આર્થિક મંદી બહુ આકરી છે, ઝડપથી દૂર કરો…

by Investing A2Z

ર્થિક મંદીએ બિહામણું સ્વરૂપ ધારણ કર્યું છે. અર્થતંત્ર દિવસને દિવસે કથળી રહ્યું છે. જીડીપી ગ્રોથ તો ઘટીને આવી જ રહ્યો છે, મોંઘવારી સતત વધી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન પણ નીચા નિશાને ધસી રહ્યું છે. ઓટોમોબાઈલ સેકટરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગની કંપનીઓ ડિમાન્ડના અભાવે પ્રોડક્શન કટ તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક મંદીને ખાળવા અનેક પગલાં લીધાં છે, તેમ છતાં તેની ભારતીય ઈકોનોમી પર કોઈ જ અસર જોવા મળતી નથી. તો હવે શું કરવું જોઈએ કે દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાય અને નવી ડીમાન્ડ નીકળે, નવા રોકાણો આવે, રોજગારીમાં વધારો થાય… તે સવાલ વિકટ બની ગયો છે.

હવે માથે બજેટ આવી રહ્યું છે, બજેટમાં એવું તો શું આવશે કે જેનાથી અર્થતંત્રની મંદી દૂર થાય. હા, કેન્દ્ર સરકાર 100 ટકા આગામી બજેટ ઉદ્યોગ ફ્રેન્ડલી બજેટ લઈ આવશે. નવી છૂટછાટો આપશે. કરમાળખું વધુ સરળ કરશે, વિદેશી રોકાણ માટે વધુ સરળતા કરી આપશે. આવા અનેક પગલાંઓ લેવાશે. પણ હાલ કેન્દ્રની મોદી સરકાર પર વિપક્ષો બરાબરના માછલાં ધોઈ રહ્યાં છે.

દેશના નાણાંપ્રધાન એક મહિલા, નિર્મલા સીતારામન છે, તેમને રસોડાનો ખર્ચ વધે તે તો તરત જ ખબર પડે. જેથી તેઓ વધુ સારુ પ્લાનિંગ કરીને બજેટ આપી શકે. પણ તાજેતરમાં ડુંગળીના ભાવ વધ્યાં ત્યારે નિર્મલા સીતારામનનું નિવેદન હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં વધુ ડુંગળી ખવાતી નથી. ત્યારે દેશને આંચકો લાગ્યો હતો. દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળે ત્યારે નિર્મલા સીતારામનનું આવું નિવેદન આવે ત્યારે એવું લાગે કે એક મહિલા નાણાંપ્રધાન આવું નિવેદન કરી શકે. ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહી છે, તે કદાચ નિર્મલા સીતારામનને ખબર નહીં હોય, નહીં તો આવું નિવેદન ન કરે. આના પરથી નક્કી થઈ શકે કે નાણાંપ્રધાન મોંઘવારી બાબતે કેટલા ગંભીર છે.

દેશની આર્થિક હાલતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલાં અરવિંદ સુબ્રમણ્યને તાજેતરમાં જ બહુ મોટું નિવેદન કર્યું હતું, અને તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા આઈસીયુ તરફ આગળ વધી રહી છે. જો તેને સંભાળવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. તે જ વખતે તેમણે આયાત નિકાસ અને સરકારની આવકના આકંડા દર્શાવ્યાં હતાં, અને કહ્યું હતું કે અર્થતંત્રની સ્થિતિ ગંભીર છે. આ સુસ્તી નથી, પણ મોટી સુસ્તી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં હવે ટ્વીન બેલેન્સ શીટની સમસ્યા છે, અને તે જ મંદીનું ખરુ કારણ છે.

ટ્વીન બેલેન્સ શીટનું સંકટ એટલે બેંકો પર નોન પરફોર્મિંગ એસેટ્સ(એનપીએ)નું વધતું દબાણ છે. આ એનપીએમાં મોટી કંપનીઓનું મોટું દેવું પણ સામેલ છે. અત્રે એ નોંધવું જોઈએ કે અરવિંદ સુબ્રમણ્યને 2014માં ભારતની અર્થવ્યવસ્થાને લઈને ચેતવણી આપી હતી. ત્યારે તેઓ મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર હતાં.

