30 લાખ ભારતીયો સાઉદી અરેબિયામાં રહે છે, આ દેશમાં કામ કરતાં ભારતીયો દર વર્ષે 40થી 70 અબજ ડૉલરનું વિદેશી ચલણ મોકલે છે.

અત્રે નોંધનીય છે કે અમેરિકાના દબાણને વશ થઈને ભારતે ઈરાનથી તેલ આયાત અટકાવી દીધી હતી. અને હવે ઈરાક ભારતને સૌથી વધુ તેલ નિકાસ કરે છે. જો આ ક્ષેત્રોમાં સૈન્ય કાર્યવાહી વધશે તો ભારત આવતાં તેલની આયાત અટકી જશે. અને ભારત માટે મુશ્કેલીઓ ઉભી થશે. હા ખાડી દેશોની તંગદિલીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જેને પગલે ભારતમાં તેલનો આયાત ખર્ચ વધી જશે. એક અંદાજ મુજબ ક્રૂડનો ભાવ એક ડૉલર વધે તો ભારતનું વાર્ષિક આયાત બિલ રૂપિયા 10,700 કરોડ વધી જાય છે. શુક્રવાર રાત્રે ક્રૂડનો ભાવ ઝડપી વધીને 69 ડૉલર થઈ ગયો હતો. ક્રૂડના ભાવ વધીને આવતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેને કારણે ભારતના અર્થતંત્ર પર નેગેટિવ અસર પડશે.

ટૂંકમાં અમેરિકાએ ઈરાન પર હૂમલો કરીને ઉતાવળીયું પગલું ભર્યું છે. ખાડી દેશોની અશાંતિ વિશ્વના દેશોને ચિંતામાં નાંખી દીધા છે. અને તેમાંય ભારત માટે ઉજાગરા કરવાનો સમય આવી ગયો છે. એકતરફ ભારતમાં ઈકોનોમીની મંદી ચાલી રહી છે. મોંઘવારી વધી રહી છે, કરવેરાની આવકનું કલેક્શન ઘટ્યું છે, ત્યારે હવે ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલડીઝલના ભાવમાં વધુ વધશે તો મોંઘવારી વધુ માઝા મુકશે. ભારતની ઈકોનોમીના બેલેન્સતુલા ડામાડોળ થવાની પુરી શકયતા છે.

Related Posts

Leave a Comment