પાકિસ્તાનમાં સત્તાપલટો થવાના વાવડ છે?

by Investing A2Z

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આમ પ્રજાના રોષનો ભોગ બન્યાં છે, જે પાકિસ્તાની નાગરિકોએ તેમને મત આપીને ચૂંટ્યા તે જ મતદારોનો ભ્રમ ભાંગી ગયો છે, અને તેઓમાં વિરોધ વંટોળ ઉભો થયો છે, ઇમરાનખાનના રાજીનામાની માગ સાથે દેખાવો થયાં અને વિશાળ રેલી પણ નીકળી હતી. તેમની સામે આર્મીની કઠપુતળી હોવાના આક્ષેપ થયાં છે. ભારત સામે કૂટનૈતિક હાર પછી રાજકીય વિરોધ થયો અને તે પછી દક્ષિણપંથી જમીયત ઉલેમા-એ- ઈસ્લામ ફઝલના પ્રમુખ મૌલાના ફજલુર રહમાને ઈમરાનખાનના રાજીનામાની માગણી સાથે રેલી કાઢી હતી. અન્ય વિપક્ષી દળો સાથે મળીને આઝાદી માર્ચ કાઢી હતી. આ રેલી ખૂબ મોટી જ હતી. આ ઘટના પછી એવું મનાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં સત્તાપલટો આવશે. પણ કયારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈમરાનખાન તમામ મોરચે નિષ્ફળ ગયાં છે, એવું ત્યાંની પ્રજા માની રહી છે.

પાકિસ્તાનના તહરિક-એ- ઈન્સાફ(પીટીઆઈ)ના ચીફ ઈમરાન ખાને 18 ઓગસ્ટ, 2018ના રોજ 22માં વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા. ઈમરાન ખાન મુસ્લિમ લીગ-નવાઝના ઉમેદવાર શાહબાજ શરીફને હરાવીને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યાં હતાં.  ઈમરાન ખાનના પક્ષમાં 176 મત મળ્યાં હતા, અને શાહબાજ શરીફને 96 મત મળ્યાં હતાં.

ક્રિકેટર ઈમરાન ખાનને પાકિસ્તાનમાં સત્તા સંભાળ્યાને સવા વર્ષ જેવું થયું, પણ પાકિસ્તાનમાં જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે જ એટલા બધાં ઈસ્યૂ હતાં, આર્થિક સ્થિતિ કથળેલી હતી. મોંઘવારીએ માઝા મૂકી હતી, પાકિસ્તાનનું ચલણ નબળું હતું, બોર્ડર પર આતંકવાદીઓ પર કોઈ કાબૂ ન હતો. પાકિસ્તાની પ્રજાને ઈમરાન ખાન પાસે ખૂબ આશાઓ હતી, પણ તેમાંનું કશુંય થયું નહી. મોંઘવારી વધુ વધી, આતંકવાદીઓ વધુ બેફામ બન્યાં છે અને પાકિસ્તાનને કોઈ લોન આપવાય તૈયાર નથી, ભારત સાથે સંબધો બગડ્યાં, પછી ભારતથી નિકાસ થતી વસ્તુઓ બંધ થઈ ગઈ, ટામેટાના ભાવ આસમાને પહોંચ્યાં, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને સહાય આપવાની ના પાડી દીધી. સ્પષ્ટ સંભળાવી દીધું કે તમે આતંકવાદીઓને પોષવાનું બંધ નહી કરો ત્યાં સુધી કોઈ નવી સહાય નહી મળે. અત્યાર સુધી પાકિસ્તાનનું દોસ્ત ચીન રહ્યું છે, ચીને પણ વિશેષ સહાય કરવાની ના પાડી દીધી. હાલ પાકિસ્તાન આર્થિક સંકટમાં ઘેરાયું છે. ઈમરાન ખાન કોઈ એવા આર્થિક સુધારાવાદી પગલાં લઈ શક્યા નથી, અને લીધાં છે તો તેની કોઈ અસર થઈ નથી.