આર્થિક મોરચે મોદી સરકારને ઝાટકા પર ઝાટકા વાગી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 4.5 ટકા આવ્યો, જે અંદાજે 6 વર્ષમાં એક ત્રિમાસિકગાળાનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલાં 2013માં દેશનો જીડીપી આ સ્તર પર હતો. મહત્વની વાત એ છે કે જીડીપી સતત 6 ત્રિમાસિકગાળાથી ઘટતો આવ્યો છે. મોટાભાગની રેટિંગ એજન્સીઓએ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 1.50 ટકા સુધીનું ઘટાડી દીધું છે. દેશી અને વિદેશી કુલ 8 રેટિંગ એજન્સીઓ છે, જેમણે આર્થિક આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં આરબીઆઈ, એસબીઆઈ, વર્લ્ડ બેંક, એડીબી, આઈએમએફ, ક્રેડિટ રેટિંગ એજન્સી, ક્રિસિલ, મૂડીઝ અને કેયર રેટિંગ એજન્સીઓ સામેલ છે, વર્ષની શરૂઆતમાં આ તમામ રેટિંગ એજન્સીઓએ ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2018માં સારો રહેશે, તેવું અનુમાન લગાવ્યું હતું, પણ આમ થયું નથી. એટલે કે રેટિંગ એજન્સીઓના અનુમાન સાવ ખોટા પડ્યાં છે. અને હવે આ જ રેટિંગ એજન્સીઓએ 2020માં જીડીપી ગ્રોથ રેટ વધુ ઘટીને આવશે તેવી ધારણાઓ રજૂ કરી છે, અને સૌને ગભરાવી નાંખ્યાં છે.

જીએસટી કલેક્શનની વાત કરીએ તો જીએસટીની આવક પણ ધારણા કરતાં ઓછી રહી છે. આ વર્ષના પ્રથમ મહિનો જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર થયું, જે એપ્રિલ, મે, જુલાઈ અને નવેમ્બરમાં પણ જીએસટીની આવકનો આંક 1 લાખ કરોડને પાર કરી ગયો હતો. તેમ છતાં સરકાર તેના લક્ષ્યથી 40 ટકા ઓછી આવક રહી છે. સંસદના શિયાળુ સત્રમાં જ રાજ્યકક્ષાના નાણાંપ્રધાન અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લક્ષ્યથી 50 ટકા ઓછું થયું છે. નવેમ્બરમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે સરકારને ડાયરેક્ટ ટેક્સની આવક અત્યાર સુધીમાં 6 લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે સરકારે આટલા સમયમાં અંદાજે 13.5 લાખ કરોડ રૂપિયાના ટેક્સની આવકનો લક્ષ્યાંક મૂક્યો હતો. હવે સરકારે 4 મહિનામાં જ લક્ષ્યાંક હાંસલ કરવા માટે અંદાજે 7.5 લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાના છે.

રાજકોષીય ખાધના મુદ્દા પર મોદી સરકારના પગ પાછા પડ્યાં છે. ચાલુ વર્ષના પ્રથમ 7 મહિના એપ્રિલથી ઓકટોબરની વચ્ચે રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યથી વધુ રહી છે. શરુના 7 મહિનામાં રાજકોષીય ખાધ 100.32 અબજ ડૉલર રહી છે. જે બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ માટે રાખેલા લક્ષ્યાંક 102.4 ટકા હતી. એપ્રિલથી ઓકટોબરમાં સરકારને 6.83 અબજ રૂપિયાની આવક થઈ છે, સામે ખર્ચ 16.55 અબજ રૂપિયા થયો છે.

આરબીઆઈએ રજૂ કરેલ સર્વેમાં સ્પષ્ટ છે કે નવેમ્બરમાં દેશનો કન્ઝ્યુમર કોન્ફીડન્સ ઈન્ડેક્સ 5 વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી તે સૌથી નીચો છે. તેનો અર્થ એ થાય તે ગ્રાહકોના વિશ્વાસમાં ઘટાડો થયો છે. અર્થતંત્ર પર વિશ્વાસ ઘટ્યો છે, અને ગ્રાહક ખરીદી ઘટાડી રહ્યો છે. આ વર્ષે બિઝનેસ સેન્ટિમેન્ટ પણ 3 વર્ષના નીચા સ્તર પર રહ્યું છે.

