મહારાષ્ટ્રનું ‘મહા’ રાજકારણ દરરોજ નવો વળાંક લે છે. મહારાષ્ટ્રની જનતાએ આપેલ મેન્ડેટ પછી મહારાષ્ટ્રની સીએમની ખુરશી પર કોણ બિરાજે તે માટે તમામ પક્ષોએ તમામ વિચારધારાને બાજુ પર મુકી દીધી છે. લોકતંત્રની હત્યા કરી હોય તેમ સત્તા માટે દોટ મૂકી હતી. તમામ પક્ષોએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમામ પક્ષો સત્તાની લાલસામાં ભૂલી ગયાં છે કે આ એ જ મતદારો છે કે જેઓ આ નેતાઓને માફ નહીં કરે, અમે મત આપીશું તો તમે સત્તામાં આવશો ને. ચાલો જે હોય તે પણ દરરોજ નવા ક્લાયમેક્સ સાથે રાજકીય રીતે વાતાવરણમાં ગરમાવો રહ્યો છે. પણ હવે મહારાષ્ટ્રના નાથ ઉદ્ધવ ઠાકરે થશે. એનસીપી અને કોંગ્રેસની સત્તામાં ભાગીદારી થઈ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય અલગઅલગ વિચારધારાવાળી પાર્ટી મહારાષ્ટ્રમાં શાસન કરશે.
રાતોરાત રાજ્યપાલ કોશિયારીએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી દીધું, રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લીધું, વહેલી સવારે સીએમ પદે દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના શરદ પવારના ભત્રીજા અજીત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધાં. ત્યારે બધાને એમ થયું કે જોરદાર થયું બાકી… પણ બહુમતી કેવી રીતે હાંસલ થશે, તે મોટો સવાલ હતો. પછી તો એનસીપીને તોડવાની હિલચાલ થઈ, અમિત શાહ સૌથી મોટા ચાણકય બન્યાં હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયાં. તે વખતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના તમામ નેતાઓ અવાક્ બની ગયાં હતાં, આ શું થઇ ગયું… શરદ પવાર જેવા સીનીયર લીડર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને સુદ્ધાં ગંધ ન આવી. રાતોરાત સરકાર બની ગઈ, રાજ્યપાલ પર સવાલો ઉઠ્યાં, કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ પર પણ સવાલો થયા, લોકશાહીનું ચીરહરણ કર્યું તેવા આક્ષેપ થયાં. આ તો રાજકારણ છે, અહીંયા કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો દુશ્મન નથી સત્તા માટે બધા મિત્રો, સત્તા છોડ્યાં પછી બધાં દુશ્મન.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો… અમને ન્યાય આપો. કોર્ટે બંધારણ મુજબ સરકાર રચવાના આમંત્રણની કોપી, કેટલા ધારાસભ્યોને ટેકો છે, તે સહી કરેલ પત્ર વગેરે પેપરનો અભ્યાસ કર્યા પછી કોર્ટે વિધાનસભાના ફ્લોર પર બહુમતી સાબિત કરવા આદેશ કર્યો, અને પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાનો આદેશ કર્યો, તેમ જ ગુપ્ત મતદાન નહી, જાહેરમાં મતદાન કરો અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરો… આ આદેશ આપ્યો, તેની અગાઉ જ દિવસની પૂર્વસંધ્યાએ શિવસેના એનસીપી અને કોંગ્રેસે ફાઈવ સ્ટાર હોટલમાં મીની એસેમ્બલી બોલાવી, વીઆર 162ના હોર્ડિગ્સ સાથે તમામ ધારાસભ્યો ભેગાં થયાં અને મહારાષ્ટ્ર અને દેશને પરેડ બતાવી કે જુઓ અમારી સાથે 162 ધારાસભ્યો છે. સરકાર તો અમારી જ બનવી જોઈએ.
સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયા પછી અજીત પવાર ગુમ થઈ ગયાં. તેઓ એનસીપીના અન્ય ધારાસભ્યોને મેનેજ કરી ન શક્યાં અને સાથે ન રાખી શક્યાં. શરદ પવાર અને સુપ્રિયા સૂળેએ પરિવારમાં પાછા આવી જવા અજીત પવાર સાથે વાતચીત કરી, મનામણા કર્યાં અને અજીત પવાર પાસે હવે કોઈ રસ્તો હતો નહીં, જેથી તેઓએ ડેપ્યૂટી સીએમ પદે રાજીનામું આપી દીધું, દેવેન્દ્ર ફડણવીસ એકલાં પડી ગયાં, બહુમતી સાબિત કરી શકે તેવી સ્થિતિ નહી હોવાથી તેમણે પણ પાર્ટીના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને રાજીનામું ધરી દીધું. ભાજપે બોદા માણસના વિશ્વાસ પર શપથ લઈ લીધાં, અને ભાજપે પોતાની ઈમેજ બગાડી. લીલા તોરણે દેવેન્દ્ર પાછા આવ્યાં. કર્ણાટકમાં યેદીરપ્પાએ બહુમતી સાબિત નહી કરી શકતાં વિધાનસભામાં રાજીનામુ આપ્યું હતું, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા મળે તે પહેલાં જ રાજીનામું આપ્યું. ભાજપથી કાચું કપાયું હોવાનો અહેસાસ થયો. પણ ભાજપની હાંસી ઉડી છે. અને સોશિયલ મીડિયાએ શરદ પવારને અસલી ચાણકય ગણાવ્યાં. શરદ ‘પાવર’ પર બધા આફ્રીન થઈ ગયા, કે કહેવું પડે, એનસીપી અને પરિવારને તૂટવા ન દીધો.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બેઠક મળી, સરકાર રચવા રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો અને રાજ્યપાલે 28 નવેમ્બરે શપથ લેવા માટે આમંત્રણ આપ્યું. ઉદ્ધવ ઠાકરે સીએમ પદે સર્વાનુમતે નક્કી થયું. અને 29 નવેમ્બરે સાંજે 6.40 કલાકે સીએમ પદે ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શિવાજી મહારાજને વંદન કરીને શપથ લીધા હતા, અને શપથ ગ્રહણ સમારોહમાં જનતાનું મહામહેરામણ ઉમટ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી જનતાને વંદન કર્યા હતા. મહારાષ્ટ્રમાં હવે ઠાકરે રાજ આવી ગયું છે. તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 2-2 ધારાસભ્યોએ કેબિનેટ પ્રધાનના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં રાજ ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રના રણસંગ્રામમાં સૌથી વધુ ફાયદામાં શિવસેના દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન રહેશે, તે માટે એનસીપી અને કોંગ્રેસે સહમતિ આપી છે. જો કે શિવસેના 30 વર્ષ જૂની ભાજપ સાથેની દોસ્તી તોડીને વિરોધીઓના ખેમામાં બેસી ગઈ છે. શિવસેનાને ફાયદો થયો તેની સામે પોતાની કટ્ટર હિન્દુત્વની છબિને નુકસાન કર્યું છે. તેણે ભાજપ સાથે ચૂંટણી જીતી હતી તો કોંગ્રેસ-એનસીપીના ખોળે સત્તા માટે કેમ બેઠાં તેનો સણસણતો સવાલ કરનારા મતદારોતો આગામી સમયમાં મતદારો ન્યાય કરી શકે છે.. બીજી તરફ કોંગ્રેસે શિવસેના સાથે જઈને સત્તામાં ભાગીદારી લીધી છે. તેને ડેપ્યૂટી સીએમ પદ સહિત 13 પ્રધાન પદ મળશે. તેના માટે તેણે સેક્યુલર વિચારધારાની સાથે સમજૂતી કરવી પડી છે. એમ પણ કહી શકાય કે કોંગ્રેસ હિન્દુ વિરોધી છબિમાંથી બહાર નીકળવાની કવાયત કરી રહી હોય તેમ જણાય છે. કોંગ્રેસ સતત 4 વર્ષથી હિન્દુ વિરોધી છાપમાંથી બહાર નીકળવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મંદિરોની મુલાકાત લઈ રહ્યાં છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ચોથા નંબરની પાર્ટી છે, તેમ છતાં તેને સત્તામાં ભાગીદારી મળી તે મોટી વાત છે, કોંગ્રેસે તો કાંઈ ગુમાવવાનું જ નથી, તેને તો 100 ટકા વગર પૈસે ફાયદો જ ફાયદો છે.
મહારાષ્ટ્રના કિંગમેકર શરદ પવાર રહ્યાં છે. અજીત પવારની બગાવત પછી પણ શરદ પવાર એનસીપીને તૂટતી બચાવી શકવામાં સફળ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભલે શિવસેના સત્તા પર હોય પણ તેના સૂત્રધાર તો શરદ પવાર જ રહેશે અને સત્તાનું રીમોટ કન્ટ્રોલ પણ શરદ પવાર પાસે જ રહેશે.
મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ નુકસાન ભાજપને થયું છે. તે 105 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં વિધાનસભામાં વિરોધપક્ષમાં બેસવું પડશે. શિવસેના સાથે સાથ છૂટી ગયો, સાથે બેસીને વાતચીત થઈ શકી હોત. પણ બન્ને સત્તાના મદમાં રહ્યાં, અને વાતચીત જ ન કરી. અજિત પવાર સાથે મળીને સરકાર બનાવી તો તેમાં પણ નિષ્ફળતા મળી અને ભાજપની ઈમેજ ખરડાઈ. મહારાષ્ટ્રમાંથી ભાજપનું શાસન ગયું, તે નફામાં નુકશાન થયું.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર કેટલા દિવસ કે કેટલા મહિના કે કેટલા વર્ષ ચાલે છે. આમ પણ મહારાષ્ટ્ર પર શિવસેનાનો હોલ્ડ સારો છે, પણ હવે તેમનો જાદૂ ઓસર્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારના પ્રથમ વ્યક્તિ છે, કે જે મુખ્યપ્રધાન બન્યાં હોય. 1966માં બાલાસાહેબ ઠાકરે દ્વારા રચાયેલી શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચવા જઈ રહી છે. 27 જુલાઈ, 1960ના રોજ જન્મેલા ઉદ્ધવ ઠાકરેએ 2012માં બાલાસાહેબના નિધન પછી શિવસેનાનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યની ચૂંટણી લડ્યાં નથી, તેમણે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવવું પડશે. ફોટોગ્રાફીના શોખીન ઉદ્ધવ ઠાકરેએ જમાનાના ખાધેલ શરદ પવાર અને કોંગ્રેસીઓ જોડે સત્તાની ભાગબટાઈ કરવાની છે ત્યારે એક ન્યાયોઉક્તિ યાદ આવી રહી છે, બેની ભાગબટાઈમાં ત્રીજો ફાવે…