બીજીતરફ ભારતમાં આવેલ કશ્મીરના પુલવામામાં આતંકવાદીઓના હૂમલામાં 40 જવાનોના મોત થયાં, ત્યાર પછી ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાંખ્યાં, તે પછી પાકિસ્તાન અધિકૃત કશ્મીર બાલાકોટમાં આતંકવાદીઓ કેમ્પ પર એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો હતો. ભારતના હિંમતભર્યા આ લશ્કરી પગલાં પછી પાકિસ્તાનના લોકો ખૂબ ગુસ્સે ભરાયાં હતાં, કે પીએમ ઈમરાન ખાન કરે છે શું. ભારતીય જાબાઝ અભિનંદનને 24 કલાકમાં છોડવો પડ્યો, પાકિસ્તાની પ્રજામાં રોષની લાગણી ત્યારથી પેદા થઈ છે, ભારતના વિદેશી સંબંધો મજબૂત બની રહ્યાં છે, ત્યારે પાકિસ્તાનને કોઈ દેશે સાથ આપ્યો નથી. જેથી ભારતની રણનીતિ સામે પાકિસ્તાનની કૂટનૈતિક હાર થઈ છે. આવા સંજોગો ઉભા થતાં ઈમરાન ખાન સામે પ્રજામાં અને રાજકીય ક્ષેત્રે પણ રોષ વધુ ઘેરો બન્યો છે.

કશ્મીરમાંથી 370 કલમ હટી જતાં પાકિસ્તાન ભારત સામે ભારે ગુસ્સે ભરાયું હતું. પણ તેઓ કાંઈ કરી શકે તેમ નથી. પાકિસ્તાન લશ્કરી પગલાં પણ લઈ શકે તેમ નથી, કારણ કે પાકિસ્તાન મંદીના ઘેરા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એકતરફ મંદી છે, અને બીજી તરફ મોંઘવારીઓ માઝા મૂકી છે. ટામેટાના પ્રતિકિલોએ ભાવ રૂપિયા 260 અને ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂપિયા 150 પહોંચી ગયો છે. આ જ કારણસર પાકિસ્તાની પ્રજા ઈમરાન ખાનને ફેઈલ પીએમ કહી રહી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટના જજે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાદવ મામલામાં ઈમરાન ખાન સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ભારતને કાઉન્સ્યૂલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સંધિની કલમ 36નું ઉલ્લંઘન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનની કોર્ટના કુલભૂષણ જાદવને ફાંસીની સજા પર પુનઃવિચાર કરવા કહ્યું હતું, ત્યાર પછી પાકિસ્તાને ફાંસીનો ચૂકાદો અટકાવી દીધો છે. આમ કુલભૂષણ જાદવા મામલે પણ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય લેવલ પર ઠેકડી ઉડી છે.

પાકિસ્તાની સેના પણ પીએમ ઈમરાન ખાનના નિવેદન સામે પલટો મારે છે. કરતારપુર કોરિડોર મામલે સેનાએ કહ્યું હતું કે શ્રદ્ધાળુઓએ પાસપોર્ટ લાવવો પડશે. જ્યારે સેનાની જાહેરાત અગાઉ જ પીએમ ઈમરાન ખાને કહ્યું હતું ભારતીય શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારા દરબાર સાહેબ જવા માટે માત્ર એક ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે. આમ પીએમ અને સેના વચ્ચે પણ વિખાવદ છે.

તાજેતરમાં જ ઈમરાન ખાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયાં, તેમાં આક્ષેપ છે કે 2018ની ચૂંટણીમાં તેમણે ગડબડ કરી છે અને તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. પીએમ ઈમરાન પર અર્થવ્યવસ્થામાં અણઘડ વહીવટ, અક્ષમતા અને કુપ્રશાસનનો આરોપ લાગી ચૂક્યો છે. આમ આદમીને જીવવું ભારે થઈ પડ્યું છે. આવા સંજોગો વચ્ચે પાકિસ્તાનમાં ગમે ત્યારે સત્તાપલટો આવે તો નવાઈ નહી…

You will also like

Leave a Comment