આ વર્ષે મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. ડુંગળી, ટામેટાં, શાકભાજી સહિત અને પેટ્રોલ-ડીઝલ અને સોનાચાંદીના ભાવમાં સતત વધારો થયો છે. સોનું 40,000 અને ચાંદી 50,000 થયું, ડુંગળી 140 રૂપિયે કિલો વેચાઈ, ટામેટાં 100 રૂપિયે કિલો વેચાયાં, આમ આરબીઆઈએ પણ મોંઘવારી દર વધવાની ભીતિ રજૂ કરી છે. જેથી એમ કહી શકાય કે હજી મોંઘવારી વધુ માથુ ઊંચકશે.

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે એક અહેવાલમાં કહ્યું છે કે રોકાણને લઈને શરૂ થયેલી સુસ્તીથી આર્થિક વિકાસ મંદ પડ્યો છે. અને હવે ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય પ્રેશર રહ્યું છે, જેથી રોજગારી ઘટી રહી છે. અને ડિમાન્ડ પણ ઘટી છે. મૂડીઝના તારણ અનુસાર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, ખેડૂતોને નાણાકીય મદદ અને વ્યાજ દરમાં ઘટાડાથી ડિમાન્ડમાં કોઈ વધારો થવામાં મદદ મળી નથી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને એલર્ટ કરી છે, અને કહ્યું છે કે દેશની આર્થિક સ્થિતિ હજી વધુ બગડી શકે છે, જેથી બેંકોએ તૈયાર રહેવું જોઈએ. આવનાર નવા પડકારોનો સામનો કરવા માટે બેંકોએ પૂરી રીતે તૈયાર રહેવું.

હવે 2020ના વર્ષમાં પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, જે અગાઉ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રને પાટા પર લાવવા માટે તમામ પાસેથી સૂચનો મંગાવ્યાં છે. તેમણે વિવિધ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે.

જો કે આ વખતનું બજેટ ઈન્ડ્સ્ટ્રીઝ ફ્રેન્ડલી આવશે. ડીમાન્ડ વધે, રોજગારી વધે, અને રોકાણ વધે તેવા પગલાં લેવાશે. તો જ દેશનો જીડીપી ગ્રોથ વધશે. બીજી તરફ મોંઘવારીને કાબૂમાં રાખવા સરકાર નક્કર પગલાં વિચારી રહી છે. કદાચ આવનાર બજેટમાં તેની જાહેરાત કરાશે. વચેટિયાની નાબૂદી થઈ જશે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુ ઉત્પાદક પાસેથી સીધું ગ્રાહકના હાથમાં જાય તેવી વ્યવસ્થા કરવા સરકાર વિચારી રહી છે, તો જ વસ્તુ યોગ્ય ભાવે ગ્રાહકને મળે અને ઉત્પાદકને તેનો યોગ્ય ભાવ મળશે. વચેટિયાની દલાલી-ભાવનો ગાળો- નફાની બાદબાકી થઈ જશે. તદઉપરાંત કરમાળખાને સરળ કરવું, અને વ્યક્તિગત આવકવેરાની મર્યાદામાં વધારો કરાશે, જીએસટીના દરના સ્લેબમાં ફેરફાર કરાશે, જેથી ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રાહકને રાહત થાય. જેને કારણે પણ મોંઘવારીમાં આંશિક રાહત મળશે. હા સરકારે ખર્ચમાં ઘટાડો કરીને કરવેરાની આવકમાં કેમ વધારો થાય તે અંગે પણ વિચારવું પડશે. તો જ રાજકોષીય ખાધ અંકુશમાં રહેશે. હાલ ઉદ્યોગજગત મોદી સરકાર સાથે છે, પણ હવે જો આર્થિક મંદી વકરશે તો ઉદ્યોગજગતના માંઘાતાઓને મોદી સરકાર પરથી વિશ્વાસ ડગમગતાં વાર નહીં લાગે.

ટૂંકમાં આર્થિક મંદીને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ઠોસ પગલાં ભરવા પડશે, નહીં તો આર્થિક મંદી એ ઉધઈ જેવી છે, ધીમેધીમે દેશને દેવામાં ડૂબાડીને કંગાળ કરી નાંખશે.

Related Posts

Leave a Comment