અનેક બેંકો કાચી પડી છે, ત્યારે રુપિયો બચાવવાનીય ચિંતા થતી હોય ત્યાં સલામતીભર્યું રોકાણ કરવું તો ક્યાં કરવું એવી મૂંઝવણ લોકોમાં વધી રહી છે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં પીએમસી બેંક બંધ થઈ ગઈ, તેની ડિપોઝીટમાં મુકેલા નાણાંનું શું ? આ પીએમસી બેંકમાં મોટી રકમ જમા હોય તેવા ચાર ખાતેદારોના મૃત્યુ થયાં છે. બેંકોમાં રૂપિયા એક લાખ રૂપિયા ડિપોઝીટ મુક્યાં હોય તેટલી જ રકમ ઈન્સ્યોર ગણાય છે, તેનાથી ઉપરની રકમ ડિપોઝીટ હોય તો શી હાલત થાય. તો સલામત રોકાણ કયાં તે સવાલ થાય તે સ્વાભાવિક છે.
સામાન્ય રોકાણકાર એમ ઈચ્છે કે ભલે થોડું વ્યાજ ઓછું મળે પણ મારી મૂડી સલામત રહેવી જોઈએ. તો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે સલામત રોકાણ કયાં કરી શકાય.
(1) ગવર્નમેન્ટ સેવિંગ બોન્ડ:
કેન્દ્ર સરકાર 7 વર્ષો માટે 7.75 ટકાના સેવિંગ્સ બોન્ડ જાહેર કરે છે. વર્તમાનમાં બેંકોના ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજ દર ઘટતા જઈ રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરાઈ રહેલા આ બોન્ડ લાંબા ગાળા માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ પુરો પાડે છે. આ બોન્ડ પર આપને છ મહિના પર અથવા તો મેચ્યોરિટીના સમયે વ્યાજ મળે છે. પણ આ રકમ ટેક્સેબલ હોય છે. મેચ્યોરિટી પર વ્યાજ લેવાના વિકલ્પમાં 10 લાખ રૂપિયાના રોકાણ પર 7 વર્ષમાં આપને 17.03 લાખ રૂપિયા મળે છે.
(2) પોસ્ટ ઓફિસની યોજનાઓ:
આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી ભારતીય રીઝર્વ બેંકે વ્યાજ દરોમાં 135 અંકનો ઘટાડો કર્યો છે. આગામી સમયમાં હજી પણ વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે. આ સમાચાર વચ્ચે સારી વાત એ છે કે ડિસેમ્બર સુધીમાં સરકાર પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર મળનાર વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર નહી કરવાનો નિર્ણય લીધો છે. આ સંજોગોમાં આપે રોકાણ કરવું હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. હાલમાં જ ઈન્ડિયા પોસ્ટ મોબાઈલ બેંકિંગની સુવિધા અપાઈ છે. જેથી આપ ઘેર બેઠા તેમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ પર એક, બે, અને ત્રણ વર્ષ માટે 6.9 ટકા વ્યાજ મળે છે. તેમ જ પાંચ વર્ષ માટે 7.7 ટકા વ્યાજ મળે છે. સીનિયર સીટીઝનને 5 વર્ષ માટે 8.6 ટકા વ્યાજ મળે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.9 ટકા છે. પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણકારોને વધુ સુરક્ષા મળે છે. છેને સારો વિકલ્પ!
(3) ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ:
કેન્દ્ર સરકાર ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ પણ જાહેર કરે છે. જેમાં રોકાણ કરવું તે સૌથી વધુ સલામત મનાય છે. પણ તેમાં એક શરત હોય છે કે આપ મેચ્યોરિટી સુધી પૈસા ઉપાડી શકતાં નથી. હા… આ સિક્યોરિટીઝને સેકન્ડરી માર્કેટ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ પર ખરીદી કે વેચી શકાય છે. એટલે તમને જોઇએ ત્યારે નાણાં મેળવવાનો રસ્તો આમાં છે.
(4) પ્રધાનમંત્રી વય વંદના યોજના:
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 10 વર્ષ માટે 8 ટકા વ્યાજ મળે છે. આમાં રોકાણકાર ચાહે તો માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક આધાર પર રેગ્યુલર ઈન્કમ મેળવી શકે છે. આ એક સરકારી યોજના છે, જે માત્રને માત્ર એલઆઈસી ઓફર કરે છે. તેના માટેની આખરી તારીખ 31 માર્ચ, 2020 છે. જો કે એક વર્ષમાં આ યોજનામાં વધુમાં વધુ 1.2 લાખ રૂપિયા પેન્શન મળી શકે છે.