ઝારખંડમાં ભાજપ અને સાથી પક્ષે સાથે મળીને પાંચ વર્ષ સ્થિર શાસન આપ્યું છે. પહેલીવાર એવું બન્યું છે કે ભાજપ પક્ષના મુખ્યપ્રધાન રઘુવર દાસે સ્થિર સરકાર આપી, અત્યાર સુધી ત્રિશંકુ સરકાર આવતી હતી, જેનાથી રાજ્યનો વિકાસ રૂંધાયો હતો. પણ ભાજપની આગેવાની હેઠળની સરકારે ઝારખંડમાં વિકાસનો માર્ગ દેખાડયો છે. ખુબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝારખંડના સીએમના વખાણ કર્યા હતા. પણ હવે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ઝારખંડમાં ભાજપે સત્તા મેળવવા માટે વધુ કમર કસવી પડશે.
તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઝારખંડમાં 30 નવેમ્બરથી 20 ડીસેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થશે. અને 23 ડીસેમ્બરે મત ગણતરી થશે. 2014માં પણ ઝારખંડમાં પાંચ તબક્કામાં જ મતદાન થયું હતું. ઝારખંડમાં કુલ 81 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી બહુમતી માટે 41 બેઠકો મેળવવી પડશે. પહેલી જાન્યુઆરી, 2020ના રોજ વિધાનસભાની મુદત પૂર્ણ થઈ રહી છે, તે પહેલા નવી સરકાર રચાશે.
ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી 67 બેઠકોનો વિસ્તાર નક્સલગ્રસ્ત છે. 19 જિલ્લામાંથી 13 જિલ્લા અતિસંવેદનશીલ છે. જેથી ચૂંટણી પંચ માટે ઝારખંડનું મતદાન ખુબ મહત્વ ધરાવે છે. મતદાન અને મતગણતરી ખુબ શાંતિ પૂર્વક થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડશે. આચારસંહિતા તો લાગુ પડી ગઈ છે. ઝારખંડમાં કુલ 2.26 કરોડ મતકદારો છે, અને વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્નશીલ રહે છે.
હવે વાત કરીએ 2014ના પરિણામની… તો 2014માં કુલ 81 બેઠકોમાંથી ભાજપને 37 બેઠકો જ મળી હતી, અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન(આજસુ)ને 5 બેઠકો મળી હતી. આમ 42 બેઠકો સાથે ભાજપ અને તેના સાથી પક્ષે સત્તા હાંસલ કરી હતી. આજસુએ 8 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, તેમાંથી તે 5 બેઠક પર જીત મેળવી હતી. તેવી જ રીતે કોંગ્રેસે 62 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, અને 6 બેઠકો પર જ કોંગ્રેસની જીત થઈ હતી. ઝારખંડ મુક્તિ મોરચો 79 બેઠકોમાંથી 19 બેઠકો જીતી હતી અને ઝારખંડ વિકાસ મોરચો 73 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો, અને તેમાંથી 8 બેઠકો જીતી હતી. આમ ઝારખંડમાં સ્થાનિક પાર્ટીઓનું વર્ચસ્વ વધારે છે.
2019ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે ફરીથી સત્તા હાંસલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં ભાજપને અપેક્ષા કરતાં ઓછી બેઠકો મળી છે. તેના પરથી બોધપાઠ લઈને ઝારખંડમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને બુથ લેવલ સુધીનો પ્રચાર કરવા માટે ભારે કમર કસવી પડશે. તેમજ વિકાસની વાતોને પ્રજા સુધી લઈ જવી પડશે.
બીજી તરફ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો છે. ગુજરાતમાં પણ બાય ઈલેક્શનમાં કોંગ્રેસ 6 માંથી 3 બેઠક જીતી ગયું છે. આથી કોંગ્રેસ પણ ઝારખંડમાં નવું મેદાન મારવા માટે જોરથી પ્રચાર કરશે. ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સુધી લઈ જશે. ઝારખંડમાં આદિવાસી પ્રજા વધારે છે. આદિવાસીઓને લોભાવવા માટે કોંગ્રેસ તેમના ચૂંટણી ઢંઢેરામાં મોટા વચનો આપશે. સ્થાનિક પાર્ટીઓ પણ ઝારખંડમાં પ્રચારમાં કોઈ કમી નહી રાખે. નાનાનાના પક્ષો સરકાર રચવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આથી નાના પક્ષો પણ સ્થાનિક પ્રશ્નો ઉકેલવાના વચનો આપશે.
ઝારખંડમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ મરણીયો પ્રયાસ કરશે, વિકાસની વાત સાથે કશ્મીરમાં કલમ 370 હટાવી જેવા મુદ્દા રજૂ કરીને દેશની સુરક્ષાના મુદ્દા પર ચૂંટણીપ્રચાર કરશે. હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે જ ઝારખંડની ચૂંટણી યોજાવાની હતી, પણ કેન્દ્રમાં ભાજપ મોવડીમંડળને લાગ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવી સાવ સહેલી છે, પણ ધારણા કરતાં ઊંધુ થયું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને અપેક્ષા કરતાં ઓછી બેઠકો આવી છે. હવે તો ઝારખંડનું પેપર વધુ અઘરુ બની ગયું છે. અમીત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીએ સોગઠા ગોઠવવા વધુ સાવચેત રહેવું પડશે.